ઑગસ્ટ 19, 2018

કભી યૂં ભી તો હો...


જગજીત સિંહ અને જાવેદ અખ્તર.... આ બંને નામ જબાન પર આવતા જ દિલોદિમાગ પર જાદૂ છવાયા વિના ન જ રહે. છેક એંસીના દાયકામાં આવેલી ફિલ્મ ‘સાથ સાથ’ના ગીતોમાં આ જોડીએ વિખેરેલો  જાદૂ હજુ આટલા વર્ષે પણ એવો ને એવો બરકરાર છે.  સંગીતકાર કુલદીપ સિંહની રચેલી ધૂનો પર જાવેદ અખ્તરે લખેલા અને જગજીતસિંહજીએ ગાયેલા એ અમર ગીતો ભલા કોણ વિસારી શકે? યે તેરા ઘર યે મેરા ઘર...  તુમ કો દેખા તો યે ખયાલ આયા.... પ્યાર મુજ સે જો કિયા તુમને.... જો કે સાથ સાથ અગાઉ અર્થ અને પ્રેમગીત જેવી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદૂ વિખેરી ચૂકેલા જગજીત સિંહે સાથ સાથ બાદ ફિલ્મી દુનિયાને એક તરફ રાખી દઈને ફરી એકવાર ગઝલની દુનિયાનો રુખ કરી લીધો.

જગજીત સિંહની એક ખૂબી એ હતી કે એમણે જુદા જુદા અનેક નામી અનામી શાયરોની બેહતરીન રચનાઓ ચૂંટીને પોતાના અવાજમાં ગાઈને જગમશહૂર બનાવી દીધી. જાવેદ અખ્તર સાથે સાથ સાથમાં જોડી જમાવ્યા બાદ છેક ૧૯૯૮મા આ જોડીએ  ફરી એકવાર સાથે કામ કર્યું. જાવેદ અખ્તરની આઠ  ગઝલોને જગજીતસિંહએ પોતાના મખમલી અવાજમાં ગાઈ. ‘સિલસિલે’ આલ્બમમાં સમાવાયેલી આ બધી જ રચનાઓ બેશક બહેતરીન છે. પણ આ રચના મારા દિલની અત્યંત નજીક છે.

कभी यूँ भी तो हो
दरिया का साहिल हो
पूरे चाँद की रात हो
और तुम आओ
कभी यूँ भी तो हो...

જગજીત સિંહના કંઠે આ સદાબહાર રચના અહીં સાંભળી શકશો...
 https://www.youtube.com/watch?v=DXsPd6wLk4g

ઑગસ્ટ 10, 2018

સુરેશ દલાલ


સુરેશ દલાલ(૧૧-૧૦-૧૯૩૨, ૧૦-૮-૨૦૧૨)

સુરેશ દલાલ... ઈન્દ્રધનુષી વ્યક્તિત્વના માલિક.... સર્જક, સંપાદક, અધ્યાપક, વક્તા, સંચાલક, આયોજક અને પ્રકાશક સુરેશ દલાલ....આઠ દાયકાની જીંદગીમાં તેમણે ગુજરાતી સાહિત્યને સેંકડો પુસ્તકો, અનેક વાચકપ્રિયકટારો અને ગુજરાતી સુગમસંગીતને તરબતર કરી મૂકે એવાં ગીતો આપ્યાં. એટલું જ નહીં, ભારતભરની જ નહીં, જગતભરની કવિતાઓનો આપણી પોતાની ભાષામાં જ આસ્વાદ કરાવીને લોકોને ભાષાના પ્રેમમાં પડવા મજબૂર કર્યાં. કવિ મકરંદ દવે જેમને પોતાની કવિતામાં 'અત્તરિયા'નું ઉપનામ આપે છે, એવા સુરેશ દલાલનો આજે સ્મરણ દિવસ. આજે તેમની લખેલી આ સુંદર કવિતા માણીએ. મેઘરાજા તો આ વખતે તેમની મોસમમાં બરાબર વરસવાના મિજાજમાં નથી પણ સુરેશ દલાલની આ કવિતા આપણને પ્રેમની વર્ષામાં સરાબોળ ભીંજવ્યા વિના રહેતી નથી.

વૃક્ષોના ચ્હેરા પર પંખીના ટહુકાનો છલકે છે ઝીણો આનંદ.
વ્હેતી હવા પણ એવી નાજુક કે હળુહળુ મનભરી મ્હાલે છે મંદ.

ઝાકળના ઝાંઝરને બાજુએ મૂકયાં
કે નીરવતા નહીં નંદવાય
અણદીઠી સુંદરી થાળી લઈને
જાણે વસંતને વધાવવા જાય

કળીઓ ને ફૂલ ને ભમરા મશગૂલ ને પતંગિયાઓ વેરે છે રંગની સુગંધ
વૃક્ષોના ચ્હેરા પર પંખીના ટહુકાનો છલકે છે ઝીણો આનંદ.

આખી સૃષ્ટિ જાણે પ્રેમમાં પડી હોય એમ
ડાળીઓ ફૂલોમાં સંગોપાઈ ગઈ
શ્યામની ધરતીમાં રાધા તો બીજ થઈ
ઊંડે મૂળિયામાં રોપાઈ ગઈ

નરસિંહની કરતાલ ને મીરાંના મંજીરા ને તુકારામ ગાય છે અભંગ
વૃક્ષોના ચ્હેરા પર પંખીના ટહુકાનો છલકે છે ઝીણો આનંદ.

ઑગસ્ટ 05, 2018

દિયે જલતે હૈ...


દિયે જલતે હૈ... ફૂલ ખિલતે હૈ... બડી મુશ્કિલ સે મગર, દુનિયા મેં દોસ્ત મિલતે હૈ....

માણસ જ્યારથી સમુદાયમાં રહેતા શીખ્યો ત્યારથી સંબંધો બનાવતા અને નિભાવતા પણ શીખ્યો. કેટલાક સંબંધો માનવીના જન્મથી જ એની સાથે જોડાઈ જાય છે તો કેટલાક તે પોતાની સમજ અને જરૂરિયાતો મુજબ વિકસાવે છે. પણ મૈત્રી એ એવો એક સંબંધ હોય છે, જે સાવ સહજ રીતે, અનાયાસ જ બે વ્યક્તિ વચ્ચે ઉદ્દભવી જાય છે અને પછી ચિરકાળ સુધી પાંગરતો રહે છે. મૈત્રી ક્યા, ક્યારે, કોની સાથે થશે, એનું કોઈ ચોક્કસ ગણિત નથી હોતું. સાવ અજાણી એવી બે વ્યક્તિ મળે, બંનેના હૃદય એકબીજાના હૃદયની 'ફ્રિકવન્સી' ઝીલે, એ મેચ થાય તો ક્ષણમાં વીજળીના ઝબકારાની માફક આ ઓળખાણ આત્મીયતામાં પરિણમે ને રોટી, કપડા, મકાનની જેમ જ અનિવાર્ય એવા જિંદગીના આ મહામૂલા આયામની શરૂઆત થાય.

દોસ્તી, દુશ્મની અને પ્યાર - આ ત્રણ વિષયો પર આપણે ત્યાં મોટાભાગની ફિલ્મો બનતી હોય છે. એમાંયે મૈત્રી સંબંધોના તાણાવાણાઓને કહાણીમાં ગૂંથી લઈને અનેક સુંદર ફિલ્મો બની છે.  મોટાભાગના અદાકારોએ બે મિત્રની વાર્તા પર બની હોય એવી એકાદ ફિલ્મમાં તો કામ કર્યું જ હોય. પણ અમિતાભ બચ્ચન જ કદાચ એવા કલાકાર છે કે જેમણે સૌથી વધુ સહકલાકારો સાથે મિત્રની ભૂમિકા ભજવી હોય. પ્રાણ, શશિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, અમજદ ખાન જેવા કલાકારો સાથે એકથી વધુ ફિલ્મોમાં અમિતાભ બચ્ચને મિત્રની ભૂમિકા ભજવી છે. એમાંયે ધર્મેન્દ્ર સાથેની 'શોલે' ફિલ્મે તો સફળતાના આગલા તમામ રેકોર્ડ તોડી નાખેલા. જય અને વીરુ જેવા બે તદ્દન અલગ સ્વભાવના મિત્રોની આ રોમાંચક ફિલ્મનું ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે...' એ તો આજે પણ ગુરુમંત્રની માફક મિત્રોના હૃદયમાં ગૂંજતું રહેતું હોય છે.

'શોલે'ના જય-વીરુની યાદ ભલે આજે પણ જનમાનસમાં તાજી હોય, પણ અમિતાભ બચ્ચને મિત્ર તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથેની 'નમક હરામ' ફિલ્મમાં ભજવી છે. 'નમક હરામ' માટે તો અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર પણ એનાયત થયેલો. શું હતું આ ફિલ્મમાં? ટી. એસ. ઇલિયટની ખ્યાતનામ કૃતિ 'મર્ડર ઈન ધ કેથેડ્રલ' પરથી, હોલિવૂડની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં જેની ગણના થાય છે એવી ફિલ્મ 'બેકેટ' બની. ઈંગ્લેન્ડના રાજા અને તેના મિત્રની વાત રજૂ કરતી, સત્ય ઘટના પર આધારિત આ કૃતિ પરથી બનેલી 'બેકેટ' ફિલ્મ અત્યંત સફળ રહી હતી. હૃષિકેશ મુખર્જીએ 'બેકેટ' પરથી પ્રેરણા લઈને 'નમક હરામ' બનાવી. કિશોરકુમારે ગાયેલાં આનંદ બક્ષીના સુમધુર ગીતો, આર. ડી. બર્મનનું સૂરીલું સંગીત અને ગુલઝારે લખેલા ચુસ્ત સંવાદો અને પટકથા અને ઉપરથી હૃષિદા જેવા સમર્થ દિગ્દર્શક. ફિલ્મ સફળ ન થાય તો જ નવાઈ!

