મે 31, 2014

વનરાજ ભાટિયા



થોડા સમય અગાઉ જ જેમને 'પદ્મશ્રી' ઇલ્કાબ નવાજિત થયો એવા, વિજ્ઞાપન જિંગલ્સના બેતાજ બાદશાહ વનરાજ ભાટિયાનો આજે જન્મદિવસ છે.(૩૧ મે, ૧૯૨૭).

મે 21, 2014

આપ કી નજરોં ને સમજા...






કોઈ ભેદી ગુફામાં ભંડારાયેલા ખજાનાની જેમ, આપણા મનની ગુફામાં પણ અનેક અમૂલ્ય મોતી સમા સંસ્મરણો પડેલા હોય છે. જેમ કે, આપણને ગમતાં ગીતો-કવિતાઓ....

મે 18, 2014

ગુલઝાર




ફિલ્મ જગતમાં કિશોરકુમાર પછી જો કોઈ ગીતસંગીત સાથે વિભિન્ન અને સફળ પ્રયોગો કરવા માટે પ્રખ્યાત હોય તો તે છે ગુલઝાર સાહેબ... પોતાની કારકિર્દીની શરૂઆતથી જ અમૂલ્ય ગીતો લખતા આ શાયરે પોતાની રચનાસફરમાં અસંખ્ય પ્રખ્યાત ગીતો આપ્યાં છે. સરળ શબ્દોમાં ગહન વાતોને અત્યંત ઋજુતાથી રજૂ કરતા સંવેદનશીલ શાયર એટલે ગુલઝાર!

મે 17, 2014

એક ગુલઝારિશી ગીત... મનોજ યાદવની કલમે...




બ્લોગ પર અલક મલકની નિતનવી વાતો શેર કરતા, વાંચતા, માણતા કેટલો સમય વીતી ગયો... ખ્યાલ જ ન રહ્યો..... બ્લોગની આ  દુનિયા મારે મન જાણે કે નિત્ય વહેતી વિશાળ જલધારા...... ને હું એ જલધારાના એક બૂંદ રૂપે આ પ્રવાહમાં વહી રહી છું......

ના ના... આ કોઈ પદ્યાત્મક ગદ્ય નથી લખી રહી....  તાજેતરમાં જ ધ્યાનમાં આવેલા  એક ગીતને ફરી ફરી સાંભળી રહી છું અને 'ગુલઝારિશી' મૂડમાં આ ગીત વિશે વાત કરી રહી છું!

મે 16, 2014

કહ મુકરની... અમીર ખુશરો..





સૂફી  સંત અમીર ખુશરો ઈ.સ. ૧૨૫૩ થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય એવા ખુશરોને નામે બીજી અનેક સિદ્ધિઓ છે. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ ખુશરોને ફાળે જાય છે. ભારતીય સૂફીઓનું ભક્તિસંગીત કહેવાય એવી કવ્વાલીના જનક પણ ખુશરો જ છે. ભારતીય તબલાંની શોધ પણ તેમણે કરી હોવાનું મનાય છે. મૂળભૂત રીતે ફારસી ભાષાના આ કવિએ વ્રજ, હરિયાણવી અને ખડી બોલીના શબ્દોનું ફારસી અને સંસ્કૃત શબ્દો સાથે સંયોજન કરીને એક નવી જ ભાષા કે જેને તેઓ ‘હિન્દવી’ તરીકે ઓળખાવતા, તેમાં ખૂબ જ સુંદર કોયડા(Riddles), દોહા(couplets)  અને ગીતોની રચના કરી છે.

'ઈસક'નું એક મધમીઠું ગીત






કેટલાક ગીતો માત્ર એક જ વાર કાને પડી જાય તો હંમેશા માટે મનમાં વસી જાય છે. 2013માં રજૂ થયેલી ફિલ્મ 'ઈસક'નું એક ગીત સાંભળીને બળબળતા તાપમાં શીળી છાંયા મળી જાય અને જેવી અનુભૂતિ થાય એવી જ કંઈક લાગણી થઈ. ગીત સાંભળીને  નક્કી  કરવું મુશ્કેલ છે કે આટલા સુંદર ગીત માટે કોને કોને દાદ આપવી.... ગીતકાર, સંગીતકાર, કે પછી ગાયકો....

કાવ્ય પઠન... નાના પાટેકરનાં સ્વરમાં...



૨૦૦૭માં એક પ્રયોગાત્મક ફિલ્મ આવેલી - 'દસ કહાનિયાં'. ચોવીસ જેટલા કલાકારોએ ભજવેલા  અલગ અલગ પાત્રોની દસ વાર્તાઓને છ નિર્દેશકોએ રૂપેરી પડદે કંડારેલી. જો કે, ફિલ્મની દસ વાર્તાઓ પૈકી, ત્રણ-ચાર જ એવી હતી કે જે એકવાર જોયા બાદ હંમેશા માટે યાદ રહી જાય. ફિલ્મ વિશે ઓર એક રસપ્રદ બાબત એ હતી કે,

કાલી ઘોડી દ્વાર ખડી.....




'કાલી ઘોડી દ્વાર ખડી...'  પ્રેમની અનુભૂતિ વ્યક્ત કરતું સુંદર ગીત....

'૬૦ ના અને '૭૦ના દશકની કંઈ કેટલીયે ફિલ્મગીતોમાં રાગમાલાનો ઉપયોગ ઉલ્લેખનીય રીતે થયેલો જોવા મળે છે. અગાઉ આપણે ૧૯૮૧ની ફિલ્મ 'ઉમરાવજાન'ના રાગમાલા ગીત વિશે વાત કરી ચૂક્યા છીએ. આજે ૧૯૮૧માં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ચશ્મેબદદૂર'ના એક સરસ મજાના ગીત વિશે વાત કરીએ.

એક હસીન શામ કો....





એક હસીન શામ કો...દિલ મેરા ખો ગયા....

કો’ સલૂણી સાંજે એકલા બેઠા બેઠા રફીસાહેબના અવાજમાં ફિલ્મ ‘દુલ્હન એક રાત કી’નું આ ગીત સાંભળો ત્યારે ચોક્કસ તમારું દિલ કોઈ જૂની યાદોની સફરે ના ઉપડી જાય તો જ નવાઈ! મદનમોહનજીનાં સંગીતની જાદુઈ કરામત ગીતની શરૂઆતથી જ આપણને એક અનોખા ભાવ જગતમાં લઇ જાય છે. એમાયે મોહમ્મદ રફી સાહેબના મખમલી અવાજનો જાદૂ અને તેમના અવાજમાં રેલાતી મસ્તી શ્રોતાઓના કાનમાં અદભૂત મીઠાશ ઘોળે છે. પરંતુ આ ગીતના જાદુનું એક અનોખું કારણ છે એના શબ્દો.

મે 15, 2014

તુમ્હેં હો ન હો...






ભારતીય સંગીતનું એક મહત્વનું અંગ છે, ફિલ્મસંગીત. ફિલ્મી ગીતો આમઆદમીના મન-હ્રદય પર ગાઢ અસર સર્જે છે. આ અસર સર્જવામાં ગીતના શબ્દો મહત્વની ભૂમિકા ભજવે છે. અસરકારક શબ્દો અને એને અનુરુપ સંગીત ગીતને વધુ લોકપ્રિય બનાવે છે.

એક હતો રસૂલ....


રસૂલ... રસૂલ લંગડો... એક પગે જરા ખોડંગાઈને ચાલતો એટલે સૌ એને લંગડો કહેતા. ગેબનશા પીરની દરગાહ પાસેની ફૂટપાથ પર એનો અડ્ડો... આખો દિવસ ફૂટપાથ પર પડી રહેવું ને દરગાહે આવતા શ્રદ્ધાળુઓએ ફેંકેલા પૈસા ભેગા કરીને ચરસની બીડી ફૂંક્યા કરવી એ જ એનું કામ. આમ તો એના જેવા કેટલાયે ભિખારીઓ દરગાહની આસપાસ બેસી રહેતા પણ રસૂલ જેવી બાદશાહી કોઈના બાપની યે નહીં. મેલીઘેલી કાળી કફની અને રંગ ઉડી ગયેલી ચોકડાવાળી લૂંગી.. ગળામાં રંગબેરંગી પથ્થરની માળા. કફનીની બાંયો હંમેશા ચડાવેલી જ હોય. માથે કાળો રૂમાલ અને ડાબા બાવડે કાળા દોરામાં પરોવેલું તાવીજ.

મે 14, 2014

માલા સિન્હા... સુમધુર ગીતોની ખૂબસૂરત નાયિકા...






સોળ વરસની એક છોકરી, આકાશવાણીના કલકતા કેન્દ્ર પર ગીતો ગાતી હતી. કોઈ હિતેચ્છુએ તેને ગાયિકાને બદલે અભિનેત્રી બનવાની સલાહ આપી. અને તે પછીના બહુ જ ટૂંકા સમયમાં, બંગાળી ફિલ્મોના માધ્યમથી અભિનયની કેડી કંડારીને, નેપાળી નાક-નકશો ધરાવતી આ પ્રતિભાશાળી અભિનેત્રી હિંદી ફિલ્મ જગત પર છવાઈ ગઈ.

કાન્હા બોલે નાં....




કાન્હા બોલે ના.... કાન્હા બોલે ના...
પૂછું બાર બાર બાર કાન્હા બોલે ના...
ક્યા હૈ પ્રીત, ક્યા હૈ પ્યાર...
કાન્હા બોલે ના...


હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયનું વાસ્તવિક અને કલાત્મક પાસું એટલે મુસ્લિમ કવિઓએ રચેલા કૃષ્ણભક્તિના ગીતો.
ઈતિહાસમાં જરા ડૂબકી લગાવીએ તો, સમ્રાટ અકબરના નવરત્નો પૈકી એક એવા, નવાબ અબ્દુલ રહીમ ખાન એ ખાના, દિલ્હીના શાહી ખાનદાનના સૈયદ ઈબ્રાહીમ, કે જે પાછળથી રસખાન તરીકે ઓળખાયા તે, આગ્રાના શાયર મિયા નઝીર અકબરાબાદી - આ બધા શાયરોએ કૃષ્ણપ્રેમના રંગે  રંગાઈને અદ્ભૂત કહી શકાય એવી એવી ભક્તિરચનાઓ આપી. તો અઢારમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા મુસ્લિમ કવિ રાજેએ રચેલી મોટાભાગની કૃતિઓ કૃષ્ણભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિના રંગે રંગાયેલી છે.

આ જ પરંપરા કદાચ હિંદી ફિલ્મી શાયરોમાં પણ ઊતરી હોય એવું લાગે છે. જાંનિસાર અખ્તર સાહેબે લખેલું આ ગીત સાંભળીએ ત્યારે આ વાતનો ખ્યાલ આવે. લતાજી અને મન્ના ડેએ અત્યંત તાજગીભર્યા અવાજે ગાયેલું આ ગીત, આમ તો બાસુ ચેટર્જીની 'સંગત' નામની અનરિલીઝ્ડ ફિલ્મનું છે. 'રેર' કહી શકાય એવું આ ગીત યુ ટ્યૂબ પર ખાંખાખોળા કરતા હાથ લાગ્યું તો અહીં શેર કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. કજરી અને રાકેશ પાંડે જેવા અનામી કલાકારો પર ફિલ્માવાયેલું આ ગીત, શબ્દ, સૂર અને અર્થ - એ ત્રણેય પ્રકારે અનન્ય છે. સલિલ ચૌધરીએ વાયોલીન, પિયાનો, સિતાર અને બાંસુરીના મનમોહક સૂરોથી સજાવેલા આ ગીતની વિશિષ્ટતા એ છે કે રાધા-કૃષ્ણના પ્રેમને પ્રકટ કરતા આ ગીતની તરજ પાશ્ચાત્ય  છે.

http://m.youtube.com/watch?v=eoeB2vCEbWU&desktop_uri=%2Fwatch%3Fv%3DeoeB2vCEbWU

'પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયાં ચલી....'






કન્યાવિદાય જેવા પ્રસંગને લઈને આપણે ત્યાં અનેક સુંદર કાવ્યો લખાયા છે. તો ફિલ્મોમાં પણ આ પ્રસંગને એટલી અસરકારક રીતે રજૂ કરવામાં આવેલો હોય છે કે મોટાભાગના દર્શકોની સંવેદના ઝંકૃત થઈ ઊઠે. પિતાનું ઘર છોડીને પિયુ સંગ સાસરવાસે સીધાવી  રહેલી  કન્યાના મનમાં હર્ષ અને શોકના મિશ્ર ભાવોનું  દ્વંદ્વ ચાલી રહ્યું હોય એ સમયના તેના મનોભાવને વ્યક્ત કરતું એક સરસ ગીત એટલે ફિલ્મ 'મધર ઈન્ડિયા'નું શમશાદ બેગમે ગાયેલું ગીત, 'પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયાં ચલી....'

ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં......







ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં......

ફેસબુક પર એક મિત્રનો ચશ્માં પહેરીને પાડેલો ફોટોગ્રાફ જોઈને ઉપરના ગીતની યાદ આવી ગઈ. જ્યારે પણ આ ગીત સાંભળું ત્યારે મનમાં એમ થાય કે બિચારો હીરો આ ગીતમાં વખાણ કોના કરી રહ્યો છે? ચશ્માના કે પછી ફૂટડી, નમણી હીરોઈનના? એ જે હોય તે. પણ એક વાત તો ખરી જ... ચશ્માં પહેરવાથી માણસનું આખું યે વ્યક્તિત્વ બદલાઈ જાય, એ વાત તો નક્કી જ. પેલી જાહેરખબરમાં આવે છે એમ, 'એક આઈડિયા જો બદલ દે આપ કી દુનિયા' એમ 'એક ચશ્માં જે બદલી દે આપનું વ્યક્તિત્વ....' તમારી બાજુમાં બેઠેલો કોઈ માણસ અચાનક ખિસ્સામાંથી ચશ્માં કાઢીને આંખ પર લગાવી દે અને એવું યે બને કે તમે એને ઓળખી પણ ન શકો!

પિયાનો....





એક સમયે સંગીતકાર નૌશાદ અલીને, તેમના  નિવાસસ્થાને એક ખૂણામાં પડેલા વિશાળ પિયાનો જોઈને પૂછ્યું હતું કે આપ તો હિન્દુસ્તાની સંગીતના ચુસ્ત પુરસ્કર્તા છો, તો પછી આ પિયાનો અહીં શા માટે રાખ્યો છે? સવાલનું મહત્વ સમજીને નૌશાદસાહેબે સ્પષ્ટતા કરી:  "આપકો શાયદ જાનકારી નહીં હોગી, લેકિન પિયાનો મેરા બહોત હી અઝીઝ સાઝ હૈ. વો જિતના મઘરીબી હૈ ઉતના હી હિન્દુસ્તાની ભી."


તે પછી નૌશાદસાહેબે જે કહ્યું તેનાથી હરકોઈ સંગીત ચાહકની ઉત્સુકતા ઉત્તેજનામાં પરિવર્તિત થઇ જાય! પિયાનો પાછળની ખુરશી તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું: "વહાં બેઠકર રફીસા'બને 'મેરે મહેબૂબ' કે ઉસ નગમે કી રિહર્સલ કી થી......." મેરે મહેબૂબ ફિલ્મમાં સાધનાના સૌંદર્યથી મોહિત રાજેન્દ્રકુમાર માટે રફીએ  "એ હુસ્ન જરા જાગ તુજે ઇશ્ક જગાયે" ગીતનું રિહર્સલ આ જગ્યાએ કર્યું હતું.

અન્ય કેટલાંક ગીતોમાં પણ પશ્ચિમી પિયાનોનો ઉપયોગ હિન્દુસ્તાની સંગીતરચનાઓ માટે નૌશાદસાહેબે કુશળતાથી કર્યો હતો. તે ગીતોમાં લતા મંગેશકરે ગાયેલા "યે કૌન આયા રોશન હો ગઇ મહેફિલ જીસકે નામ સે" (સાથી) અને  ''કલ કે સપને આજ ભી આના" (આદમી) ઉલ્લેખનીય છે. રફી-મહેન્દ્ર કપૂર અને રફી-તલત મહેમૂદે ગાયેલાં "કૈસી હસીન આજ બહારોં કી રાત હૈ" ગીતમાં પણ પડદા પર દિલીપકુમાર પિયાનો બજાવતા દેખાયા હતા. સંગીતકાર ઓ. પી. નૈયરે પણ ફિલ્મ ગીતોમાં પિયાનોનો ઉપયોગ જાદુઇ અસર નિપજાવવા માટે કર્યો હતો. રફીએ ગાયેલા "આપ કે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ" ગીતમાં પડદા પર  પડછંદ ધર્મેન્દ્ર  અત્યંત સોહામણા  લાગતા હતા. ગુરુદત્તની "બહારેં ફિર ભી આયેંગી" ફિલ્મની આ સૌમ્ય સ્વરરચનાને રફીએ પોતાનો રેશમી અવાજ આપ્યો હતો. આ ગીત આજે પણ સૂચક પિયાનો ગીત બની રહ્યું છે.

પિયાનોનો પ્રભાવ કેવો જાદુઇ છે તે સમજવા માટે શંકર-જયકિશન દ્વારા સંગીતબદ્ધ ફિલ્મ"સંગમ" નિહાળવી પડે. "દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા" ગીતમાં મુકેશના સ્વરમાંથી છલકાતો તીવ્ર સંતાપ મહદઅંશે પિયાનોના કુશળતાપૂર્ણ ઉપયોગને આભારી હતો. ખુદ શંકરે આ ગીતમાં પિયાનો વગાડેલો.

"મેં વોહી હું" નામની ઓછી જાણીતી એક ફિલ્મમાં રફીએ ગાયેલું "બહુત હસીન હો બહુત જવાન હો" ગીત પણ પિયાનો આધારિત હતું. . સંગીતકાર ઉષા ખન્ના તેમની આ સંગીતરચના માટે આજે પણ ગર્વ અનુભવે છે.

હિંદી ફિલ્મી સંગીતમાં પિયાનોનો ઉપયોગ સૌપ્રથમવાર શ્રી પન્નાલાલ ઘોષે 1942ની ફિલ્મ 'બસંત'માં કરેલો. બાળકલાકાર તરીકે મધુબાલા પર આ ગીતનું ફિલ્માંકન થયેલું. ત્યારથી લઈને આજ સુધી લગભગ બધાજ સંગીતકારોએ આ અદ્ભૂત વાદ્યનો ઉપયોગ કરીને કેટલીયે અવિસ્મરણીય રચનાઓ આપી છે.

જેમાં પિયાનોનો ઉપયોગ થયો હોય એવા આપના મનપસંદ ગીતો વિષે જણાવશો તો આનંદ થશે!

રાગમાલા... ઉમરાવજાન...




ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરામાં, જ્યારે કોઈ એક ગીતમાં, એક કરતાં વધુ રાગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને દરેક રાગ પોતાના મૂળભૂત સ્વરૂપમાં હોય તો આવી રચનાને 'રાગમાલા' કહે છે. જોકે, સંગીત વિષયક ગ્રંથોમાં રાગમાલાની પરંપરા વિશે કશો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ એમ કહી શકાય કે, રાજદરબારોમાં, સંગીતકલા વડે  રાજવીઓને રીઝવવાનું ચલન વધ્યું હશે, ત્યારે કદાચ રાગમાલાનો પ્રયોગ કરવામાં આવ્યો હશે. એક રાગમાંથી બીજા રાગમાં પલટાતી ગાયકી રજૂ કરીને સંગીતમાં કશુંક નાવિન્ય લાવવાની આ યુક્તિ, આજે પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.

વક્તને કિયા ક્યા હંસી સિતમ...





અંગ્રેજીમાં એક ઉક્તિ પ્રચલિત છે:-

"To make simple thing complicated is commonplace. But, to make complicated things awesomely simple is Creativity."