આ એ પહેલવહેલી ફિલ્મ હતી કે જેની રજૂઆત પછી રાજેશ ખન્નાને વાસ્તવમાં પોતાનું સુપર સ્ટારનું બિરુદ હાથમાંથી સરી જતું લાગ્યું. 'નમક હરામ'ની રજૂઆતના વર્ષો પછી કોઈ ફિલ્મ સામાયિકને આપેલા એક સાક્ષાત્કારમાં રાજેશ ખન્નાએ કબૂલ કર્યું કે લિબર્ટી સિનેમામાં આ ફિલ્મનો ટ્રાયલ શો જોયા બાદ એમને સમજાઈ ગયેલું કે પોતાનો યુગ હવે આથમી ચૂક્યો છે. તેમણે અમિતાભ બચ્ચન તરફ નિર્દેશ કરીને હૃષિદાને કહ્યું પણ ખરા કે "આ છે આવતીકાલનો સુપર સ્ટાર''

જો કે, મજાની વાત તો એ છે કે, જ્યારે 'નમક હરામ'ના શૂટિંગની શરૂઆત થઇ ત્યારે રાજેશ ખન્ના સુપર સ્ટાર હતા અને અમિતાભ બચ્ચન એક નિષ્ફળ કલાકાર. 'કાકા' પાસે શૂટિંગ માટે તારીખો ફાજલ નહોતી અને 'બિગ બી' પાસે સમય જ સમય હતો. તો થયું એવું કે ફિલ્મમાં અમિતાભના હિસ્સાનું મોટાભાગનું શૂટિંગ પહેલા જ નિપટાવી લેવાયું. જ્યારે ફિલ્મના રશીઝ વિતરકોને બતાવવામાં આવ્યા તો સૌને એવું લાગ્યું કે જાણે આ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ છે અને રાજેશ ખન્ના આ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે. કોઈ વિતરકને અમિતાભ જેવા નિષ્ફળ કલાકારની ફિલ્મ ખરીદવામાં રસ ન હતો. જો કે, હૃષિકેશ મુખર્જી જેવા પીઢ અને આદરણીય ફિલ્મકારને સીધેસીધી ના કહેવાનું વિતરકો માટે શક્ય નહોતું. એટલે એક પછી એક વિતરક ફિલ્મમાં કંઇકને કંઈક ત્રુટી બતાવતા રહ્યા. છેલ્લે, કેટલાક વિતરકોએ અમિતાભની કાન ઢંકાઈ જાય એવી હેર સ્ટાઈલ પર નિશાન તાક્યું અને એકે તો હૃષિદાને એમ પણ કહ્યું કે ''આપનો હીરો વાનર જેવો લાગે છે, એને કહો કે કમ સે કમ વાળ તો ઢંગથી કપાવે તો અમને ખબર તો પડે કે એને કાન છે કે નહીં!!'' આ વાત પર બધા જ વિતરકો ખડખડાટ હસી પડ્યા.

આ ઘટના બની એના થોડા જ મહિનામાં 'જંજીર' રજૂ થઈ અને અમિતાભ 'એંગ્રી યંગ મેન' તરીકે યુવાનોમાં અત્યંત લોકપ્રિય બની ગયા. જ્યારે એ જ સમયે સળંગ પાંચ ફ્લોપ ફિલ્મો આપવાને કારણે રાજેશ ખન્નાનું સુપર સ્ટારનું સિંહાસન ડગમગી ઊઠ્યું. 'નમક હરામ'નું શૂટિંગ તો હજુયે ચાલી જ રહ્યું હતું. પણ કિસ્મતનો ખેલ જુઓ. એક સમયે અમિતાભનો વિરોધ કરનારા, એમની ભયંકર મજાક ઉડાવનારા એ જ વિતરકોએ હૃષિદાને ફોન કરી કરીને કહ્યું કે ફિલ્મમાં અમિતાભનો રોલ વધારો! ફિલ્મના પોસ્ટરો અને અન્ય પબ્લીસીટીમાં પણ અમિતાભ બચ્ચનને રાજેશ ખન્નાની જોડાજોડ સ્થાન આપવા માટે વિતરકો માંગ કરવા લાગ્યા! 'કાનને ઢાંકતી હેર સ્ટાઈલ' હવે ફેશન બની ચૂકી હતી. હિંદી ફિલ્મ જગતમાં એક નવી સત્તાનો ઉદય થઇ ચૂક્યો હતો. આ વિષે વિવિધ વર્તુળોમાં અનેક ટીકા ટીપ્પણીઓ થઇ હતી. પણ સૌથી વેધક ટિપ્પણી મુંબઈના હજામોએ કરી હતી. ફિલ્મની રજૂઆત બાદ મુંબઈના કેટલાય હેર કટિંગ સલૂનની બહાર નવું બોર્ડ મૂકવામાં આવેલું, જેમાં લખેલું હતું: "રાજેશ ખન્ના હેર કટ- રૂ. ૨; અમિતાભ બચ્ચન હેર કટ- રૂ. ૩.૫૦!!

ઑગસ્ટ 04, 2018

ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના...




કોને ખબર હતી કે આજથી ૮૮ વર્ષ પહેલા એટલે કે 4 ઓગસ્ટ, 1929નાં દિવસે મધ્યપ્રદેશના નાનકડા શહેર ખંડવામાં વસતા એક બંગાળી પરિવારમાં જન્મ લેનાર બાળક ‘આભાસ’ ની આભા એવી તો ફેલાશે કે ભારતીય ફિલ્મસંગીતના ઇતિહાસમાં આ નામ ‘કિશોર કુમાર’ના નામે અમર થઈ જશે! ૧૯૪૮મા સંગીતકાર ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં ફિલ્મ ‘ઝીદ્દી’માં ગાયેલા પોતાના સૌપ્રથમ ગીત ‘મરને કી દુઆએં ક્યૂં માંગુ...’ થી લઈને ૧૯૮૭માં ફિલ્મ ‘વક્ત કી આવાઝ’ માટે ગયેલા ગીત ‘ગુરુ ઓ ગુરુ...’ સુધીની ચાલીસ વર્ષ લાંબી સંગીત યાત્રામાં કરોડો સંગીતપ્રેમીઓના દિલ જીતી લેનાર ‘જીનીયસ’ ગાયક કિશોર કુમારનાં ગાયેલા અગણિત ગીતો આજે પણ હવામાં ગૂંજતા રહે છે! આજે તેમના જન્મદિવસે એમના વિષે થોડી વાતો કરીએ.

નાનપણથી જ સંગીતમાં રુચિ ધરાવતા કિશોર કુમાર, કે. એલ. સાયગલના ચાહક હતા. સાયગલને પોતાના ગુરુ માનતા કિશોર કુમાર પોતાની ગાયકીમાં પણ તેમનું અનુકરણ કરતા. એ સમયે ફિલ્મ જગતમાં અભિનેતા તરીકે પોતાનું સ્થાન જમાવી ચૂકેલા મોટા ભાઈ અશોક કુમારને મળવા માટે મુંબઈ આવ જા કરતા રહેતા કિશોર કુમારની અંતરંગ ઈચ્છા તો પોતાના આરાધ્ય સાયગલને મળવાની જ રહેતી. જ્યારે અશોક કુમાર પોતાના નાના ભાઈ કિશોરને અભિનેતા બનાવવાના ઉદ્દેશથી મુંબઈ લઈ આવ્યા ત્યારબાદ થોડા જ દિવસોમાં સાયગલનું અવસાન થઇ જતા તેમની આ મહેચ્છા અધૂરી જ રહી. અને ત્યાર પછી બહુ જલ્દી તેમની ગાયકીમાંથી સાયગલની અસર પણ નાબૂદ થઇ ગઈ. થયું એવું કે અશોક કુમારને મળવા તેમના નિવાસ સ્થાને આવેલા સંગીતકાર એસ. ડી. બર્મન આવેલા ત્યારે બાથરૂમમાં ગાઈ રહેલા કિશોર કુમારનો અવાજ સાંભળીને પ્રભાવિત થઇ ગયેલા દાદાએ કિશોર કુમારને એ જ સમયે પોતાની અલગ શૈલી વિકસાવવાની સલાહ આપી. આજે કિશોર કુમારના જે સૂરીલા અવાજના જાદૂથી લોકો હજુયે અભિભૂત છે તે અવાજની શૈલી વિકસાવવા માટે કિશોર કુમારને પ્રેરણા આપનાર બર્મન દાદા જ હતા. દાદાના સંગીતમાં બનેલી મુનીમજી, ટેક્સી ડ્રાઈવર, ફંટૂશ, નૌ દો ગ્યારહ, પેઈંગ ગેસ્ટ, ગાઈડ, જ્વેલ થીફ, પ્રેમ પુજારી, તેરે મેરે સપને જેવી ફિલ્મોમાં કિશોર કુમારે અવિસ્મરણીય ગીતો ગાયા.

રફી અને મુકેશ જેવા સમકાલીન ગાયકો વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરી શકનાર કિશોર કુમારે પોતાની સહજ ગાયકી થકી ફિલ્મી ગીતોને સામાન્ય જનતાના હોઠે રમતા મૂકી દીધા. ચાર દશક જેટલી લાંબી સંગીતયાત્રા દરમિયાન હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, ભોજપુરી, બંગાળી, ઉડિયા, આસામી, કન્નડ, તમિલ, મલયાલમ ફિલ્મોના ગીત ગાનાર કિશોર કુમારે સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે આઠ આઠ વખત ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા. ’૪૮થી પાર્શ્વગાયનની શરૂઆત કરનાર કિશોર કુમારને પહેલો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો છેક સાલ ૧૯૬૯મા ફિલ્મ ‘આરાધના’ના ગીત ‘મેરે સાપનો કી રાની...’ માટે! ‘આરાધના’થી કિશોર કુમારની કારકિર્દીને જબરજસ્ત વેગ મળ્યો. એક તરફ ‘શર્મીલી’ અને પ્રેમ પુજારી’નાં ગીતો ખૂબ પ્રખ્યાત થયા તો બીજી તરફ ‘આરાધના’ બાદ ‘કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ની અપાર સફળતામા મહત્વનું પરિબળ બનેલો અભિનેતા રાજેશ ખન્ના માટે કિશોર કુમારના અવાજનો જાદૂ લોકોના દિલોદિમાગ પર એ હદે છવાઈ ગયો કે રાજેશ ખન્ના માટે કિશોર કુમારનો અવાજ અનિવાર્ય બની ગયો! રાજેશ ખન્ના માટે ૯૨ ફિલ્મોમાં ૨૪૫ જેટલા ગીત કિશોર કુમારે ગાયા છે, જે એક વિક્રમ છે.

‘૭૦નો દશક કિશોર કુમારની કારકિર્દીનો સુવર્ણકાળ હતો. એસ. ડી. બર્મન ઉપરાંત પંચમ, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો સાથે કિશોર કુમારે કેટલાયે અણમોલ ગીતો આ સમયમાં આપ્યા. બુઢ્ઢા મિલ ગયા, મેરે જીવનસાથી, પરિચય, અભિમાન, કોરા કાગઝ, મિલી, આંધી, ખુશ્બૂ જેવી ફિલ્મો માટે આ સમયગાળામાં કિશોર કુમારે ગયેલા ગીતો આજે પણ લોકપ્રિય છે. ‘રાત કલી એક ખ્વાબ મેં આયી...’ જેવું રોમાન્ટિક ગીત હોય કે પછી ‘ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં...’ જેવું મસ્તીભર્યું ગીત હોય કે પછી ‘બડી સૂની સૂની હૈ...’ કે ‘આયે તુમ યાદ મુઝે....’ જેવા ધીર ગંભીર ગીતો હોય... કિશોર કુમારની બહુઆયામી પ્રતિભાના હરેક રંગને ઉપસાવતા ગીતો આ સમયમાં આવ્યા. અગાઉ દેવ આનંદ અને ત્યારબાદ રાજેશ ખન્ના માટે પાર્શ્વગાયન કરનારા કિશોર કુમાર પછીથી અમિતાભ બચ્ચનનાં અવાજનો પર્યાય બની ગયા. કિશોર કુમારની ખૂબી જ એ હતી કે અભિનેતાના અવાજ અનુસાર પોતાના અવાજને ઢાળી શકતા હતા.

કિશોર કુમારે ગયેલા અગણિત ગીતોમાંથી આપણી પસંદગીના દસ ગીતો પસંદ કરવા એ જરા અઘરું કામ છે. પણ આજે આપણે ખુદ કિશોર કુમારની પસંદગીના દસ ગીતો પર એક નજર કરીએ...

૧) દુઃખી મન મેરે સુન મેરા કહેના...(ફંટૂશ)
૨) જગમગ જગમગ કરતા નિકલા...(રીમઝીમ)
૩) હુસ્ન ભી હૈ ઉદાસ ઉદાસ...(ફરેબ)
૪) ચિનગારી કોઈ ભડકે...(અમર પ્રેમ)
૫) મેરે નૈના સાવન ભાદો....(મહબૂબા)
૬) કોઈ હમદમ ના રહા....(ઝૂમરુ)
૭) મેરે મહબૂબ કયામત હોગી...(મિસ્ટર એક્સ ઈન બોમ્બે)
૮) કોઈ હોતા જીસકો અપના...(મેરે અપને)
૯) વો શામ કુછ અજીબ થી....(ખામોશી)
૧૦) બડી સૂની સૂની હૈ....(મિલી)

જુલાઈ 31, 2018

न फनकार तुझसा तेरे बाद आया, मोहम्मद रफी तू बहुत याद आया....


વર્ષો પહેલાની આ વાત. પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા ગામથી પાંચેક કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામના પાદરમાં ઊભેલો ઘટાદાર આંબો અને એક તરફ આવેલા કૂવાનું ભાંગ્યું તૂટ્યું થાળું- આ બન્ને ય જાણે કે આંબાના ઝાડ નીચે એકબીજાને ગળે વળગીને રોઈ રહેલા બાર તેર વર્ષના ત્રણ કિશોરો- ફીકો, સિસ્સો અને લડ્ડનની સાથે રૂંવે રૂંવે રોઈ રહ્યા હતા. સાથે ભણતા, સાથે રમતા અને સાથે ધિંગામસ્તી કરતા આ જીગરજાન મિત્રોના તોફાનોથી એકસમયે ગૂંજતી રહેતી ગામની સાંકડી ગલીકૂંચી અને આ કિશોરોના નિર્દોષ હાસ્યથી પડઘાતા માટીના કાચાપાકા ઘરો સન્નાટામાં ગરક હતા.

જે આંબાની ખટમધુરી શાખોને તોડીને ચાવતા ચાવતા, કૂવાથાળે બેસીને ફીકોના દિમાગમાં ઉપજતી અવનવી તોફાની હરકતોને કઈ રીતે અમલમાં મૂકવી તેનું આબાદ આયોજન ત્રણેય ગોઠિયાઓ મળીને કરતા તે આંબાના થડ પર, 'મેરી યાદ આયે તબ યે દેખ લેના' - એમ કહેતા ફીકોએ અણીદાર પથ્થર વડે કોતરીને લખેલું પોતાનું નામ અને તે દિવસની તારીખ વિયોગની આ ગમગીન ક્ષણોની મૂક સાક્ષી બનીને ત્રણેય મિત્રોની વેદનાને ચૂપચાપ નિહાળી રહ્યાં. અરે, ગામની એ સીમ કે જ્યાં ફીકો પોતાની ગાયો ચરાવતી વેળાએ બુલંદ અવાજે ગીતો લલકારતો રહેતો એ સીમ પર પણ ઉદાસીના ગમગીન ઓળા ઊતરી આવ્યા હતા! કોઈને ક્યાં ખબર હતી કે મિત્રોને રોતા મૂકીને, ગામ, પાદર, સીમ સૂના કરીને, બહેતર જિંદગીની ઉમ્મીદ સાથે પરિવાર સમેત લાહોર જઈ રહેલો ફીકો તો અવનિ પર જનમ ધરીને આવેલો કોઈ શાપિત ગંધર્વ હતો, જે આગળ જતા પોતાના મધુર અવાજે ગાયેલાં અવિસ્મરણીય ગીતો થકી સૂરસંગીતના એવા અલૌકિક ભાવવિશ્વની રચના કરવાનો હતો કે જેનો વ્યાપ દેશ પરદેશની ભૌગોલિક સીમાઓને અતિક્રમીને વિશ્વભરના લાખો કરોડો સંગીતપ્રેમીઓના હ્રદય સુધી વિસ્તરવાનો હતો!

કોટલા સુલતાન સિંહ- અખંડ ભારતના નકશામાં એક સમયે કદાચ ક્યાંય શોધ્યું ન જડે એવું નાનું અમથું, ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નભતું ગામ. કોને ખબર હતી કે આવા ગામના એક મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં જન્મેલા ફીકોનું નામ, ભારતીય ફિલ્મ સંગીતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે! 'અલ્લાહ કરે કિ તેરી યહ શહદ સી મીઠી આવાઝ સમૂચી દુનિયા મેં ગૂંજે....' ગામમાં આવેલા ફકીરોની ટોળીમાંના કોઈ ફકીરે ફીકોનું ગાયન સાંભળીને તેના માથે હાથ મૂકીને આવા આશીર્વચનો ઉચ્ચાર્યા હતા ત્યારે કોઈને સ્વપ્ને ય ખ્યાલ નહીં હોય કે કઈ બુલંદી પર જઈને આ સિતારો પોતાનું નામ રોશન કરશે! કોઈ ગુમનામ ફકીરની એક દુઆને, લાખો કરોડો ચાહકોની અસીમ લાગણી અને અગણિત દુઆઓની બેશુમાર દોલતમાં પલટાવીને બે હાથે ખોબલે ખોબલે ઉલેચનારા આ સૂરીલા ધ્રુવતારક કોઈ પરિચયના મોહતાજ નથી. અત્યંત મીઠાશ ભર્યું ગળું, બુલંદ અવાજ, સૂરોની અદભૂત સમજ, શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારણ...આ બધા જ ગુણોનો સમન્વય એટલે મોહમ્મદ રફી.

૧૯૪૦થી ૧૯૮૦ સુધીની ચાળીસ વર્ષની સૂરોની સંગીતમય સફરમાં રફીસાહેબે હિન્દી ઉપરાંત આસામી, કન્નડ, ગુજરાતી, તેલુગુ, માગધી, મૈથિલી, ઉર્દૂ સહીત અંગ્રેજી, ફારસી, અરબી અને ડચ ભાષામાં પણ ગીતો ગાયા છે દિલીપકુમાર, દેવ આનંદ, પ્રદીપ કુમાર, ભારત ભૂષણ, ગુરુ દત્તથી લઈને મનોજ કુમાર, રાજેન્દ્રકુમાર, જોય મુખર્જી, વિશ્વજીત, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, સંજીવકુમાર, શમ્મી કપૂર અને ત્યાર પછીના અનેક નામી અનામી કલાકારો માટે પોતાનો અવાજ ઉછીનો આપ્યો. ભલે પાછળથી મુકેશજી રાજ કપૂરનો અવાજ બન્યા પણ પ્રારંભમાં તો રફી સાહેબે જ રાજ કપૂરના ગીતો ગાયેલા. અને એ જ રફી સાહેબે રાજ કપૂરના પુત્ર રિશી કપૂર માટે પણ અફલાતૂન ગીતો ગાયા. પોતાની કારકિર્દીના આરંભે, એ સમયે પ્રચલિત એવા મૃદુ સ્વરે ગવાતા ધીમી લયના ગીતોની સાથે સાથે તેમણે સાંભળનારને સ્તબ્ધ કરી મૂકે એવા બુલંદ અવાજે પણ ગીતો ગાયા. તો શમ્મી કપૂર જેવા કળાકાર માટે અત્યંત ધમાલિયા, રોમેન્ટિક ગીતો ગાયા. ચાલીસ વર્ષની તેમની કારકિર્દીમાં અભિનેતાઓની ત્રણેક પેઢી ફરી ગઈ હશે, શ્યામ સુંદર જેવા સંગીતકારથી ભપ્પી લહેરી સુધીના જેટલા પણ સંગીતકારો માટે તેમણે ગાયું. ફિલ્મના હીરોથી લઈને સામાન્ય કિરદાર સુધી, જેમના માટે પણ ગાયું, તે શ્રેષ્ઠ જ આપ્યું.

આજથી બરાબર આડત્રીસ વર્ષ પહેલા આજના જ દિવસે આ સૂરીલો ફકીર, લાખો કરોડો ચાહકોની અગણિત દુઆઓની અસીમ દોલત ઉસેટીને આ ફાની દુનિયા સ્થૂળદેહે ભલે છોડી ગયો હતો પણ લાખો કરોડો  ચાહકોના દિલમાં પોતાની બેજોડ ગાયકી અને સુમધુર અવાજ થકી આજે પણ રફીસાહેબ જીવંત છે. મિત્રો, આજે સંગીતના આ ઓલિયાની પુણ્યતિથિના અવસરે એમના વિષે વાંચવા કરતા, એમના ગાયેલા ગીતોના ખજાનામાંથી મનગમતા ગીતો સાંભળીએ અને સંભળાવીએ....

એપ્રિલ 06, 2018

બાળપણ... વેકેશન... ધિંગામસ્તી... મોજમજા...




ઉનાળો આવે ને મને વેકેશન સાંભરે! મારું નાનપણ જામનગરમાં વીત્યું અને મોસાળ છેક સુરત. તે સમયે બસની સુવિધા અત્યારના જેટલી નહીં. એસટીની બસમાં રિઝર્વેશન ન હોય તો ઉભા રહેવાની પણ જગ્યા ન મળે. તેમ છતાં દર વર્ષે એકાદ મહિનો જેવું તો સુરત મોસાળે રહેવા જવાનું જ. ત્યાં એક મામાના ઘરથી બીજા મામાના ઘર વચ્ચે આવજા ચાલ્યા કરે. ક્યાંય કોઈ રોકટોક નહીં. બસ, સમયસર નહાઈ લેવાનું ને નાનાના ઓરડામાં કોઈ ચીજને અડકવાનું નહીં. નાના રિટાયર્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હતા. એમના ઓરડામાં કાચના બે મોટા કબાટ ભરીને કાયદાના પુસ્તકો અને મસમોટું લાકડાનું ટેબલ જેના પર કેટલીયે ચીજો પડી રહેતી. ક્યારેક ચૂપકેથી એ ટેબલ પર પડેલી વસ્તુઓને નજીકથી જોતા હોય ત્યાં જો નાના આવી ચડે તો હળવેથી કહે, 'ભાણીબેન... એ બધી મારી કામની ચીજો છે હો! અડાય નહીં!' અને એ જ નાના પાછા છેક ભાગળ ને ચૌટાપુલ આંગળી પકડીને લઈ જાય. જે મન થાય તે ખવરાવે.

નાના મામા બહુ શોખીન. એમના કબાટમાં સુગંધી પાઉડર ને જાતજાતના અત્તરની બાટલીઓ પડી હોય. બાથરૂમમાં ય એમનો સાબુ અલગ, જેન્ટિલ સાબુ. નાની બિચારા તાકીદ કરે કે મામાના સાબુથી નહીં નહાવાનું હો! પણ મામા તો કોઈ દિવસ કશું ન કહે. એમની તો હું પહેલેથી ફેવરીટ ભાણી. સાઇકલ પર બેસાડીને બધે ફરવા લઈ જાય. અમારે ત્યાં આવે ત્યારે પણ વીરપુર જલારામબાપાના દર્શને જવાનું હોય કે બાલંભા દેવસ્થાને દર્શન કરવા, મને જોડે લઈ ગયા વિના એમને ન ગમે. એમને ફોટા પાડવાનો પણ ગજબનો શોખ! નાનપણમાં મારા કેટલાયે ફોટા એમણે પાડ્યા હશે!