અનોખી પ્રતિભાના માલિક એવા ગુરુદત્તના વ્યક્તિત્વને આ ઉક્તિ સંપૂર્ણપણે યથાયોગ્ય છે. સર્જનાત્મક અને કલાત્મક ફિલ્મો માટે જેને ચિરકાળ સુધી ફિલ્મરસિકો ભૂલી ન શકે એવા ગુરુદત્તે આપણને એક એકથી ચડે એવી, વૈશ્વિક સ્તરે 'Masterpiece' કહેવાય એવી ફિલ્મો આપી.

રાતના રંગ... શકીલને સંગ..





શાયર પોતાની શાયરીમાં ક્યા શબ્દોનો સૌથી વધુ ઉપયોગ કરે છે? ચાંદ, રાત, પાની, ઝિંદગી, આઈના...... થોડા દિવસ અગાઉ શકીલ  બદાયૂંનીના ગીતો સાંભળતા સાંભળતા અચાનક ખ્યાલ આવ્યો કે આ શાયર 'રાત' ને કેટલો પ્રેમ કરે છે! 'રાત'ના કેટકેટલા અલગ અલગ રંગ શકીલ બદાયૂંનીની રચનાઓમાં જોવા મળે છે. અને દરેક વખતે આ 'રાત' શબ્દથી ઉત્પન્ન થતો ધ્વનિ, સાંભળનારને કંઈક અલગ જ અનુભૂતિ કરાવે છે.

'કેબરે ક્વિન' હેલન...




આજે મોટાભાગની ફિલ્મોમાં આઈટમ સોંગ જોવા મળે છે, ચાહે એની જરૂરત હોય કે ન હોય. ગંભીર વિષય પર ફિલ્મ બનાવનારા પ્રકાશ ઝા(ફિલ્મ: ગંગાજલ અને અપહરણ) તેમજ મધુર ભંડારકર(ફિલ્મ: હીરોઈન) જેવા ફિલ્મસર્જકો પણ આઈટમ સોંગનો ઉપયોગ પોતાની ફિલ્મોમાં કરવાનો મોહ ટાળી શક્યાં નથી. જોકે, સામાન્ય રીતે 'આઈટમ નંબર'ને જે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે મુજબ, કાન ફાડી નાંખે એવું સંગીત, અર્થવિહીન યા તો દ્વિઅર્થી શબ્દો અને અભદ્ર ભાવભંગિમાઓ સાથેનું વરવું નૃત્ય.
ક્યાંક મુન્ની બદનામ થઈ રહી છે તો ક્યાંક શીલા જવાન થઈ રહી છે. ક્યાંક દિલ મફતમાં મળી રહ્યું છે તો ક્યાંક જવાની હલકટ થઈ રહી છે.(આ બધાની વચ્ચે ક્યારેક ક્યારેક અપવાદ રૂપે 'જુબાં પે લાગા લાગા રે નમક ઈશ્ક કા' જેવા ગીતોમાં વિશાલ ભારદ્વાજના સંગીતમાં ગુલઝારસાહેબની કલમના ચમકારા જોવા મળી જાય!)


જો કે, આવા ગીતો આવે છે અને બહુ જ જલદીથી ભૂલાઈ પણ જાય છે. કોને યાદ હશે કે ફિલ્મ 'ગંગાજલ'માં ક્યું આઈટમ સોંગ હતું અને તે સંજય દત્તની પત્ની માન્યતા પર ફિલ્માવવામાં આવેલું! ફિલ્મ જેણે જોઈ હશે એણે પણ કદાચ આ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય. અથવા તો જેમને ખ્યાલ હશે તેમને પણ કદાચ  યાદ નહીં હોય. પણ  'મેરા નામ ચિન ચિન ચૂં', 'પિયા તુ અબ તો આ જા', 'ઓ હસીના ઝૂલ્ફોંવાલી જાને જહાં', 'યે મેરા દિલ પ્યાર કા દીવાના', ઇસ દુનિયામેં જીના હો તો', 'મહેબૂબા મહેબૂબા' જેવા ગીતોની વાત નીકળે તો જેમણે પણ આ ફિલ્મો જોઈ હશે તેમને હેલનનું નામ યાદ કરવા માટે દિમાગ પર જોર નહીં કરવું પડે! આ જ તો ફરક છે, આજના કઢંગા 'આઈટમ ગીતો' રજૂ કરનારી નાયિકાઓ અને હેલન વચ્ચે.

હેલનનો ખ્યાલ દિલમાં આવતાની સાથે જ એક એવી કેબરે ડાન્સરનું ચિત્ર દિમાગમાં ઊભરે છે, જેના શરીરમાં લચક, જેના અંગમરોડમાં લય અને જેની ભાવભંગિમાઓમાં રહસ્યમયી માદકતા જોવા મળે છે. ગીતની ગતિ તેજ હો કે સૌમ્ય, હેલનનું નૃત્ય ગીતને એક નવું જ પરિમાણ બક્ષે છે અને દર્શકોને રોમાંચની એક અનેરી દુનિયામાં લઈ જાય છે.     

યાદ કરો ફિલ્મ 'હાવડા બ્રિજ'નું ગીત 'મેરા નામ ચિન ચિન ચૂં....' જાપાની ગુડિયાની વેશભૂષામાં પડદા પર નાચતી, થિરકતી હેલન, બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં પણ રંગીનીનો માહૌલ જમાવી દે છે! તો ફિલ્મ 'ડોન'નું ગીત 'યે મેરા દિલ યાર કા દીવાના' યાદ કરો... તદ્દન ટૂંકા વસ્ત્રોમાં માદક નૃત્ય દ્વારા અમિતાભ બચ્ચનને રિઝવવાની કોશિષ કરતી નૃત્યાંગના તરીકે દર્શકો પર પોતાના કામણનો જાદૂ ચલાવનારી હેલનની આંખોમાં જે ખુમાર, જે ખૂની ચમક અને કાતિલતા જોવા મળે છે... પોતાના ભાઈના મોતનો બદલો લેવા તડપતી એક વેર પિપાસુ બહેન પોતાના મનોભાવ આંખો વડે કઈ રીતે પ્રગટ કરે છે તેનો અદ્ભૂત અભિનય હેલને આ ગીતમાં કર્યો છે. તો પોતાના પ્રેમીના વિરહમાં તડપતી સ્ત્રીની મનોવ્યથા અને પ્રેમીના મિલનની ઉત્તેજના અને ઉલ્લાસની મનોસ્થિતિ - આ બંને લાગણીઓને કઈ રીતે એક જ ગીતમાં નૃત્યાત્મક રીતે હેલને રજૂ કરી છે તે જોવા માટે ફિલ્મ 'કારવાં'નું ગીત - 'પિયા તુ અબ તો આ જા' જોઈ લેવું. હેલનના નૃત્યના આવા એક બે નહીં પણ ડઝનબંધ ઉદાહરણ મળી આવે. અને આ જ તો હેલનની ખૂબી છે. અભિનયસહ નૃત્ય રજૂ કરવાની આ કુશળતા આજની આઈટમ ડાન્સરોમાં શોધી જડે એમ નથી. '૬૦ અને '૭૦ના દશકમાં હેલન પર ફિલ્માવાયેલા કેબરેનૃત્યો આજે પણ આંખ (કે કાન) સમક્ષ આવે તો પગ આપોઆપ થરકવા માંડે! જો કે, એ વાત પણ અહીં નજરઅંદાજ કરી ન શકાય કે આ બધા જ ગીતોની સફળતા પાછળ હેલનના નૃત્ય કૌશલ્ય ઉપરાંત ગીતકાર, સંગીતકાર અને નૃત્યનિર્દેશકનું પણ અમૂલ્ય યોગદાન રહેલું છે.

એમાં કોઈ બેમત નથી કે હેલને પોતાના સમયમાં ખૂબ જ ઓછા વસ્ત્રોમાં કેબરે અને બીજા પ્રકારના નૃત્યો રજૂ કર્યાં. પણ આની સાથે એ વાત પર પણ સૌ મિત્રો સહમત થશે કે હેલનના નૃત્યોમાં ક્યારેય કંઈ ભદ્દાપણું લાગતું ન હતું. ટૂંકા વસ્ત્રો અને ભારે મેકઅપના ઠઠારા વચ્ચે હેલન દ્વારા જે પાશ્ચાત્ય નૃત્યો રજૂ થતાં એમાં એક પ્રકારની ગરિમા રહેતી, એક નૃત્યાંગનાનું વિશિષ્ટ કૌશલ પ્રકટ થતું. નૃત્યને અત્યંત માદક રીતે રજૂ કરવાની જે કલા હેલન પાસે હતી એ આજપર્યંત કોઈ અભિનેત્રી પાસે જોવા મળી નથી. કેબરે હોય, લોકનૃત્ય હોય, મુજરો કે પછી શાસ્ત્રીય નૃત્ય - હેલન પોતાની 'બોડી લેંગ્વેજ' અને ચહેરા પરના ભાવથી દરેક પ્રકારના નૃત્યમાં જીવંતતા લાવી દેવામાં અત્યંત કુશળ હતી. જ્યારે કોઈ ગીતની ધૂન પર હેલનનું શરીર થરકતું તો એની લચક જોઈને એમ લાગે કે જાણે કોઈ રબ્બરની ઢીંગલી, ગીતના શબ્દોને તેના યોગ્ય અર્થ આપી રહી છે! અને આ જ કારણ હતું કે દર્શકોની નજર હેલનના ટૂંકા વસ્ત્રો કરતા તેની નૃત્યશૈલી પર વિશેષ રહેતી.