બીજા મામાનું ઘર પણ નજીક જ. ત્યાં પણ બહુ આનંદ કર્યો છે. એમના ઘરે એક આખો ઓરડો સુગંધનો ભરીને રાખેલો હોય! મામા ખૂબ શ્રદ્ધાળુ. એમના એ ઓરડામાં એક તરફ આખી દીવાલ ભરાય એટલા ભગવાન હારબંધ બાજઠ પર બેસાડેલા! મામા રોજ સવારે નહાઈને દરેક ભગવાનની છબી સાફ કરે.ચાંદલા કરે, ફુલહાર ચડાવે ને ઘંટડી વગાડતા મોટી દીવીમાં દિવેટ ગોઠવીને આરતી કરે! એ જોવાની બહુ મઝા પડે! પૂજા પત્યા પછી મામા પ્રસાદ આપે. પ્રસાદ ખાઈને પછી રમવા જવાનું. આજુબાજુમાં પારસી લોકોના ઘર ઘણા. રોજ સવારમાં એમણે ઘરઆંગણે બીબાથી પાડેલી સફેદ રંગોળી જોવા જવાની ય બહુ મજા. બપોર પછી એક શીંગચણાવાળો આવે એટલે મામી એની પાસેથી એક પૂડી લઈને ખાવા આપે. રોજ રાત્રે ચૂરણ વેચવાવાળો આવે, રોજ એ ખાટુંમીઠું ચૂરણ પડીકીમાં લઈને ચપટી ભરીને ક્યાંય સુધી ખાધા કરીએ તો ય મન ન ભરાય!

સુરત મારું મોસાળ અને ધ્રોળ નજીક આવેલું જોડિયા બંદર એ મારા પપ્પાનું ગામ. દીવાળીના વેકેશનમાં તો મોટેભાગે જોડિયા જ જવાનું હોય. જોડિયાના પાદરમાં પગ મૂકીએ ને અંદરથી જીવ હરખના હિલ્લોળા લેવા માંડે! દાદાની ડેલીમાં નાનકડી ખડકીની ઠેસી ઊંચકાવીને અંદર ઘુસીએ ત્યાં જ બંને તરફ વાવેલા જુઈ, ગલગોટા, તુલસી ને અજમાની સુગંધ નાકમાં ફરી વળે. ત્રણેક પપૈયાના ઝાડ પણ હતા. નાનકડો દ્રાક્ષનો માંડવો પણ. ત્રણ કોરે મકાન ને વચમાં રેતી મઢયું આંગણું! ફળિયામાં સાંજ પડ્યે બે ખાટલા બિછાવી દેવામાં આવે. સાંજના સમયે ઘરે પાછા ફરતા કુંજડાઓના ટોળાને જોતા જોતા વચલા ઘરની પરસાળમાં બેઠા બેઠા પાંચિકે રમતા હોઈએ ત્યાં "જાવ છોકરાવ... આરતી કરવા જાવ... દિવાબત્તી ટાણું થયું..." એવું દાદી કહે ને અમે દોડીએ.

ઘરની સામે જ દેરાસર. સવાર સાંજ બેય ટાઈમ દર્શન કરવા જવાનું જ. દેરાસરની અગાસીમાં સાંજ પડ્યે કાયમ મોર આવીને બેસતા. દૂરથી, કશો અવાજ કર્યા વિના એ મોરને જોયા કરવાની મજા જ કંઈક ઓર હતી. એ જ મોર વહેલી સવારે અમારા ઘરના આંગણામાં ચણ ચણવા પણ આવી પહોંચતા. મોર, ચકલી, પોપટ, કાબરના કલશોરથી જ સવાર પડયાની ખબર પડી જતી! કદાચ એટલે જ, સવારની સ્કૂલમાં સમયસર પહોંચવા માટે કાયમ રીતસર ઢોલ વગાડીને(ક્યારેક તો ધોલ મારીને!!!) ઉઠાડતી મમ્મી અહીં કંઈ જ ન કહેતી તો યે વહેલી સવારે મોંસૂઝણું થતા જ ઊંઘ આપમેળે ઊડી જતી! લગભગ સરખી જ ઉંમરના પિતરાઈ કાકાઓ અને ફોઈઓનું આખું ટોળું અમારે ત્યાં જ ભેગું થતું. ચાલીસેક ફુટ લાંબી ઓસરીમાં હિંડોળા ખાટ બાંધેલી એમાં દસ-બાર જણા એકસાથે ગોઠવાયા હોઈએ. એક કાકા ધીરેથી પાટને હિંચોળે ને જેવો હિંડોળો વેગ પકડે કે સડપ દઈને કૂદીને ખાટ પર ચડી જાય! એટલો ઊંચે લગી હિંડોળાને ઝુલાવીએ કે છેક છત લગી હાથ અડકી જાય! પેલો કાકો તો છતમાં ભરાવેલો બલ્બ કાઢી લ્યે ને બીજા ફેરામાં પાછો ભરાવી ય દયે! અને અમે બાકીના બધા જે રિડીયારમણ કરતા! એવી થ્રિલ પછી ક્યારેય કોઈ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડમાં નથી આવી! ને આ બધી ધમાલ કરતા પહેલા ખાત્રી કરી લઈએ કે ઘરે કોઈ પુરુષવર્ગ હાજર નથી ને... પછી ઓસરીના તોતિંગ દરવાજા સાંકળ વાસીને બંધ કરી દઈને આ બધા કારસ્તાન કરીએ! બહુ દેકારા થાય એટલે દાદી કે ફૈબા દરવાજા ઠપકારે. મોટા કાકાઓ અને ફોઈઓ એમના લાંબા પગ ઘસડાવીને ફુલ સ્પીડે ચાલતો હિંડોળો પળવારમાં અટકાવી દયે ને દરવાજો ખોલીને બધા ચૂપચાપ બેસી જઈએ! ધીરે ધીરે સૌ સૌના ઘેર સરકવા માંડે! બા કે ફૈબા મારી સામું જોઈને કહે, "જા તારી મમ્મીને રસોડામાં કાંઈ જોઈતું કારવતું હોય તો પૂછી આવ!" બધું ત્યાં જ હોય, શું જોઈતું હોય?

"એને કાંઈ નથી જોઈતું..." કહેતાં આંખના પલકારામાં ફરી ઓસરીમાં ટહૂકીએ. બા ઓસરીમાંથી અંદરના ઓરડામાં જઈને ન જાણે શું આઘું પાછું કરતા હોય, કોને ખબર. પણ અમને તો એ ઓરડામાં રાખેલી જાતજાતની ચીજો જોવામાં બહુ રસ પડતો! એક તરફ અનાજ ભરવાની માટીની ત્રણેક કોઠીઓ ને બીજી તરફ પતરાનો બનાવેલો અનાજ ભરવાનો મોટો કોઠલો! બે કોઠીમાં બારેમાસ પક્ષીને ચણ નાખવા માટેની જાર ભરી રાખતા તો એક કોઠીમાં બાજરો. ઘરમાં બારે મહિના બાજરાનો રોટલો ખવાતો! એક તરફ પાંચ છ ફાનસ પડ્યા હોય તો બીજી તરફ મગ ભરડવાનો નાનો ઘંટૂલો! બીજા બેઠા ઘાટના ગોળ મોઢાવાળા પતરાના પીપડા, જેમાં બાર મહિના ચાલે તેટલી જુદી જુદી દાળ ભરી રખાતી. એક તરફ ગોળ ભરેલા બે માટલાં પણ પડ્યાં હોય ને તેલના ડબ્બાની એક આખી લાઇન હોય! અભરાઈ પર પિત્તળના થાળીવાટકાની એક હાર રહેતી. પણ સૌથી રોમાંચક ચીજ હોય તો તે હતી પટારો! મોટા હડૂસ જેવા એ પટારા ના તોતિંગ નકૂચામાં કાયમ તાળું મારેલું રહેતું! એમાં શું હશે તે જાણવાનું કૂતુહલ મારા બાળમાનસમાં કાયમ રહેતું! વર્ષો પછી ખબર પડેલી કે ઘરમાં કબાટ આવ્યા પહેલા ઘરેણાં ને કિંમતી કપડાંના પોટલાં રાખવા માટે વપરાતા એ પટારામાં કબાટ આવ્યા પછી મહેમાનો માટે વપરાતી રજાઈઓ સિવાય કશું રાખવામાં આવતું ન હતું. પણ વેકેશનમાં અમે બધી બચ્ચા પાર્ટી પટારો ખોલવા જઈએ ને કોઈની આંગળી આવી જાય કે પછી ખૂલ્લો મૂકી દઈએ ને અંદર ઉંદર ઘુસી જાય તો!? એ બીકે દાદી એ પટારાને તાળું મારી રાખતા!

ઓસરીની કોરે જ કોલસા ભરવાની ઓરડી હતી. આમ તો પહેલા એ રસોડું હતું પણ પછી એનો કોલસા ભરવામાં ને સગડી, કેરોસીનનો ડબ્બો, વધારાના સાવરણા, સાવરણી રાખવામાં ઉપયોગ થતો. એની દીવાલે જ જૂઈનો વેલો ચડાવેલો, જે છેક અગાસીથી ય ઊંચે જઈ ચડેલો! ન જાણે મને કેમ એ ઓરડીમાં જતા બીક લાગતી. કદાચ એ કારણે કે પેલા ખેપાની કાકાએ એકવાર ત્યાં ભૂત થાય છે એવી બીક બતાવીને થપ્પો રમતી વખતે એ જગ્યા અમ નાનડિયાઓ માટે સંતાવા માટે બ્લોક કરી દીધેલી! જો કે એવું તો કશું હતું જ નહીં પણ જૂઈના માંડવાને લીધે ક્યારેક એ ઓરડીમાં સાપ દેખાયાનું પણ સાંભરણમાં છે.

હજુ તો ઘણું બધું છે ને હાથ થાક્યા નથી પણ મન ફરી એ બાળપણની દુનિયામાં ખોવાઈ ગયું છે. શક્ય હશે તો વધુ નિરાંતે લખીશ. આજે આટલું જ.

માર્ચ 24, 2018

અફસાના લિખ રહી હૂં...



હનુમાન મંદિરમાં ફિલ્મી ગીત???

જાડા માણસો માટે એવું કહેવાતું હોય છે કે, સ્વભાવના રમૂજી હોય, સરળ સ્વભાવના હોય ને કોઈ વાતે ઝટ દઈને માઠું ન લગાડતા હોય! ને ક્યારેક કોઈ વાતે ઝાઝું વિચારતા પણ ન હોય! ને પાછા આવા લોકો એમના ક્ષેત્રમાં સફળ હોય કે ન હોય પણ પ્રખ્યાત તો હોય જ. એમાં પણ હાસ્યના ક્ષેત્રે તો આવા વજનદાર લોકોના અનેક ઉદાહરણ મળી આવે. ફિલ્મ જગતની વાત કરીએ તો ટુનટુનનું નામ હૈયે આવ્યા વિના ન રહે.