હેલને પોતાના પર ફિલ્માવાયેલા ગીતોને જે ભવ્યતાથી, માદકતાથી અને સુંદરતાથી રજૂ કર્યા છે, હેલન અને કેબરે એકબીજાના પર્યાય બની ગયા છે, એમ કહીએ તો ખોટું નહીં લેખાય. ૧૯૫૧માં ફિલ્મ 'શબિસ્તાન' અને 'આવારા'થી માત્ર બાર જ વર્ષની વયે ગ્રુપ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હેલને પોતાના સમયમાં એક પછી એક ડઝનબંધ ફિલ્મોમાં પોતાના કામણથી દર્શકોને રિઝવ્યાં. પાંચ દશક લાંબી કારકિર્દી દરમિયાન પાંચસો જેટલી ફિલ્મોમાં કામ કરનાર હેલનને '૭૯માં મહેશ ભટ્ટની ફિલ્મ 'લહૂ કે દો રંગ' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળેલો. ૨00૯માં હેલનને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલો. ૨00૬માં જેરી પિન્ટો નામના લેખકે, હેલન પર લખેલા પુસ્તક, 'ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ એન એચ-બોમ્બ' ને સાલ ૨00૭માં સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુસ્તક માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયેલો.

રિટાયરમેન્ટના વર્ષો વિત્યા છતાં લોકો તેમને 'કેબરે ક્વિન' તરીકે હજુ યે પ્રેમપૂર્વક યાદ કરે છે. વર્ષો બાદ, સાઠ વર્ષથી પણ વધુ ઉમરે હેલને ફિલ્મ 'મોહબ્બતેં'માં શાહરૂખ ખાન સાથે જે સ્ફૂર્તિથી ડાન્સ કર્યો છે એ જોવાલાયક છે. આ ગીતમાં હેલનની 'એનર્જી' સામે 'ડાયનેમિક' શાહરૂખ ખાન પણ ઝાંખો લાગે છે......

મે 13, 2014

હાર્મોનીકા...






સુપરહીટ શોલે ફિલ્મનો એક યાદગાર સીન છે. વિધવા વહુ જયા ભાદુરી ઘરની બહારના ફાનસ ઓલવી રહી છે અને બહાર અમિતાભ બચ્ચન જે એને મનોમન ચાહવા લાગ્યો છે એ માઉથ ઓર્ગન (હાર્મોનીકા) પર એક સુંદર ટયુન વગાડે છે. ઘણા ઓછા લોકો ને ખબર છે કે આ ટયુન ખરેખર 'શોલે'ના સંગીત દિગ્દર્શક આર. ડી. બર્મને નહી પણ એમના સહાયક બસુદેવ ચક્રવર્તીએ રચ્યું હતું અને એને માઉથ ઓર્ગન પર વગાડનાર કલાકારનું નામ ભાનુ ગુપ્તા.

૧૯૩૨માં બર્મા (મ્યાનમાર) માં જન્મેલા ભાનુ ગુપ્તાએ ક્રિકેટર થવું હતું પણ ઉચ્ચતર અભ્યાસ માટે કલકત્તામાં નિવાસ દરમ્યાન સંગીત તરફ વળ્યા. કલકત્તામાં સ્ટેજ શોમાં સલીલ ચૌધરીના ગીતો માઉથ ઓર્ગન પર વગાડતા. અંતે સંગીતનો શોખ તેમને મુંબઈ ખેંચી લાવ્યો. અહી તેઓ ગીટાર વગાડતા શીખ્યા. એમને સૌથી પહેલો મોકો સી. રામચંદ્રજીએ 'પૈગામ'માં આપ્યો. રાહુલદેવ બર્મન સાથે એમની મુલાકાત માઉથ ઓર્ગનના એક વાદ્યસંગીતનું આલ્બમ બનાવવા માટે થઇ પરંતુ એની જગ્યાએ ભાનુજીને 'તીસરી મંઝીલ' માટે ગીટાર વગાડવાનું કામ મળ્યું. ત્યાર પછી એમનો આર. ડી. બર્મન સાથે ઘણો લાંબો સંબંધ રહ્યો અને ઘણા ચલચિત્રોમાં માઉથ ઓર્ગન અને ગીટાર વગાડવાનું કામ કર્યું. ભાનુ ગુપ્તાએ સલીલ ચૌધરી સાથે 'આનંદ'માં 'ના જીયા જાયે', ઓ. પી. નૈયર સાથે 'કશ્મીર કી કલી'માં ' કિસી ના કિસી સે', એસ. ડી. બર્મન સાથે 'આરાધના'માં 'મેરે સપનો કી રાની', મદન મોહન સાથે 'સંજોગ'માં 'ભૂલી હુઈ યાદોં' જેવા અસંખ્ય ગીતોમાં ગીટાર અને માઉથ ઓર્ગન વડે સાથ આપ્યો છે. છતાં 'શોલે'નું માઉથ ઓર્ગન નું આ ટયુન એમના દિલમાં એક ખાસ જગા રાખે છે.

http://www.youtube.com/watch?v=SU242kdnG8U

માંડવાની જૂઈ.... પુરુષોત્તમ ઉપાધ્યાય






ગુજરાતની આગવી ઓળખ એનું ગુજરાતી સુગમ સંગીત, ને ગુજરાતી સુગમ સંગીતની આગવી ઓળખ એટલે સંગીત શીરોમણી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય.

પ્રિયા રાજવંશ







પ્રિયા રાજવંશ...

હકીકત, હીર રાંઝા, હિન્દુસ્તાન કી કસમ, હંસતે ઝખ્મ, સાહેબ બહાદૂર, કુદરત અને હાથોં કી લકીરેં જેવી ગણીગાંઠી ફિલ્મોની નાયિકા..

શિમલામાં જન્મેલી પ્રિયાનું મૂળ નામ વીરા હતું. નાનપણથી જ બેહદ ખૂબસૂરત એવી વીરાએ શિમલામાં જ સ્કૂલ-કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. કોલેજનાં અભ્યાસ દરમિયાન તેણે કેટલાયે અંગ્રેજી નાટકોમાં ભાગ લીધો. સુંદર નાક્નકશો અને લાંબા વાળ ધરાવતી વીરાને જોઇને હોલિવૂડ અભિનેત્રી ગ્રેટા ગાર્બોની યાદ આવી જાય. વનવિભાગમાં કાર્યરત એવા વીરાના પિતા સુંદરસિંહને યુનો તરફથી બ્રિટન મોકલવામાં આવ્યા, તો તેમની સાથે જ ગયેલી પ્રિયાએ લંડનની પ્રતિષ્ઠિત સંસ્થા રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટમાં પ્રવેશ લીધો. લંડનના જ કોઈ ફોટોગ્રાફરે લીધેલી વીરાની તસ્વીર કોઈક રીતે ભારત પહોંચી અને નિર્માતા નિર્દેશક ચેતન આનંદ કે જે એ સમયે ’૬૨ની સાલના ભારત-ચીન  યુદ્ધની પૃષ્ઠભૂમિકા પર ફિલ્મ ‘હકીકત’નું નિર્માણ કરી રહ્યા હતા તેમણે પ્રિયાને પોતાની ફિલ્મમાં કામ કરવાની તક આપી. વીરાનું ફિલ્મી નામ પ્રિયા રાજવંશ પણ તેમણે જ આપેલું.

‘હકીકત’ તો, સૌ જાણે છે તેમ, યુદ્ધવિષયક ફિલ્મોમાં એક સીમાચિહ્નરૂપ ફિલ્મ બની રહી. પ્રિયાએ ન કેવળ આ ફિલ્મમાં અભિનય જ કર્યો, પરંતુ નિર્માણના દરેક તબક્કે ચેતન આનંદની મદદ કરી. પછી એ સંવાદલેખન હોય કે પટકથાલેખન હોય કે નિર્દેશન, અભિનય કે પછી સંપાદન.... એ સમય દરમિયાન જ પત્નીથી છૂટા થયેલા ચેતન આનંદ માટે પ્રિયાનું મહત્વ જિંદગીમાં એટલું વધી ગયું કે બંને એ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો. ચેતન આનંદ કરતા પ્રિયા ઉમરમાં બાવીસ વર્ષ નાની હતી, પરંતુ ઉમરનો આ તફાવત ક્યારેય તેમના સંબંધની આડે આવ્યો નહીં. બંને એ લગ્ન નહોતા કર્યા. તેમ છતાં જિંદગીની ગાડી પૂરપાટ દોડતી રહી.

‘હકીકત’ બાદ આવી ફિલ્મ હીર રાંઝા. પદ્યમાં બોલાયેલા સંવાદોવાળી આ ફિલ્મનાં ગીતો અને સંવાદો કૈફી આઝમીએ લખેલા. ફિલ્મમાં ‘જાની’ રાજકુમાર સામે પ્રિયાએ અવ્વલ ટક્કર લીધી. ફિલ્મના કર્ણપ્રિય ગીતો લોકોની જબાન પર રમવા લાગ્યા. ‘હીર રાંઝા’ બાદ પ્રિયા સામે અનેક ફિલ્મોની ઓફરો આવી. પણ ચેતન આનંદની જ ફિલ્મોમાં કામ કરવું એવો નિશ્ચય કરી ચૂકેલી પ્રિયાએ અન્ય કોઈની ફિલ્મ ક્યારેય ન સ્વીકારી. કહેવાય છે કે સત્યજીત રે અને રાજ કપૂરની ઓફરો પણ પ્રિયાએ ઠુકરાવી દીધેલી. પતિપત્નીની જેમ જ સાથે રહેતાં ચેતન આનંદ અને પ્રિયા વચ્ચે અણબનાવ, ઝઘડા અને અંતે સમાધાન પણ સહજ રીતે થતા રહ્યા. શરૂઆતના સમયમાં ચેતન આનંદના બંગલે જ રહેતી પ્રિયા, પાછળથી પોતાના અલગ નિવાસસ્થાને રહેવા લાગી. દિવસમાં બે વાર જમવાના સમયે એ ચેતન આનંદને મળવા જતી. ૧૯૯૭મા ચેતન આનંદનું અવસાન થયું ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહ્યો.

ચેતન આનંદના અવસાન બાદ એકલી પડી ગયેલી પ્રિયા માટે ચેતન આનંદનો બંગલો જ તેના મોતનું કારણ બન્યો. ચેતન આનંદે પોતાના બંને પુત્રો કેતન અને વિવેકની સાથે પ્રિયાનો પણ પોતાના બંગલામાં ભાગ રાખેલો. કહેવાય છે કે બંને ભાઈઓએ લાલચમાં આવીને પોતાના નોકરોની મદદથી ૨૭ માર્ચ, ૨૦૦૦ના દિવસે પ્રિયાનું ક્રૂરતાપૂર્વક ખૂન કરી નાખ્યું. આમ એક સુંદર વ્યક્તિત્વનો આવો કરૂણ અંજામ આવ્યો.

વર્દરાજન....



.ઈ. સ. 1987ના મે મહિનાની વાત. વિખ્યાત ફિલ્મનિર્દેશક મણિરત્નમ્ ચેન્નાઈના એક સ્ટુડિયોમાં લાગેલા ઝૂંપડપટ્ટીના સેટ પર દ્રશ્યનું ફિલ્માંકન કરી રહ્યાં હતા. તે સમયે ગુંડા જેવા લાગતા ચાર-પાંચ માણસો સેટ પર આવીને ચૂપચાપ શૂટિંગ જોઈ રહ્યાં હતા. મણિરત્નમ્એ એક નજર તેમના સામે કરી અને ચૂપચાપ પોતાનું કામ કરવા લાગ્યા.

શૂટિંગના ચોથા દિવસે તેમનો ફોન રણક્યો. સામેથી સાંકેતિક ભાષામાં સંદેશો અપાયો. સંદેશો સાંભળીને ભયભીત બની ગયેલા રત્નમ્, જોખમ લઈને પણ, નિયત કરેલા સમયે અને સ્થળે પહોંચ્યા. શ્વેત ધોતિયું પહેરેલા, કપાળમાં તિલક કરેલા, નાના કદના પણ શક્તિશાળી માણસે તેમને આવકાર્યા.

એ માણસ એટલે બીજું કોઈ નહીં પણ રત્નમ જેના જીવન અને કુકર્મ પર આધારિત 'નાયકન' નામની ફિલ્મ બનાવી રહ્યાં હતા, એ વર્દરાજન મુદલિયાર ઉર્ફે 'વર્દાભાઈ' તરીકે કુખ્યાત મુંબઈનો ગુંડો સરદાર!

રત્નમ્ ના આશ્ચર્ય વચ્ચે, વર્દા તેમની ફિલ્મ વિશે, ફિલ્મના હીરો વિશે જાણવા ઉત્સુક હતો! વર્દાને એ જાણવું હતું  કે ફિલ્મનો હીરો પોતાની ગરદન પર લાલ રંગનો ખેસ વીંટાળે છે? તે લોકોને ફટકારે છે? કોર્ડલેસ ફોન પર હુકમ આપ્યા કરે છે? (એ સ્પષ્ટ હતું કે હિન્દી સિનેમામાં ખલનાયકના પાત્રને જેવું ચિતરવામાં આવે છે, તેનાથી વર્દા વાકેફ હતો.)

ફિલ્મમાં ગુંડા સરદાર કેવો હોવો જોઈએ એ અંગે રત્નમ્ ને જણાવતા વર્દાએ કહેલું :  “તમારી ફિલ્મ એકપક્ષી ન બની જાય તે સુનિશ્ચિત કરજો. કોઈપણ વ્યકિત, ગુંડા સરદાર સહિતની કોઈપણ વ્યક્તિ, તેને ચીતરવામાં આવે છે, એટલી ખરાબ નથી હોતી. તમારી માથે એકની એક બાબત થોપવામાં આવે તો તમે એના આદી બની જાઓ એ વાત ખરી છે, પરંતુ તમને જે દેખાડવામાં આવ્યું છે, તે જ સાચું હોય એવું જરૂરી નથી. સત્યનું પ્રભાવલય તો દ્રષ્ટિની પેલે પાર સુધી વિસ્તરેલું હોય છે. અંધારી આલમ હંમેશા પોલીસથી એક ડગલું આગળ શું કામ હોય છે, તમને ખબર છે? અમારી પાસે ભલે કોઈ સુવિધા નથી, ભલે ઢગલાબંધ માણસો નથી, પણ અમે બુદ્ધિશાળી છીએ, કૌશલ્યવંત છીએ......વગેરે વગેરે....”

જોકે, રત્નમ્ જેને ગર્ભિત ધમકી સમજતા એવી આ વાત અર્ધસત્ય જ હતી. એ સમયે વર્દા મુંબઈ પોલીસથી ડરીને ભાગતો ફરતો હતો. સામે એ વાત પણ એટલી જ સાચી હતી કે, જો વર્દા ધારે તો આખી ફિલ્મનું શૂટિંગ ખોરવી નાખે. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એ સ્પષ્ટ થતું ગયું કે વર્દાને પોતાના જીવન પર  આધારિત આ ફિલ્મ બને અને તેમાં પોતાના પાત્રનું વાસ્તવિક ચિત્રણ રજૂ થાય એમાં રસ હતો.

કુખ્યાત દાણચોર હાજી મસ્તાનના જીવન પર વિખ્યાત પટકથાલેખક જોડી સલીમ-જાવેદે લખેલી ફિલ્મ 'દીવાર'થી સ્ટાર સ્ટેટસ મેળવનાર અમિતાભ બચ્ચનની જેમ જ કમલ હાસને વર્દાભાઈની ભૂમિકામાં પ્રાણ રેડી દીધેલો. તે વર્દાને મળ્યો ત્યારે એક વાતોડિયા અને ઊર્જાભર્યા, ભારોભાર ચંચળ અને જોશભર્યા માણસ તરીકે પિછાણીને અવાચક બની ગયેલો!

વર્દાએ ફિલ્મમાં રસ દાખવ્યા બાદ રત્નમ્, વર્દા વિશે વધુ માહિતી મેળવવા મુંબઈ આવીને વર્દાના દીકરા મોહનને મળ્યાં અને એમની વાતચીતના આધારે ફિલ્મના અનેક દ્રશ્યો અત્યંત રોમાંચક બન્યાં. દા.ત., ફિલ્મમાં હીરોના નિવાસસ્થાનના દ્રશ્યો.
1987ના ઓક્ટોબર મહિનાની એક સાંજે, મણિરત્નમે તેમની આ મહત્વકાંક્ષી ફિલ્મ 'નાયકન'નો સ્પેશિયલ પ્રિવ્યૂ શો,ચેન્નાઈના ટી.નગર પ્રિવ્યૂ થિયેટરમાં યોજેલો. આગલી હરોળમાં ખુશખુશાલ વર્દરાજન મુદલિયાર તેમના પરિવાર અને મિત્રો સાથે બિરાજેલા હતા. એ પ્રિવ્યૂ પછીની સવારે વર્દાએ રત્નમને ફોન કર્યો અને કહ્યું,:  “હું શક્તિશાળી માણસ છું, પણ તમારી ફિલ્મે મને એ વાતનું ભાન કરાવ્યું છે કે હું વધુ સારો માણસ બની શક્યો હોત. ઘણું ઘણું વધારે સારું કામ કરી શક્યો હોત. તમે મને મદદ કરો. તમે કોઈને એવું ન કહેતા કે, આ ફિલ્મ મારા જીવન પર આધારિત છે. હું સખત મૂંઝવણ અનુભવું છું.”

રત્નમે આ ભડભાદર માણસની આખરી ઈચ્છાને માન આપ્યું. જી હા, આખરી ઈચ્છા. આ ઘટનાના ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં વર્દા હ્રદયરોગના હુમલાને લીધે મૃત્યુ પામ્યો....  2 જાન્યુઆરી, 1988ના દિવસે.

વર્દા ઈચ્છતો હતો કે તે શાંતિથી, ચૂપચાપ મરે, નહીં કે ફિલ્મના નાયકની જેમ હિંસક રીતે તેનું મોત થાય. તેને દિલથી ચાહતા લોકો દ્વારા તેના મોત બાદ કોઈ તંગદિલી ન સર્જાય એવી તેની ઈચ્છા પૂરી થઈ. વર્દાનો એક વેળાનો બોસ, દાણચોર હાજી મસ્તાન વર્દાના મૃતદેહને લેવા મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નઈ આવેલો. અંતિમયાત્રાના દિવસે. વર્દાના મૃત્યુનો શોક પાળતા હોય એમ આખા મુંબઈની બધી દુકાનોના શટર બંધ રહેલા. એકઠા થયેલા ઢગલાબંધ લોકોએ વર્દરાજનના મૃતદેહ પર પુષ્પવર્ષા કરી હતી.

* 'નાયકન'ને 1988ની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં એકેડેમી એવોર્ડ માટે નામાંકન પ્રાપ્ત થયેલું.


મે 10, 2014

हीरे मोती मैं ना चाहूँ....





हीरे मोती मैं ना चाहूँ.....
मैं तो चाहूँ संगम तेरा....
मैं तो तेरी सैयाँ....
तू है मेरा....
सैयाँ.... सैयाँ....

પ્રેમમાં પોતાના પ્રિયતમને સંપૂર્ણપણે સમર્પિત એવી પ્રિયતમાનાં હૃદયનું પ્રણયભીનું નિવેદન રજૂ કરતું આ ગીત, બંધ આખે એકધ્યાન થઈને સાંભળો તો એમ લાગે કે કોઈ સ્ત્રી એના પ્રણયનો એકરાર નથી કરી રહી, પરંતુ કોઈ વૈરાગી આત્મા, પરમતત્વ સુધી પોતાના હૃદયની વાત, સૂરોના માધ્યમથી પહોંચાડી રહ્યો છે. આવી અનુભૂતિ થવી સ્વાભાવિક છે. કારણ, ગાયક કૈલાસ ખેર કે જેની ગાયકી પર નાનપણમાં જ પડેલા સંસ્કારોની અસર છે. નાનપણથી જ ધાર્મિક વાતાવરણ અને ધાર્મિક પરિવેશ વાળા ગ્રામીણ પરિવારમાં ઉછરેલા કૈલાસ ખેરનાં ઘરમાં પહેલેથી જ સૂફી સંતો, ફકીરોની આવનજાવન રહેતી. એકતારા પર તેમને ગાતા સાંભળીને, તેમાનો ભાવાર્થ ના સમજવા છતાં બાળ કૈલાસ સાથે સાથે ગાવા લાગતો. પિતાના  અધ્યાત્મ પ્રેમનો વારસો કૈલાસની ગાયકીમાં, રચનાઓમાં સાંગોપાંગ ઉતર્યો છે. કૈલાસના અવાજમાં જીવન અને પ્રકૃતિના સત્યો અને તથ્યો સુપેરે ઝળકે છે અને કદાચ એટલે જ તેમના ગીતો મનને શાંતિ આપનારા બની રહે છે.