ટુનટુન... આ નામ સંભાળતા જ મનમાં હાસ્યનો ફુવારો ઉડ્યા વગર ન રહે. આમ જોઈએ તો ટુનટુનનાં ભાગે આવેલા મોટા ભાગના પાત્રો એક જાડી, ભદ્દી, ગમાર, તોછડી, તુંડમિજાજી સ્ત્રીને પડદા પર રજૂ કરતા હતા. તેમ છતાં, પ્રેક્ષકો સહેલાઈથી તેમણે ભજવેલા પાત્ર સાથે ‘કનેક્ટ’ થઇ શકતા. એની પાછળ કદાચ ટુનટુને ભજવેલા પાત્રોની વાસ્તવિકતા અને સહજતા કારણભૂત હોઈ શકે.

ટુનટુન... જેનું બાળપણ અનાથ તરીકે વીત્યું, એમનું બાળપણનું નામ ઉમાદેવી ખત્રી. કહેવાતા પાલક સગાવહાલાઓને આ બાળકીના ઉછેરમાં કોઈ રસ ન હતો. બે ટંક ખાવાના બદલામાં ચોવીસ કલાક વૈતરું કૂટતી કિશોરીના જીવનની એકમાત્ર ખુશી કામ કરતા કરતા ગીતો ગણગણતા રહેવામાં હતી. ફિલ્મમાં ગીત ગાવા મળે તો સગાઓના ત્રાસમાંથી છૂટી શકાય, એ વિચારે માત્ર તેર વર્ષની ઉમરે ઉમાદેવી મુંબઈ ભાગી આવ્યા. પાર્શ્વગાયન માટે તક આપવા માટે એમની બેધડક રજૂઆતથી અંજાયેલા નૌશાદે તેમની આગામી ફિલ્મ ‘દર્દ’ માટે એક નહિ, ચાર ચાર ગીત ગાવાની તક આપી. જેમાં ત્રણ સોલો અને એક ગાયિકા સુરૈયા સાથેનું યુગલ ગીત હતું.

‘દર્દ’ ફિલ્મનું ઉમાદેવીએ ગાયેલું ગીત ‘અફસાના લિખ રહી હૂં...’ એટલું તો પ્રખ્યાત થયું કે દેશના ખૂણે ખૂણે લોકજીભે રમતું થઇ ગયું! આ ગીતની લોકપ્રિયતા વિષે એક મજેદાર કિસ્સો છે. સાઠના દશકની શરૂઆતમાં જ્યારે ગુરુ દત્ત અને ગીતા દત્તનું લગ્નજીવન સાવ તૂટી જવાની અણી પર હતું ત્યારે, ગમે તેમ કરીને આ સંબંધ બચાવી લેવા માટે ગીતા દત્ત મરણિયા પ્રયાસ કરી રહ્યાં હતા. કોઈએ એમને સૂચવ્યું કે મથુરાના કોઈ હનુમાન મંદિર ખાતે એક પ્રકાંડ જ્યોતિષી પુજારી છે, જે કોઈ ઉપાય સૂચવી શકે એમ છે. ગીતા દત્ત એ પુજારીને મળવા ઉપડ્યા. સાથે ટુનટુનને પણ લીધા. થયું એવું કે, મંદિરના પટાંગણમાં એકથી થયેલી ભાવિકોની ભીડ આ બંને સન્નારીઓને ઓળખી ગઈ. પછી તો પૂછવું જ શું હતું. લોકોએ એમના અવાજમાં ગીત સંભળાવવા માટે આગ્રહ કરવા માંડ્યો.

ગીતા દત્ત પહેલા તો જરા અસમંજસમાં પડી ગયા કે મંદિરના આંગણમાં ફિલ્મી ગીત કઈ રીતે ગાવું. પરંતુ પુજારીએ ખુદ તેમણે લોકોનો અનુરોધ પૂર્ણ કરવા આગ્રહ કર્યો. અને ગીતાજી એ ગાયું....’મેરા સુંદર સપના બીત ગયા....’ હવે વારો હતો ટુનટુનનો. ટુનટુન માટે હવે ઝાઝું વિચારવા જેવું યે ક્યાં હતું? ખીચોખીચ જામેલી મેદની સામે જોતા જોતા તેમણે ગાવા માંડ્યું.... અફસાના લિખ રહી હૂં... દિલે બેકરાર કા.... આંખોમેં રંગ ભર કે તેરે ઇન્તઝાર કા...’

ખેર... એ સમય અલગ હતો. લોકો સ્વભાવે સરળ હતા. ખરા અર્થમાં સહિષ્ણુ હતા અને ફિલ્મસંગીતના એટલા રસિયા પણ હતા કે મંદિરમાં પણ ફિલ્મગીતની મઝા માણી શકતા હતા!

માર્ચ 20, 2018

મોહિની... માધુરી...


"એક... દો... તીન..... ચાર..પાંચ..છહ..સાત..આઠ..નૌ..દસ..ગ્યારહ..બારા..તેરા... "

વર્ષો અગાઉ, સંગીતકાર રવિએ તેમની પ્રથમ ફિલ્મ 'વચન'ના એક ગીત, 'ચંદામામા દૂર કે, પુએ પકાએ બુર કે....'ની ધૂન બનાવતી વખતે ઇન્ટરલ્યૂડમાં, મહારાષ્ટ્રના  તહેવાર ગણેશોત્સવની ઉજવણી વખતે સાર્વજનિક રીતે વગાડવામાં આવતી એક લોકપ્રિય ધૂનનો ઉપયોગ કર્યો હતો. એ ગીત વિશે આજની પેઢી કદાચ સાવ અજાણ હોય એવું બને, પરંતુ વર્ષો પછી સંગીતકાર બેલડી  લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે એ જ સુમધુર ધૂનનો ઉપયોગ કરીને એક ગીત રચ્યું, જે હિંદી ફિલ્મજગતમાં સ્વયં એક ઇતિહાસ બની ગયું! ગીત વિશે વાત કરીએ એ પહેલા થોડીક રસપ્રદ વાત, એ ગીત કઈ રીતે બન્યું એ વિશે કરીએ. 

ફિલ્મજગતમાં સામાન્ય શિરસ્તો એ છે કે કોઈ પણ ગીતની ધૂન પહેલા તૈયાર કરી લેવામાં આવે છે. ત્યારબાદ ગીતકાર-સંગીતકાર એકસાથે બેસીને ફિલ્મની વાર્તાની માંગ મુજબ એ ધૂન પર કેવા શબ્દો બંધબેસતા થશે એની ચર્ચા કરે છે અને ત્યારબાદ ગીતકાર પોતાની કલ્પનાના રંગો ભરીને આખુંયે ગીત તૈયાર કરે છે. વાત છે 1988ની. યુવા નિર્દેશક એન. ચંદ્રાની ફિલ્મ માટે એલપી એટલે કે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સંગીત તૈયાર કરી રહ્યાં હતા. ફિલ્મના ગીતકાર જાવેદ અખ્તરને એલપીએ એક ધૂન સંભળાવી. એક, દો, તીન.... લા..લા...લા...

તૈયાર ધૂન પર બેસાડેલા આવા 'ડમી' શબ્દોને પકડીને ગીતકાર જાવેદે મથામણ આદરી. એક... દો.... તીન... ચાર.... પાંચ.... છે.... સાત.... ગીતની ધૂન ડમી શબ્દો વડે ગણગણતા જાવેદ અખ્તરને અચાનક શું સૂઝયું તો આ ગણતરી આગળને આગળ વધારી. એક મહિનાના ત્રીસ દિવસ અને આ ત્રીસ દિવસમાંથી કેટલાયે દિવસો નાયિકા, નાયકની પ્રતીક્ષામાં વીતાવે છે. એ વિચારને પકડીને એક જબરજસ્ત ગીત જાવેદ અખ્તરની કલમે અક્ષરદેહ ધારણ કરી ચૂક્યું. ધૂન તો અફલાતૂન હતી જ. એ સમયની નવીસવી ગાયિકા અલકા યાગ્નિકના તાજગીભર્યા સ્વરમાં આ ગીત રેકોર્ડ થયું. હવે બધો દારોમદાર નૃત્યનિર્દેશક અને અભિનેત્રી પર હતો. ફિલ્મની વાર્તા મુજબ, નાયિકા આ ગીતમાં  સ્ટેજ પર ઉત્તેજક નૃત્ય કરે છે. કોરિયોગ્રાફર સરોજખાનને શંકા હતી કે કથ્થક નૃત્યમાં નિપુણ એવી આ નવીસવી  "છોકરી" બોલીવુડ સ્ટાઇલમાં લટકાઝટકા કરી શકશે કે કેમ.

કારણ કે, આ નવીસવી છોકરીની એન. ચંદ્રાની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ એ અગાઉ કોઈ ખાસ ઓળખ ન હતી. બન્યું એવું કે 1984ની સાલમાં રાજશ્રી પ્રોડક્શનના નેજા હેઠળ નવોદિત કલાકારોને લઈને બનેલી અને સરિયામ નિષ્ફળ રહેલી એવી ફિલ્મ  'અબોધ'માં  ભલીભોળી, અત્યંત માસૂમ દેખાતી આ નવીસવી છોકરીએ ફિલ્મજગતના ઘણા લોકોનું  ધ્યાન પોતાના  તરફ  ખેંચ્યું હતું. 'અબોધ' બાદ બે ચાર ફિલ્મોમાં કામ પણ કર્યું પણ સફળતાનો સ્વાદ હજુ ચાખવા મળ્યો ન હતો. સંઘર્ષના એ દિવસોમાં, 'અંકુશ' અને 'પ્રતિઘાત' જેવી ફિલ્મો થકી પોતાની આગવી ઓળખ ઊભી કરનારા નિર્માતા-નિર્દેશક એન.ચંદ્રાને પોતાની આગામી ફિલ્મ 'તેઝાબ'માં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવવા માટે એક નવા, તાજગીભર્યા ચહેરાની તલાશ હતી  મનમોહક સ્મિત અને સહજ સુંદરતાના બળે અભિનયની દુનિયામાં પા પા પગલી ભરતી બબલી એટલે કે માધુરી દીક્ષિત એમની આંખોમાં વસી ગઈ! 

ખેર...  લગાતાર રિહર્સલો અને દિવસરાતની મહેનત પછી જે પરિણામ આવ્યું તે આભૂતપૂર્વ હતું! ફિલ્મ રજૂ થયાના પહેલા જ દિવસથી ટિકિટબારી પર ટંકશાળ પડી! 'એક, દો, તીન, ચાર...'ગીતમાં મુક્તમને નાચતી ફિલ્મની નાયિકા 'મોહિની' માધુરી દીક્ષિતની લોકપ્રિયતાનો જુવાળ એવો તો ઉમટયો કે આબાલવૃધ્ધ સૌ કોઈ તેના દિવાના બની ગયા! આ ગીત અને આ ફિલ્મે માધુરી માટે પાયાના પથ્થરનું કામ કર્યું, જેના પર એક સુદીર્ઘ, સફળ, ઝાકઝમાળ ભરી કારકિર્દીની એવી એક મજબૂત ઇમારત ખડી થઈ કે જેણે હિંદી ફિલ્મ જગતના ઇતિહાસમાં એક નવા જ યુગનો પ્રારંભ કર્યો.