પ્રસ્તુત ગીતનું જમા પાસું છે તેનું સંગીત. કૈલાસ ખેરે પોતે લખેલા આ ગીતની ધૂન, પોતાના જ બેન્ડના સભ્યો પરેશ કામથ અને નરેશ કામથ સાથે મળીને તૈયાર કરી છે. ગીતનું ઓર એક જમા પાસું એટલે અંતરાની વચ્ચે સે'તાર નામના વાદ્યનો મધુર પ્રયોગ. સે'તાર એ ઈરાનીયન તંતુવાદ્ય છે. ફારસી ભાષામાં 'સેહ' એટલે ત્રણ (૩) અને 'તાર' એટલે ગુજરાતીમાં પણ જેને તાર કહે છે એજ! ટૂંકમાં ત્રણ તારનું તંતુવાદ્ય એટલે સે'તાર. (જોકે આધુનિક સે'તારમાં હવે ચાર તાર હોય છે.) આ એ જ વાદ્ય છે જેના પરથી આપણી ભારતીય સિતારની ખોજ થઈ હોવાનું મનાય છે. આ ગીતમાં સે'તાર વગાડવા માટે કૈલાસે ઈરાની સેતારવાદક તેહમુરેઝને ખાસ આમંત્રણ આપ્યું હતું.


http://www.youtube.com/watch?v=9K4TgdPDt2o

જય જય શિવ શંકર....






સ્થળ: કાશ્મીરના ગુલમર્ગનું શિવમંદિર. આ મંદિરમાં કોઈ એક સાંજે આરતીટાણે થતો ઘંટારવ સાંભળીને, દર્શન કરવા આવેલા બે મિત્રો પૈકી એકે ભાવવિભોર થઈને અસ્સલ લોકબોલીમાં, એક ખાસ લહેકાથી ભોલેનાથ શંકરનો જયજયકાર કર્યો અને સાથેના બીજા મિત્રને જણાવ્યું કે પોતે બહુ જ જલ્દી આ શબ્દો અને ઘંટારવ ની ધૂન પરથી ગીત તૈયાર કરીને પેલા મિત્રને ભેટ આપશે.
એક અરસા પછી આ ગીત બન્યું. એ ગીત ફિલ્મ ‘આપ કી કસમ’ નું  પ્રખ્યાત ગીત... “જય જય શિવ શંકર... કાંટા લગે ના કંકર...” અને આ બંને મિત્રો એટલે કોણ એ કહેવાની જરૂર ખરી? હીટ ગીતોની સુપરહીટ જોડી એટલે કે ‘કાકા’ ઉર્ફે રાજેશ ખન્ના અને  પંચમદા એટલે કે આર. ડી. બર્મન. ‘કાકા’ની અન્ય સુપરહીટ ફિલ્મોની જેમ ‘આપ કી કસમ’ની સફળતામાં પણ ફિલ્મના ગીત-સંગીતનો ફાળો મહત્વપૂર્ણ ગણી શકાય. લતાજી-કિશોર કુમારના અવાજમાં “કરવટે બદલતે રહે સારી રાત હમ” હોય કે “સુનો...સુના...” હોય કે પછી “પાસ નહીં આના, દૂર નહીં જાના...” હોય. કિશોર કુમારના એકલ સ્વરમાં “ઝીંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ” કે લતાજીએ ગાયેલું સુમધુર ગીત “ચોરી ચોરી ચૂપકે ચૂપકે...” હોય - આ બધા જ ગીતો સુપરહીટ રહ્યા અને હજુ આજેય આ બધા જ ગીતોનો જાદૂ યથાવત છે, એમાં કોઈ બેમત નથી. 

આ પાંચ ગીતો ઉપરાંત છઠ્ઠું ગીત કે જે આ ફિલ્મનું એક અનેરું આકર્ષણ કહી શકાય, જેને લતાજી-કિશોર કુમાર અને કોરસે ગાયું હતું. આ ગીત એટલે “જય જય શિવ શંકર...”. આ ગીતની સફળતાથી પ્રેરાઈને આ પ્રકારના ગીતો રચવાના ઘણા પ્રયાસો થયા, પણ આજ દિવસ સુધી અન્ય કોઈ જ ગીત, આ ગીતની તોલે આવી શકયું નથી.
ગીતનો ‘મૂડ’ આમ તો મોજ-મસ્તી ભર્યો અને ઉપરથી ભાંગના નશામાં ઝૂમતા, નાચતા, ઊછળકૂદ કરી રહેલા પાત્રો – આવી ‘સિચ્યુએશન’નાં ગીતો ગાવા એ લતાજીનાં સ્વભાવમાં ન હતું.  લતાજી તો એક આદર્શ ભારતીય નારીનો અવાજ! એઓ તો સદાય મુખ્ય અભિનેત્રી માટેના સાફસૂથરા ગીતો ગાય. જયારે ફિલ્મની સહઅભિનેત્રી કે ખલનાયિકા માટેના ગીતો તો આશાજી ગાય. અને આવા મસ્તીભર્યા ગીતો માટે તો આશાજીનો અવાજ અને અંદાઝ જ વધારે અનુકૂળ આવે. પરંતુ આ ગીત તો ફિલ્મની મુખ્ય અભિનેત્રી મુમતાઝ પર ફિલ્માવવાનું હતું. એટલા માટે લતાજી પાસે આ ગીત ગવડાવવું જરૂરી હતું. ગીતકાર આનંદ બક્ષીએ લતાજીને ખાતરી આપી કે તેમના ભાગે એવી કોઈ પંક્તિઓ નહીં આવે કે જેમાં ભાંગના નશાનો ઉલ્લેખ હોય કે કોઈ બેહૂદો, અશોભનીય શબ્દ હોય. અને સાચ્ચે જ, ગીત સાંભળીએ તો ખ્યાલ આવે કે ગીતકાર આનંદ બક્ષીએ કેટલી સિફતપૂર્વક શબ્દો લખ્યા છે કે જેથી લતાજીની ‘ઈમેજ’ જરા પણ ખરડાયા વિના ગીતનો ભાવ યથાવત રાખી શકાયો છે!

ગીતને ધ્યાનપૂર્વક, અંત સુધી સાંભળો તો ગીતના અંતે કિશોર કુમારના મસ્તીભર્યા અવાજમાં થોડા શબ્દો કાને પડે. મોટા ભાગના શ્રોતાઓએ આ પંક્તિના શબ્દો પર ધ્યાન ન આપ્યું હોય એ શક્ય છે.

“બજાઓ રે બજાઓ, ઈમાનદારી સે બજાઓ... પચાસ હઝાર ખર્ચ કર દિયે....હી હી હી” 

ગીતની પૃષ્ઠભૂમિ સાથે પણ આ શબ્દો મેળ ખાતા નથી. આમેય કિશોર કુમાર અવનવા ગતકડાં કરવા માટે જાણીતા હતા. એટલે એમની કોઈ મસ્તીના ભાગ તરીકે આ પંક્તિ એમણે ગાઈ નાખી હોય એમ લાગે. પણ હકીકત કૈક ઓર જ હતી. 

બન્યું એવું કે ફિલ્મના નિર્માતા જે. ઓમપ્રકાશે ફિલ્મના કુલ છ ગીતો માટે દોઢ લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરેલું. એટલે કે એક ગીત માટે અંદાજે પચીસ હજાર રૂપિયા. પંચમદા એ “જય જય શિવ શંકર” ગીત માટે ખાસ્સું મોટું કોરસ અને જરૂર કરતા કૈક વધારે સાજીંદાઓને બોલાવેલા. પંચમદાની ઈચ્છા હતી કે ગીતનાં સંગીત નિયોજનમાં ક્યાંય કોઈ કમી ન રહે. આખરે આ ગીત એમના મનગમતા કલાકાર રાજેશ ખન્ના પર ફિલ્માવવાનું હતું. રાજેશ ખન્ના માટે આમેય પંચમદાને વિશેષ પ્રીતિ હતી. (એક સમયે લંડનની પ્રખ્યાત ‘પ્રિન્સેસ ગ્રેસ હોસ્પિટલ’માં બાયપાસ સર્જરી માટે દાખલ થયેલા પંચમદાએ, ત્યાંના ડો. મુકેશ હરિયાવાલા પાસે એકરાર કરેલો કે અમિતાભ બચ્ચનની સરખામણીએ પણ એમને રાજેશ ખન્ના વધારે પસંદ હતા અને એઓ હંમેશા સારી સારી ધૂનો ‘કાકા’ માટે સંભાળીને રાખતા! પંચમ માનતા હતા કે અમિતાભ બચ્ચન ‘બોલીવૂડ લેજન્ડ’ તરીકે હંમેશા જનમાનસના દિમાગમાં રહેશે પરંતુ આગામી અનેક પેઢીઓ સુધી રાજેશ ખન્ના “પરમેનન્ટ સુપરસ્ટાર” તરીકે કરોડો ચાહકોના દિલમાં અમર રહેશે.)
ખેર... ગીતના ‘મૂડ’ માટે જેવી ‘ટ્રીટમેન્ટ’ જોઈએ એ માટે પંચમદાએ જરૂર કરતા વધુ ખર્ચ કરી નાખ્યો. એ માટે નિર્માતાની સહમતિ લેવાનું કદાચ એમણે જરૂરી નહીં સમજ્યું હોય. પણ એક દિવસ એવું બન્યું કે સાંજના સમયે ગીતનું રીહર્સલ ચાલતું હતું તે સમયે જે. ઓમપ્રકાશ સ્ટુડીઓ પર આવી પહોંચ્યા. આવતાવેંત જ સ્ટુડીઓ પરનો તામઝામ જોઇને એમની આંખો ચાર થઇ ગઈ! એમણે આવેલા જોઇને પંચમદાએ સહજ જ પૂછ્યું કે ગીત કેમ લાગે છે? ઓમપ્રકાશજીએ કચવાતે સ્વરે કહ્યું કે આટલું મોટું આયોજન... આમાં તો બહુ જ ખર્ચ લાગશે.. અને આટલા બધા સાજીંદા....એમના માટે તો પચાસ હજાર રૂપિયા જોઈ જશે... અને આમેય આ ગીતમાં ખાસ કંઈ મજા નથી આવતી.... 

પત્યું.... પંચમદાનો મૂડ ‘ઓફ’ થઇ ગયો. જે ઉત્સાહ અને ઉમંગથી તેઓ આ ગીત બનાવી રહ્યા હતા એ ગાયબ થઇ ગયા. કિશોર કુમારની ચકોર નજરે આ તફાવત પારખી લીધો. તેમણે પંચમદાને પૂછ્યું પણ ખરૂ કે વાત શું છે? થોડા ખચકાતા ખચકાતા પંચમદાએ કિશોર કુમારને બધી હકીકત જણાવી. કિશોર કુમારે પંચમદાને ધરપત આપી. અને જે. ઓમપ્રકાશને કોણ જાણે કઈ રીતે સમજાવ્યા કે તેઓએ ગીત માટે જરૂરી તમામ ખર્ચ માટે મંજૂરી આપી દીધી. રીહર્સલ પત્યું અને આખરે ગીત રેકોર્ડીંગ સ્ટુડીઓમાં પહોંચ્યું. 
પણ કિશોરદા જેનું નામ! પંચમદા જેવા સંગીતકારનો ઉતરેલો ચહેરો એમને કેમ ભૂલાય? પૂરેપૂરું ગીત જે રીતે નક્કી થયેલું એ મુજબ જ એમણે ગાયું પણ છેક છેલ્લે, ગીતના અંતભાગમાં જ્યાં ગીતનો લય એકદમ ઝડપી થઇ જાય છે, એ સમયે કિશોર કુમારે એટલા જ ઝડપભર્યા સ્વરે, એકદમ સાહજિક રીતે એક પંક્તિ ઉમેરી દીધી. કિશોર કુમારના આ ગતકડાં સાથે જ ગીત રેકોર્ડ થઇ ગયું અને ગીતની સફળતાએ ઈતિહાસ સર્જી દીધો! 

“બજાઓ રે બજાઓ, ઈમાનદારી સે બજાઓ... પચાસ હઝાર ખર્ચ કર દિયે....હી હી હી હી!!!!” 

http://www.youtube.com/watch?v=FwC_32YvJBY

મે 09, 2014

અભિનય સામ્રાજ્ઞી મીનાકુમારી





મીનાકુમારીના વ્યક્તિત્વનો જાદૂ કહો કે એમના અભિનયની તાકાત કહો કે પછી એમના જીવનમાં વણાયેલા દર્દ, ત્રાસ, પીડાનું રહસ્ય કહો.. ‘સાહબ, બીવી ઔર ગુલામ’ ની ‘છોટી બહુ’ના પાત્રને મીનાકુમારીએ જે રીતે ઉભાર્યું છે... મિત્રોને યાદ હશે જ કે ’૬૨નાં ફિલ્મફેર પુરસ્કાર માટે મીનાકુમારીની જ ત્રણ ફિલ્મો એકસાથે નામાંકિત થયેલી.. ‘સાહબ, બીવી ઔર ગુલામ’, ‘મૈ ચૂપ રહૂંગી’ અને ‘આરતી’. પુરસ્કાર ‘સાહબ, બીવી ઔર ગુલામ’ ને મળ્યો હતો. આમ તો ‘સાહબ, બીવી ઔર ગુલામ’માં અનેક અવિસ્મરણીય પાત્રો છે. ફિલ્મના નાના નાના પાત્રો પણ યાદ રહી જાય એવા છે. ફિલ્મની અન્ય અભિનેત્રી જેબા એટલે કે વહીદા રહેમાનનું પાત્ર પણ મહત્વપૂર્ણ છે. ગુરુ દત્તની આ ફિલ્મમાં નિર્દેશક તરીકે ભલે અબરાર અલવીનું નામ અપાયું હોય. પરંતુ ફિલ્મની એક એક ફ્રેમમાં ગુરુ દત્તનો કલાત્મક સ્પર્શ આજે પણ અનુભવી શકાય છે. ગુરુ દત્તની જ અન્ય બે ચર્ચાસ્પદ ફિલ્મો ‘કાગઝ કે ફૂલ’ અને ‘પ્યાસા’માં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર વહીદા રહેમાન આ ફિલ્મમાં પણ પોતાની આગવી છાપ છોડવામાં બેશક સફળ રહ્યા છે.


પણ ફિલ્મના અંતે બધા જ પાત્રો ભૂલાઈ જવાય છે અને ‘છોટી બહુ’ મીનાકુમારીનું પાત્ર જ યાદ રહી જાય છે. ફિલ્મમાં મીનાકુમારીનો પ્રવેશ ખાસ્સા પોણા કલાક બાદ થાય છે. પણ દર્શકો તો ફિલ્મની શરૂઆતમાં જ ખંડેરમાં ભટકતી ‘છોટી બહુ’ના દર્દભર્યા અવાજની ગહેરાઇમાં ખોવાઈ જાય છે. શું છે આ ‘છોટી બહુ’ નું દર્દ? એક મધ્યમવર્ગીય, પૂજાપાઠ કરનારી સુંદર સ્ત્રી કે જેના લગ્ન એક ઉચ્ચ કુટુંબમાં થાય છે, જ્યાં તેનો પતિ આખી રાત ગણિકાગૃહે વિતાવે છે... નાચગાન જુએ છે... ચિક્કાર શરાબ પીવે છે અને ઘરે આવીને આખો દિવસ ઊંઘે છે. એણે લગ્ન તો કર્યા છે પણ પત્ની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એને રાખવો નથી. કારણ કે એને મન ગણિકાને ત્યાં જઈને રાત વિતાવવામાં જ મર્દાનગી છે. ‘છોટી બહુ’ હવેલીની ચાર દીવાલોમાં કેદ રહીને મરવા નથી માંગતી. એની બસ એક જ ખ્વાહીશ છે, પોતાના પતિને પોતાના વશમાં કરવાની. અને એટલે જ એ ભૂતનાથ એટલે કે ગુરુ દત્તને રાતના અંધારામાં પોતાના કમરામાં બોલાવે છે. ‘છોટી બહુ’ને ખ્યાલ છે કે ભૂતનાથ, મોહિની સિંદૂર બનાવતી કંપનીમાં કામ કરે છે. આ કંપનીનો દાવો હોય છે કે આ સિંદૂરનો ઉપયોગ કરનારી સ્ત્રી પોતાના પતિને પોતાના વશમાં રાખી શકે છે.

માત્ર ચાર થી પાંચ મીનીટના આ દ્રશ્યમાં નિર્દેશકની કલ્પના શક્તિનો નિખાર જુઓ. જેવો ભૂતનાથ નતમસ્તક થઈને ‘છોટી બહુ’ના કમરામાં પ્રવેશે છે કે દર્શકને મીનાકુમારીનો અવાજ સંભળાય છે, ત્યારબાદ એના મેંદી મુકેલા પગ દેખાય છે. મીનાકુમારી એને આવકારે છે, બેસવા કહે છે અને નામ પૂછે છે. ભૂતનાથ પોતાનું નામ કહે છે. અહીં સુધી દર્શકને માત્ર મીનાકુમારીનો અવાજ જ સંભળાય છે. એવો અવાજ કે જેમાં માર્દવતાની સાથોસાથ ભારોભાર પીડા છે. ભૂતનાથનું નામ સાંભળીને મીનાકુમારી કહે છે.. ‘બડા સુંદર નામ હૈ....’ આશ્ચર્યચકિત થઇ ગયેલો ભૂતનાથ સડક થઈને ઊંચું જુએ છે. એના વિચિત્ર અને મજાકિયા નામને સુંદર કહેનારી આ પહેલી સ્ત્રી હશે. અને અહી જ દ્રશ્યની ખૂબી છે. જેવી મીનાકુમારી કહે છે કે ‘બડા હી સુંદર નામ હૈ’, તો કેમેરો એકઝાટકે મીનાકુમારીના ચહેરા પર આવી જાય છે.. અને આ અભિભૂત કરી દે તેવા સૌંદર્યને જોઇને દર્શકો મંત્રમુગ્ધ થઇ જાય છે કે ફરી કેમેરો બાઘા જેવા થઇ ગયેલા ગુરુ દત્તના ચહેરા પર આવી જાય છે. ગુરુ દત્તના ચહેરા પર બે પ્રકારે આશ્ચર્યના ભાવ આવે છે, એક તો, પોતાના નામની આગળ સુંદર વિશેષણ લાગેલું સાંભળીને અને બીજું, આવું કહેનારી સ્ત્રીનું અનુપમ લાવણ્ય જોઇને.. મીના કુમારીના વ્યક્તિત્વમાં આંખો, હોઠ અને અવાજનું અદકેરું મહત્વ હતું. આ ત્રણેયનો સમન્વય થઈને મીનાકુમારીના વ્યક્તિત્વને રૂપેરી પડદે એક અદભૂત રીતે નિખાર મળતો. મીનાકુમારી એ પાછળથી ‘પાકીઝા’, ‘ચિત્રલેખા’, ‘ફૂલ ઔર પથ્થર’ જેવી રંગીન ફિલ્મોમાં અવિસ્મરણીય અભિનય કર્યો. પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોમાં જે રીતે એમનું વ્યક્તિત્વ નિખર્યું એ સાચે જ બેમિસાલ છે.