(પૂરા ઓગણત્રીસ વર્ષ બાદ ફરી એક વાર ફિલ્મ "તેઝાબ'નું આ સુપરડુપર ગીત નવા રૂપરંગ સાથે ધમાલ મચાવવા આવી રહ્યું છે. ફિલ્મ બાગી 2 માટે શ્રીલંકન સુંદરી જેક્વેલીન ફર્નાન્ડીઝ પર ફિલ્માવાયેલા આ ગીતમાં લગભગ બધું જ મૂળ ગીતની કોપી જેવું છે. હા, મૂળ ગીતની મઝા છે કે નહીં એ સૌની અલગ પસંદગીનો વિષય છે.)

માર્ચ 10, 2018

એને પડછાયાની હતી લગન....


'એક દર્દ થા
જો સિગરેટ કી તરહ
મૈને ચૂપચાપ પિયા હૈ
સિર્ફ કુછ નજ્મેં હૈ-
જો સિગરેટ સે મૈને
રાખ કી તરહ ઝાડી હૈ...'

આસમાનમાં ઊડતા કો' સ્વૈરવિહારી પંખી જેવા મુક્ત વિચારો ધરાવતી, હિંદી અને પંજાબી સાહિત્યની અત્યંત સંવેદનશીલ  સાહિત્યકાર અમૃતા પ્રીતમનું નામ ભારતીય મહિલા સાહિત્યકારોની સૂચિમાં આજે પણ અગ્રિમ હરોળમાં લેવાય છે. જેટલી સુંદરતા ઈશ્વરે એમને બક્ષી હતી એનાથી અનેકગણા સુંદર અને ભાવપૂર્ણ હતા એના શબ્દો. કાચી ઉંમરે જ પોતાના મનોભાવોને, પોતાના સ્વપ્નોને કાવ્ય સ્વરૂપે રજૂ કરવાની કળા હસ્તગત કરી લેનાર અમૃતાને કાવ્ય લેખન એ પિતા તરફથી વારસામાં મળેલી આ અનન્ય ભેટ હતી.

હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબના ગુજરાવાલાંમાં માતા રાજ બીબી અને પિતા શ્યામ સાધુને ત્યાં જન્મનાર અમૃતા ના પિતા પોતે પણ 'પિયૂષ' ઉપનામથી કવિતાઓ લખતાં હતા. ખૂબ જ નાની વયે માતાને ગુમાવી દેનાર અમૃતાનો  ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઊડી ગયેલો. ધાર્મિક કવિતા લખતા પિતાની જાણબહાર તેમણે રોમેન્ટિક કવિતાઓ લખવાની શરૂ કરી દીધેલી. સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ 'અમૃત લહરેં' પ્રગટ થયો તે પછી તેમની સત્યાસી વર્ષની લાંબી જીવન સફર દરમિયાન તેમણે અઠ્ઠાવીસ જેટલી નવલકથાઓ, અઢાર કાવ્ય સંકલન, કેટલીયે લઘુકથાઓ, આત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં.

અમૃતા   એવા પ્રથમ મહિલા હતાં કે જેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 1957માં તેમની કૃતિ 'સુનહરે' માટે તેમને આ ગૌરવ પ્રાપ્ત થયું. તો ૧૯૮૨માં 'કાગઝ કે કૈનવસ' માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. તદ્દઉપરાંત 1961માં પદ્મશ્રી અને ૨૦૦૪માં પદ્મવિભૂષણ જેવા સન્માન વડે તેમને નવાજવામાં આવ્યાં. આ ઉપરાંત, શાંતિનિકેતન સહિત અન્ય કેટલીયે પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ દ્વારા તેમને ડી. લિટરેચરની માનદ્ ડીગ્રી પ્રાપ્ત થઈ!

આ બધા જ માન-સન્માન, ઈનામ અકરામથી પરે, અમૃતાજીની ભીતર એક બેહદ સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જે એક સ્ત્રીના મનોભાવોને બખૂબી સમજતી હતી, એટલું જ નહીં, તેને સુપેરે પોતાની કલમના સહારે પોતાની રચનાઓમાં વ્યકત  કરી શકતી હતી.

વાત અમૃતા પ્રીતમની થાય અને સાહિર લુધિયાનવીનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી. પોતાના પતિ સરદાર પ્રીતમ સિંઘ સાથેના લગ્નથી બે સંતાનના માતા બનેલાં અમૃતાના લગ્ન જીવનમાં,  સાહિરને મળ્યા અગાઉ જ  તિરાડો પડી ચૂકી હતી. સાહિર લુધિયાનવી સાથેના તેમના પ્રેમસંબંધની શરૂઆત તેમની પ્રથમ મુલાકાત દરમિયાન જ થઈ ચૂકી હતી. જો કે, આ પ્રેમ કયારેય સંપૂર્ણ થવાનો ન હતો, જેના એંધાણ પણ અમૃતાજીને આ પહેલી મુલાકાતમાં જ મળી ચૂકયા હતા.

'જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત....'

સાહિર સાહેબનું લખેલું આ ગીત એક કવિની કલ્પનામાત્ર નહીં પણ અમૃતા સાથેની તેમની પ્રથમ મુલાકાતનું  યાદગાર કાવ્યમય વર્ણન છે. ૧૯૪૪ની આસપાસ, લાહોર અને અમૃતસરની વચ્ચે આવેલા એક ગામ પ્રીત નગર મુકામે પંજાબી અને ઉર્દૂ શાયરોનો એક મુશાયરો યોજાયો હતો, જેમાં ભાગ લેવા આવેલા સાહિરની શાયરી સાંભળીને અમૃતાને તેમના તરફ અદમ્ય આકર્ષણ થયું.  આ મુલાકાત વિશે અમૃતાજીએ લખ્યું: 'મુઝે પતા નહીં, યહ ઉનકે શબ્દોં કા જાદૂ થા યા ફિર ઉનકી ખામોશ નજરોં કા, જો લગાતાર મુઝે દેખે ચલી જા રહી થીં... બાત ચાહે જો ભી હો... મૈં ઉન પર પૂરી તરહ સે મોહિત હો ચૂકી થી..'

અર્ધી રાત પાછી મુશાયરો સમાપ્ત થયો. સૌ માટે ત્યાં જ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઈ હતી. બીજે દિવસે બાજુના એક નાનકડા ગામ લોપોકી સુધી સૌએ પગપાળા જવાનું હતું, જ્યાંથી લાહોર જવા માટે બસની વ્યવસ્થા  કરવામાં આવી હતી.

રાત ભર વરસાદ વરસવાને લીધે લોપોકી જવા માટેનો કાચો રસ્તો કાદવકીચડ ભર્યો અને અત્યંત  લપસણો  થઈ ચૂકયો હતો. પણ અમૃતાજી ને મન તો આમા પણ દૈવનો કોઈ હાથ હોય એમ લાગતું હતું જે  આ શબ્દ્સ્વરૂપે નિખરે છે: 'જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂં, તો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દિએ થે, જિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી...!'

વરસાદને કારણે લપસણા થયેલા રસ્તા પર સૌ સંભાળી સંભાળીને ચાલી રહ્યાં હતા. આ ઘટનાને અમૃતાજી અત્યંત સુંદર રીતે  વર્ણવી છે, 'સાહિર સે કુછ કદમ પીછે ચલતે હુએ મૈંને ગૌર કિયા કિ સડક પર સાહિર કા જો સાયા પડ રહા થા, મૈં પૂરી તરહ સે ઉસમેં ખોતી ચલી જા રહી થી.. ઉસ વક્ત નહીં જાનતી થી કિ બાદ કી જિંદગી કે કિતને હી તપતે હુએ સાલ મુઝે ઈસી સાયે મૈં ચલતે હુએ કાટને હોંગે યા કભી કભી થક કર અપને હી અક્ષરોં કી છાયા મૈં બૈઠના હોગા...'  આ વાતને સૈફ પાલનપુરીના  શબ્દોમાં કહીએ તો... 'એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી....' 

જીવનભર એકમેકને ભરપૂર પ્રેમ કરવા છતાં, આજીવન તેમની વચ્ચે ચૂપકીદીની એક ઊંડી ખાઈ  હંમેશા મોજૂદ રહી. આ ચૂપકીદીનો ઉલ્લેખ અમૃતાજીની કવિતાઓમાં પણ વારંવાર કળાય છે. તો પોતાની આત્મકથા 'રસીદી ટિકિટ'માં આ અજબ પ્રેમની ગજબ કહાણી વિશે લખતા અમૃતાજી કહે છે: 'જબ સાહિર મુઝસે લાહૌર મિલને આતે થે, તો મુઝે લગતા થા કિ મેરે પાસ વાલી કુર્સી પર મેરી હી ખામોશી બૈઠી હુઈ થી ઔર ફિર વો વહાં સે ચલી ગઈ!'

આ ખામોશ સંબંધને નિભાવતા સાહિર કારકિર્દીના અવ્વલ મુકામે પહોંચ્યા તો અમૃતાએ પણ પોતાની શ્રેષ્ઠતમ રચનાઓ આપી. પણ તેમના નસીબમાં મિલનનું સુખ કયારેય ન હતું. આ વિશે અમૃતાજી પોતાની એક રચનામાં કહે છે:

'આસમાન જબ ભી રાત કા
ઔર રૌશની કા રિશ્તા જોડતે હૈ
સિતારે મુબારકબાદ દેતે હૈં
ક્યોં સોચતી હૂં મૈં
અગર કહીં...
*
*
*
મૈં, જો તેરી કુછ નહીં લગતી...' 

માર્ચ 08, 2018

મૈં પલ દો પલ કા શાયર હૂં'



''ઔરતને જનમ દિયા મરદોં કો, મરદોંને ઉસે બાઝાર દિયા...
જબ જી ચાહા, મસલા-કૂચલા... જબ જી ચાહા ધૂતકાર દિયા...''

દર વર્ષે આઠ માર્ચે ઊજવાતા ''વુમન્સ ડે'' નિમિત્તે ફેસબુક, વોટ્સ અપ જેવી સોશ્યલ સાઈટ્સ પર ઠલવાતા ઢગલોએક શુભેચ્છા સંદેશાઓ વચ્ચે 1958ની ફિલ્મ 'સાધના'ના એક ગીતની આ પંકિતઓ થોડી અપ્રસ્તુત લાગે પણ આજના સમયના સંદર્ભમાં પણ ક્યાંક ને ક્યાંક આ પંકિતઓ કોઈક ને કોઈક સ્વરૂપે સાચી પડતી હોય એવું નથી લાગતું? સંયોગની વાત જુઓ કે સામાજિક મુદ્દા પર આવી અનોખી રચના આપનાર શાયર સાહિર લુધિયાનવીનો જન્મદિવસ પણ આ જ દિવસે આવે છે. આજે આ અનોખા શાયર-ગીતકાર વિશે થોડી વાતો કરીએ.