ચાર વર્ષની ઉમરે કેમેરા સામે આવી જનારી મીનાકુમારીની ચાલીસ વર્ષની જિંદગી એક ફિલ્મની સશક્ત પટકથા બની શકે એમ છે. એમનું બાળપણ, ગરીબી, સફળતા, કમાલ અમરોહી સાથેના લગ્ન, એમના પુરુષ મિત્રો, શરાબનું વ્યસન, બીમારી અને અકાળ અંત... જે રીતે મારાથી અભિનેત્રી હંસા વાડકરનાં જીવન પર શ્યામ બેનેગલે સ્મિતા પાટીલને લઈને ભૂમિકા જેવી ઉત્કૃષ્ટ ફિલ્મ બનાવેલી, એ રીતે મીનાકુમારીના જીવન પર પણ એક ફિલ્મ બનવી જોઈએ. પણ સવાલ એ થાય છે કે સ્મિતા પાટીલે જે રીતે હંસા વાડકરને પોતાના અદભૂત અભિનયથી પડદા પર આબેહૂબ જીવંત કરી હતી, શું કોઈ એવી અભિનેત્રી આજના સમયમાં છે કે જે મીનાકુમારીનો જાદૂ પડદા પર તાદ્રશ્ય કરી શકે?



http://www.youtube.com/watch?v=UmI2iqs6G4Y



મે 02, 2014

હવામે ઉડતા જાયે મેરા લાલ દુપટ્ટા......



હિંદી ફિલ્મસંગીત ક્ષેત્રે અનેક નામાંકીત ગીતકારોની સાથોસાથ કેટલાક એવા ગીતકારો પણ થઈ ગયા કે જેમના ગીતો તેમના પ્રત્યેના કોઈ ઋણભાવ વગર તો ઠીક પણ તેમના નામ જાણવાની પણ દરકાર કર્યા વગર આપણે ગણગણ્યા કરીએ છીએ અને ક્યારેક તો માત્ર સંગીત અને વાદ્યરચનાના વખાણ કર્યા કરીએ છીએ. પણ અનેક ગીતો તો તેમના સંગીતને કારણે નહિં પણ તેના શબ્દોને કારણે આપણને આપણા અતીતની સ્મૃતિઓના એકાંત અડાબીડમાં લઈ જાય છે અને ઘણીવાર તો આપણને આપણી અંતરતમ પીડા સાથે સમાધાન પણ સાધી આપે છે, તો ક્યારેક વર્તમાનમાંથી હળવે હાથે ઉંચકીને ભૂતકાળના હુંફાળા દિવસો અને રંગીન રાત્રીઓની મદહોશ મનોમય સફરે ઉપાડી જાય છે. એ પંક્તિઓના રચયિતાઓના નામ જાણવાની ઉત્કંઠા આપણને કેમ ક્યારેય જાગતી નથી? ખરેખર આ એક વૈચિત્ર્ય છે.


આવા એક-બે નહિં બલકે અનેક ગીતકારો છે કે જેમણે થોડા પણ અવિસ્મરણીય ગીતો આપણને આપ્યાં છે. 'રામરાજ્ય' (૧૯૪૩)ના ગીતોના રચનારા કવિ રમેશ ગુપ્તા પણ પોતે બનાવેલી ફિલ્મ 'મતલબી દુનિયા' (૧૯૬૧)ના મુકેશના સુમધુર કંઠે ગવાયેલા “હૈ મતલબકી દુનિયા સારી”  જેવા ગીત છતાં અને “ઓ નીલ ગગનના પંખેરુ” અને “મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને” જેવા બેમિસાલ ગીતો આપવા છતાં વિસરાઈ ગયા. ફિલ્મ 'નરસી ભગત' (૧૯૫૭)નું ગીત “દરશન દો ઘનશ્યામ આજ મોરી અંખિયા પ્યાસી રે' ગોપાલસિંહ નેપાલીએ રચ્યું હતું. ઓસ્કાર વિજેતા ફિલ્મ 'સ્લમડૉગ મિલીયોનેર'ના ક્વીઝના દ્રશ્યમાં સ્પર્ધકોને એ ગીતના રચયિતા તરીકે તુલસીદાસ, મીરાબાઇ, સુરદાસ, અને કબીર એમ ચાર વિકલ્પો આપવામાં આવેલા. જ્યારે ગોપાલસિંહ નેપાળી સાચો ઉત્તર હોવો જોઈતો હતો. કરોડો દર્શકો સમક્ષ ગોપાલસિંહજીની હસ્તીને મીટાવી દેવામાં આવી, એ કેટલો મોટો અન્યાય!


આવા વણઓળખાયેલા, અણપ્રિછ્યા ગીતકારોના સંદર્ભમાં વાચકો માટે તદ્દન તદ્દન અજાણી રહી ગયેલી એવી એક વાત કરીએ. હિંદી ફિલ્મજગતના સુવર્ણયુગના ગીતકારોમાં કોઈ મૂળ ગુજરાતી કવિ/ગીતકારનું નામ યાદ આવે છે? ના, એની ખબર ના હોય તો એ દોષ આપણો નથી, એમની બદકિસ્મતીનો છે. એ ગીતકારનું નામ - ડૉ રમેશ શાસ્ત્રી,


રાજકપૂરે પોતાની બીજી ફિલ્મ 'બરસાત'(૧૯૪૯)માં ગીતો લખવા માટે જે જાહેરાત આપેલી તેના જવાબમાં એ વખતે બનારસ રહેતા રમેશ શાસ્ત્રીએ પોતાની જે રચનાઓ તેમને બતાવી. આ પૈકીની એક રચના પસંદ થઈ અને પછી એમાથી જે અજરામર અમર રચના બની, તે ગીત એટલે, ફિલ્મ ‘બરસાત’નું પ્રસિદ્ધ ગીત “હવામેં ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલ કા” એ પછી તો એમના બીજા અનેક ગીતો ફિલ્મોમાં પ્રસિધ્ધ થયા. ફિલ્મ 'હર હર મહાદેવ'( ૧૯૫૦) નું ગીતા દત્તના કંઠે ગવાયેલું “કંકર કંકર સે મૈં પૂછું શંકર મેરા કહાં હૈ” પણ એમણે જ લખેલું ગીત છે. જો કે ‘બરસાત’ પછી તો મોટે ભાગે એમણે પૌરાણિક ફિલ્મોમાં જ ગીતો લખ્યા. રેડિયો સિલોન પરથી “રામશરણ” ના ઉપનામથી જે સુંદર ભજનો આવતા તે પણ એમના જ.


મૂળ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આવેલા દીયોર ગામના રમેશજીનો જન્મ ૧૯૩૫ની ૨જી ઑગષ્ટે. પિતાનું નામ યમુનાવલ્લભ નરભેરામ શાસ્ત્રી. પોતાની નાની વયે થયેલા પિતાના અવસાન પછી ભાભીના કડક સ્વભાવના કારણે એમણે ગૃહત્યાગ કરીને બનારસ જઇને સંસ્કૃત સાહિત્યમાં વિશારદની પદવી મેળવી અને ગુજરાત પરત આવ્યા અને શ્રી સરયુદાસજીના આશ્રમમાં રહીને વિદ્યાર્થીઓને ભણાવવા સાથે સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં અભ્યાસ પણ જારી રાખ્યો અને આગળ જતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત સાહિત્યના પ્રથમ પીએચ.ડી. થયા. એ પછી સરકારી આયુર્વેદ કોલેજોમાં ભાવનગર, વડોદરા અને અમદાવાદમાં સેવાઓ આપી, છેક ૧૯૯૦માં નિવૃત્ત થયા અને એ પછી પણ વિદ્યાર્થીઓને સંસ્કૃતનું જ્ઞાન આપતા રહ્યા. એ અલગ વાત છે કે . શિઘ્રકવિત્વ એ તો તેમને મળેલી કુદરતની દેણ હતી.


ફિલ્મ સંગીત ક્ષેત્રે આગળ જવાની મહત્વાકાંક્ષાના અભાવને કારણે અને શુધ્ધ સનાતની વિચારોને લીધે, રાજકપૂરના વારંવારના તેડાં છતાં એમણે મુંબઇનો વસવાટ કદિ ના સ્વિકાર્યો. અને માત્ર સંસ્કૃત સાહિત્યના અધ્યયન અને અધ્યાપનમાં જ જિંદગી ગુજારી. પરંતુ તેમનું અંગત જીવન પુષ્કળ અને તિવ્ર ચઢાવ-ઉતારવાળું રહ્યું, પત્ની ઇશબાળાથી એમને બે સંતાનો થયાં, જે થયાં તો અત્યંત તેજસ્વી પરંતુ એમાંથી મિકેનિકલ એન્જીનીયર એવો પુત્ર કપિલદેવ ડિપ્રેશનનો શિકાર બન્યો અને રમેશ શાસ્ત્રીને ખુદને,  કેન્સરગ્રસ્ત પત્નીના અવસાન પછી સ્ટ્રોક આવ્યો અને બે મહિના સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા અને ત્યારબાદ પછી થોડા સમયમાં સેરીબ્રલ પાલ્સીનો ભોગ બન્યા અને પૂરા દસ વર્ષ એ અપંગાવસ્થામાં જ પથારીવશ રહ્યા.


“હવામેં ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલ કા...” ના ગીતકાર એવા કવિ રમેશ શાસ્ત્રીએ અમદાવાદમાં જ ગુમનામ અવસ્થામાં ૨૦૧૦ના એપ્રિલની ૩૦મીએ હંમેશાને માટે આંખો મીંચી દીધી. આજે પણ આવા કર્ણ અને શ્રુતિમધુર ગીતો સાંભળતી વેળા જેમની કલમમાંથી એની પંક્તિઓ સરી એ ગીતકારોને યાદ કરીએ અને આ અનોખા ગીતકારની સ્મૃતિને એમનું આ અમર ગીત સાંભળીને તાજી કરીએ.....

http://www.youtube.com/watch?v=TqBeoXxtc1E

*માહિતી સૌજન્ય: શ્રી રજનીકુમાર પંડ્યા

http://saujany.blogspot.ca/2014/05/blog-post.html