8 માર્ચ, 1921ના રોજ લુધિયાનાના એક અત્યંત ધનાઢય જમીનદાર પરિવારમાં જન્મેલા સાહિરનું મૂળ નામ અબ્દુલ હયી હતું. બાર પત્નિઓ હોવા છતાં અય્યાશ જીવન જીવતા પતિની અય્યાશી અને વિચિત્ર સ્વભાવથી  કંટાળી જઈને અબ્દુલની માતા સરદાર બેગમે એ જમાનામાં ક્રાંતિકારી કહેવાય એવો, એક મુસ્લિમ મહિલા તરીકે  સામેથી પોતાના પતિ  પાસેથી તલાક લેવાનો નિર્ણય કર્યો.મામલો કોર્ટમાં પહોંચ્યો. ચાર વર્ષના માસૂમ અબ્દુલે ભરી કચેરીમાં માતાની સાથે રહેવાની ઈચ્છા વ્યકત કરી. દોલતમંદ અય્યાશ પિતાની સાથે રહીને અભણ ને  ગમાર બને તેના કરતા ગરીબ છતાં ખુદ્દાર માતાની પાસે રહીને ભણીગણીને એક સમજદાર નાગરિક બને એ માટે નામદાર જજસાહેબે બાળ અબ્દુલનો કબજો તેની માતાને આપ્યો. અને ત્યાંથી શરૂ થયેલી કાંટાળી સફરનો આખરી પડાવ મોહમયી મુંબઈની જાદૂભરી સિનેસૃષ્ટિ હશે, એવી ત્યારે કોઈને કયાં ખબર હતી?

મોસાળ જાલંધરમાં મા અને મામાની સતત દેખરેખ નીચે ઉછરી રહેલા  અબ્દુલની માતાને સતત એ ડર રહેતો કે કયાંક અબ્દુલના પિતા તેને ઉઠાવી ન જાય. ચોવીસ કલાક કોઈને કોઈ અબ્દુલની સાથે ને સાથે જ રહેતું. અસલામતીના વાતાવરણમાં ઉછરતા બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય એ સ્વાભાવિક હતું. જો કે, પરિવારના એક હિતેચ્છુની સમજાવટથી અબ્દુલને શાળામાં દાખલ કરવામાં આવ્યો. એ સમયે ન તો અબ્દુલને  પોતાના મુસ્લિમ હોવા વિશે સમજ હતી કે ન તો ઈસ્લામનું કોઈ જ્ઞાન એમને આપવામાં આવેલું. શાળામાં અને ત્યારબાદ કૉલેજમાં પણ મોટાભાગે શીખ અને હિંદુ સહાધ્યાયીઓ સાથે તેમની ગાઢ દોસ્તી હતી. ("અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ..." જેવી રચના તેમની કલમે પ્રસવી તેનું બીજ કદાચ અહીં જ રોપાયુ હશે!)

દીકરાને ભણાવીગણાવીને જજ કે સિવિલ સર્જન બનાવવાના સ્વપ્ન જોતી માતાને જો કે, એવો અણસાર સુદ્ધાં  નહોતો કે દીકરો મોટો થઈને નામી શાયર બનશે. શાળામાં  અબ્દુલને ઉર્દુ અને ફારસી ભણાવનાર શિક્ષકે તેમની સાહિત્ય પ્રત્યેની  રૂચિ પારખીને શાયરી કરવા માટે પ્રોત્સાહન   આપ્યું એટલું જ નહીં, એ સમયના નામી શાયરોની રચનાઓનો રસાસ્વાદ પણ કરાવ્યો. મેટ્રિકની પરીક્ષા આવતા સુધીમાં તો અબ્દુલના મનમાં કોળાયેલા શાયરીના બીજ પર કૂંપળો ફૂટવા માંડેલી.

અબ્દુલ હયીનું 'સાહિર લુધિયાનવી'માં કઈ રીતે રૂપાંતર થયું? મેટ્રિકની પરીક્ષાની તૈયારી કરી રહેલા અબ્દુલનું ધ્યાન,  પાઠ્યપુસ્તકમાં છપાયેલી સુપ્રસિદ્ધ શાયર ઈકબાલની એક નજમ પર પડયું, જે તેમણે ઓગણીસમી સદીના મહાન શાયર દાગ દહેલવીની પ્રશંસામાં લખેલી. તેમાંનો એક શબ્દ 'સાહિર' કે જેનો શાબ્દિક અર્થ થાય છે 'જાદુગર', તે અબ્દુલને પોતાના ઉપનામ તરીકે ખૂબ જ ગમી ગયો. શાયરીમાં પોતાના પ્રેરણાસ્રોત એવા મઝાઝ લખનવી, જોશ મલિહાબાદી તેમજ શાયરીની શિક્ષા આપનાર શિક્ષક ફૈયાઝ હરિયાનવી - આ બધા નામોથી પ્રેરાઈને અબ્દુલે  'સાહિર' સાથે જન્મસ્થળ લુધિયાનાનું નામ જોડી દઈને 'સાહિર લુધિયાનવી' તરીકે પોતાનું  નવું નામકરણ કર્યું. અને આ સાથે જ જાણે કે એક નવા જ વ્યક્તિત્વનો તેમનામાં આવિર્ભાવ થયો. તેજાબી કલમના આ શાયરે ડર, અપમાન અને અવહેલનામાં વીતેલા પોતાના બાળપણની પીડાને બંડખોર, ઉગ્ર શબ્દોનું રૂપ આપ્યું. મૂડીવાદી સામંતશાહી સમાજ દ્વારા, ગરીબ અને લાચાર લોકો પર થતા અત્યાચાર પર સાહિરની શાયરીના શબ્દોરૂપી કોરડા ધડાધડ વીંઝાવા લાગ્યા.

કોલેજમાં દર્શનશાસ્ત્ર અને ઇતિહાસનો અભ્યાસ કરતા કરતા સાહિરની રૂચિ રાજનીતિ તેમજ અર્થશાસ્ત્ર જેવા વિષયો પરત્વે વધવા માંડી. ક્રાંતિકારી વિચારો ધરાવતા આ જલદતેજાબી શાયરની કલમના પરચા અંગ્રેજ સરકારને પણ મળવા લાગ્યા. રાજનીતિક પ્રવૃત્તિઓમાં નિર્ણયાત્મક ભાગ ભજવવા બદલ કોલેજમાં એમને છેલ્લા વર્ષની પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહીં. માતાની લાખ ઈચ્છા હોવા છતાં સાહિર ગ્રેજ્યુએટ થઈ શકયા નહીં. જો કે, માત્ર ત્રેવીસ વર્ષની ઉમરે તેમની શાયરીનું સંકલન  'તલ્ખિયાં' પ્રસિદ્ધ થઈ ચૂકેલું, એ કોઈ નાનીસૂની સિદ્ધિ ન હતી. સાહિરના જીવનકાળ દરમિયાન જ 'તલ્ખિયાં'ની પચ્ચીસ આવૃતિ બહાર પડેલી! એ સમયે એવું કહેવાતું કે કોઈ પણ નવું પ્રકાશન ગૃહ શરૂ થાય તો એ પહેલવહેલા 'તલ્ખિયાં' છાપે, પછી બીજા પુસ્તકો બહાર પાડે! જો કે પ્રસિદ્ધિથી પેટ કયાં ભરાય છે? એકાદ સાહિત્યિક પત્રિકાના સંપાદન માટે ચાલીસ રૂપિયાના પગારે કામ કરતા સાહિરે આખરે 1946માં મુંબઈની વાટ પકડી અને ફિલ્મગીતલેખન ક્ષેત્રે પા પા પગલી માંડી.

એક તરફ એમની કલમે કંઈ કેટલાય ગીતોમાં રોમાન્સના રંગ ભર્યા, તો સામાજિક મુદ્દાઓ પર પણ એમની કલમ જોરશોરથી ચાલી.. હિન્દી ફિલ્મોના માળખામાં આવું જવલ્લે જ બને છે. એક રોમેન્ટિક શાયર તરીકે સાહિરના ગીતોના બે-ચાર ઉદાહરણ જોઈએ તો, 'છૂ લેને દો નાઝુક હોંઠોં કો...', 'યે ઝુલ્ફ અગર ખૂલ કે બિખર જાયે તો અચ્છા.....' જેવા 'કાજલ'ના ગીતો હોય કે પછી 'પ્યાસા' નું યાદગાર ગીત 'આજ સજન મોહે અંગ લગા લે...' કે પછી ફિલ્મ 'શગુન'નું 'તુમ અપના રંજો ગમ, અપની પરેશાની મુઝે દે દો....' કે પછી 'બહુરાની'નું અત્યંત પ્રેમભર્યુ ગીત 'ઉમ્ર હૂઈ તુમસે મિલે, ફિર ભી જાને ક્યૂં ઐસા લગતા હૈ, જૈસે પહેલી બાર મિલે હૈ...'

સાહિરમાં છૂપાયેલા એક અત્યંત સંવેદનશીલ પ્રેમીને દુનિયા સમક્ષ રજૂ કરી દેતા આ બધા ગીતો ની સામે, 'ફિર સુબહ હોગી'નું ગીત 'રહેને કો ઘર નહીં હે, સારા જહાં હમારા...' હોય કે 'પ્યાસા'નું જ ઓર એક ગીત 'યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે?' હોય કે પછી કોમી રમખાણો પર આધારિત ફિલ્મ 'ધર્મપુત્ર'ના ગીતો 'યે કિસ કા લહુ હૈ, કૌન મરા...' અને 'યે મસ્જિદ હૈ વો બુતખાના' હોય. તો અન્ય એક કિસ્સામાં,   સામાજિક બુરાઈઓ પર કોરડા વિંઝતી એમની તેજાબી કલમ 'ધૂલ કા ફૂલ'માં અત્યંત મર્મસ્પર્શી શબ્દોમાં લખે...'તુ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ, ઈન્સાન બનેગા....'

સાહિરની એક યાદગાર નજમ 'કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ, કિ ઝિંદગી તેરી ઝૂલ્ફોં કે નર્મ સાયે મેં ગુઝર જાતી તો શાદાબ હો સક્તી થી...' નો ઉપયોગ થોડા ફેરફાર સાથે ફિલ્મ 'કભી કભી'ના ટાઈટલ સોંગમાં કરવામાં આવેલો. આ જ ફિલ્મનું ઓર એક ગીત 'મૈં પલ દો પલ કા શાયર હૂં' એ સાહિરની ખુદની જિંદગીનું બયાન છે. આ બંને રચનાઓ 'તલ્ખિયાં'માંથી લેવામાં આવી હતી.

માનવીય સંબંધોની નાજુક અભિવ્યક્તિની સંવેદનશીલ રજૂઆત કરતા અનેક ગીતો હિન્દી ફિલ્મોને આપનાર શાયર સાહિર લુધિયાનવીને જન્મજયંતિએ શત શત નમન સહ સ્મરણાંજલિ..

ફેબ્રુઆરી 27, 2018

અભરામ ભગત



આજથી નવ દાયકા પહેલાની આ વાત. સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ખોબા જેવડા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકને નામ મળ્યું ઈબ્રાહીમ કરીમ સુમરા. પોલીસખાતામાં મામૂલી નોકરી કરતા પિતાની ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું ય શક્ય ન હતું તો બાળકોને શિક્ષણ ક્યાંથી મળી શકે? માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમને શાળા છોડી દેવી પડી. થોડા વર્ષો બાદ કિશોર વયના ઈબ્રાહીમે મિલમજૂરની નોકરી કરવા માંડી. પણ તકદીરને એ ય મંજૂર ન હતું. એક દિવસ અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગયો! તાત્કાલિક તેને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પણ ઘાનું ઝેર પગમાં ફેલાઈ ચૂક્યું હતું. પરિણામે આખો પગ કાપી નાખવો પડ્યો.

ગરીબી, નિરક્ષરતા, બેકારી અને ઉપરથી કાયમી પંગુતા... આવી હાલતમાં કોઈ શું કરી શકે? સંજોગોના ખેલ સામે લાચાર થઈ ચૂકેલા ઈબ્રાહીમને તેના કાકા પોતાને ઘેર નજીકના ખીરસરા ગામે લઈ આવ્યા. ત્યારે ખુદ તકદીરને પણ ક્યાં ખબર હતી કે ઈબ્રાહીમના જીવનમાં એ કેવો જબરજસ્ત વળાંક લેવાની છે! એવું તે શું થયું કે જમીન પર ચાલવાને અસમર્થ ઈબ્રાહીમનો સિતારો દેશ દુનિયાના ફલક પર બુલંદ થઈને ચમક્યો!

થયું એવું કે કાકાના ગામમાં દર પૂનમે આખી રાત ભજનનો કાર્યક્રમ થતો. ઈબ્રાહીમ ત્યાં જતો ને મંજીરા વગાડતો. ધીરે ધીરે નિયમિત રીતે સાંભળેલા ભજન તેને કંઠસ્થ થતા ગયા. હવે ક્યારેક ક્યારેક તેને ગાવાનો મોકો પણ મળવા લાગ્યો. મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ ધૂપસળીની સુવાસની માફક આખાયે પંથકમાં પ્રસરી ગઈ. શિવરાત્રિએ ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથના પ્રસિદ્ધ મેળામાં ભજન ગાવા માટે ઈબ્રાહીમને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાં એકત્ર થયેલા હજારો લોકોની ભીડ આ નવોદિત ગાયકને સાંભળીને અભિભૂત થઈ ગઈ! ભવનાથની તળેટીમાંથી વહેતી થયેલી ભજનગંગાની આ  સરવાણી ધીરે ધીરે સૌરાષ્ટ્રના નાના મોટા ગામોમાં વહેતી થઈ!

પોતાના અલગારી સ્વભાવને કારણે 'ભગત' તરીકે ઓળખાતા  ઈબ્રાહીમના નામનો ઉચ્ચાર ગામઠી બોલીમાં લોકો 'અભરામ' તરીકે કરતા. આ રીતે ઈબ્રાહીમનું નવું નામકરણ થયું 'અભરામ ભગત'. ટૂંક સમયમાં જ ભજન ગાયક તરીકે અભરામ ભગતની કીર્તિ ચારેકોર પ્રસરી ગઈ. જેતપુર નજીકના વડિયા ગામના દરબાર ભગતના ખરા કદરદાન નીકળ્યા! તેમણે આપેલી જમીન પર મકાન બાંધીને ભગતે એક તરફ પત્ની હલીમાબાનુ સાથે  પોતાનો સંસાર વસાવ્યો, તો બીજી તરફ કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં આગવી ઓળખ મેળવી. એટલું જ નહીં, યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ, દુલા ભગત જેવા એ સમયના ગુજરાતના  ખ્યાતનામ ભજન ગાયકોની વચ્ચે લોકચાહનાની દ્રષ્ટિએ
અગ્રીમ સ્થાન મેળવ્યું.

ભજન ઉપરાંત અભરામ ભગત 'આખ્યાન'ની કળામાં પણ માહેર હતા. નરસિંહ મહેતાનું  'કુંવરબાઈનું મામેરું' આખ્યાન તેમના કંઠે સાંભળવું એ અનેરો લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત કાવ્યપ્રકારની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ગવાતી એવી  આરાધ, કટારી, પ્રભાતિયા, રામગરી જેવી ભજનની અનેકવિધ ગાયકીમાં તેમણે મહારત હાંસલ કરી હતી. જોતજોતામાં તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૌરાષ્ટ્ર ગુજરાતના નાનામોટા શહેરોમાં તો ઠીક, મુંબઈમાં પણ તેમના શો હાઉસફુલ થવા લાગ્યા. કોલંબિયા અને એચએમવી જેવી નામી રેકોર્ડ કંપનીઓએ બહાર પાડેલી  તેમના ગાયેલા ગુજરાતી તેમજ હિંદી ભજનોની એલપી રેકર્ડ વિક્રમજનક સંખ્યામાં ચપોચપ વેચાઈ જવા લાગી!  તેમણે હિંદીમાં ગાયેલા સાંઈબાબા ભજનોની શ્રેણી એટલી પ્રખ્યાત થઈ કે લોકો એ જ હોટલમાં જવાનું પસંદ કરતાં કે જયાં તેમના ગાયેલા ભજનોની રેકર્ડ વાગતી હોય!

આપણને જાણીને નવાઈ લાગે કે અભરામ ભગતના અગણિત ચાહકોની યાદીમાં એક નોંધપાત્ર નામ મહાત્મા ગાંધીનું પણ હતું! પૂ. બાપુએ વ્યક્તિગત રીતે તેમને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો! એટલું જ નહીં, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાની સઘળી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપી દેનાર આ અલગારી ભગતને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખાસ આમંત્રણ આપીને દિલ્હી તેડાવ્યા હતા. ત્યાં તેમણે રજૂ કરેલા ભજન સાંભળીને પોતે અભિભૂત થઈ ગયા હતા એવું ખુદ શાસ્ત્રીજીએ તેમને લખેલા પત્રમાં જણાવ્યું હતું!

એક પગે અપંગ એવા અભરામ ભગત પ્રસિદ્ધિના એક પછી એક વણસ્પર્શ્યા  શિખર સર કર્યે જતા હતા.દેશવિદેશમાંથી તેમને ભજન ગાવા માટે આમંત્રણ મળી રહ્યા હતા.  એ 1973ની સાલ હતી. ભગતને 'અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ', 'સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ' જેવી સંસ્થાઓ તેમજ 'ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી' ના શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. આખુંયે વર્ષ ચાલેલી આ યાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાયેલા તેમના કાર્યક્રમોમાં શ્રોતાઓએ  ભરચક હાજરી આપી. અમેરિકા ઉપરાંત તેમણે કેનેડા, યુકે તેમજ પૂર્વ આફ્રિકા અને યુરોપના અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો. મજાની વાત એ હતી કે અક્ષરજ્ઞાનની દ્રષ્ટિએ તદ્દન અભણ એવા ભગતની આ સઘળી વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એમના દુભાષીયા તરીકે માહિતી  ખાતાના અધિકારી શ્રી પી. એલ. સાધુની નિમણૂંક કરાઈ હતી! નસીબની બલિહારી જુઓ! માંડ એક ચોપડી સુધી શાળાએ જઈ શકેલા ભગતે પોતાના પુત્ર માહિરને, એક સમયે જ્યાં રાજવી પરિવારના સંતાનોને જ પ્રવેશ અપાતો એવી રાજકોટની પ્રખ્યાત 'રાજકુમાર કોલેજ' માં ભણવા મૂકેલો!

નાણાંની અવિરત રેલમછેલ વચ્ચે પણ સાદું, સંયમિત જીવન જીવતા અભરામ ભગતે આજના જ દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી, 1988ના રોજ  કોઈ જાતની બીમારી વિના જ શાંતિથી આ જગતમાંથી વિદાય લીધી. એ સમયે બધા જ અખબારોએ તેમના દેહાવસાનની નોંધ લીધી હતી. "તાનપૂરાનો એક તાર તૂટી ગયો!"- આવી અદભૂત ભાવાંજલિ અખબારો દ્વારા તેમને આપવામાં આવેલી!

અભરામ ભગત આજે સ્થૂળ દેહે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમણે આપણને વારસામાં આપેલો ભજન સરવાણીનો અણમોલ ખજાનો સદાયે તેમની યાદ જીવંત રાખશે. તેમણે ગાયેલું એક અતિ પ્રાચીન લોકગીત કુંતા અભિમન્યુને બાંધે રાખડી રે લોલ.....  અહીં   માણો.. 

ફેબ્રુઆરી 26, 2018

'શાયર-એ-આઝમ' એસ. એચ. બિહારી



મૈં શાયદ તુમ્હારે લિએ અજનબી હૂં મગર ચાંદ તારે મુઝે જાનતે હૈ.....

સાચે જ, હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં જેનો સમાવેશ 'ક્લાસિક'ની શ્રેણીમાં થાય છે, એવા ગીતો લખનારા ગીતકારોના નામ ઈતિહાસ બનીને સમયની કો' એવી ગર્તામાં સમાઈ જાય છે કે સાચે જ એ નામો આપણા માટે અજનબી સમા ભાસે છે. વિધિની વિચિત્રતા કહો કે સમયની બલિહારી... જેમના નામ આજે વિસરાઈ ગયા છે તેમની કલમે અવતરેલા  ગીતો, કાળની સીમાઓને પાર કરીને એ જ જૂના સુમધુર સ્વરુપમાં કે પછી ક્યારેક 'રિમિક્સ'ના વરવા જામા પહેરીને પણ સંગીત ચાહકોના કાને પડતા રહે છે. આવું જ એક સ્મૃતિશેષ થઈ ગયેલું નામ એટલે સ્વ. શમસુલ હુદા બિહારી.

પચાસ અને સાઠના દશકની ડઝનબંધ ફિલ્મોમાં એકએકથી ચડિયાતા સુપ રહીટ ગીત લખનારા એસ. એચ. બિહારીનો જન્મ ૧૯૨૨માં બિહારના આરા જિલ્લામાં થયો. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી બીએની ડીગ્રી મેળવનાર બિહારી, હિંદી અને ઉર્દૂ ઉપરાંત બંગાળી ભાષા પર પણ પ્રભુત્વ મેળવવા ઉપરાંત ફૂટબોલની રમતમાં પણ એટલા પારંગત હતા કે સુવિખ્યાત મોહન બગાનની ટીમમાં પણ તેમનો સમાવેશ થયેલો! કોલેજકાળ દરમિયાન લાગેલા  સાહિત્ય અને શાયરીના શોખે તેમને ૧૯૪૭માં મોહમયી મુંબઈ નગરીના દ્વારે પહોંચાડી દીધા.

કાવ્યતત્વની અચ્છી સૂઝ ધરાવતા અનિલ બિશ્વાસે જ્યારે તેમની એક ગઝલ સાંભળી તો એનાથી પ્રભાવિત થઈને લાડલી(૧૯૪૯) માટે બે ગીતો લખવાનું કામ અપાવ્યું.  પણ બે ચાર  છૂટીછવાયી ફિલ્મોમાં ગીત લખવા સિવાય કોઈ નોંધપાત્ર સફળતા હાથ ન લાગી. પારાવાર સંઘર્ષના એ દિવસોમાં અનિલ બિશ્વાસ ઉપરાંત જ્ઞાન દત્ત, સી. રામચંદ્ર અને શ્યામસુંદર જેવા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કરવાનો મોકો મળવા છતાંયે કેટલીયે વાર ભૂખ્યા પેટે પણ સૂવાનો વારો આવ્યો. ૧૯૫૩માં ભગવાન દાદાની ફિલ્મ 'રંગીલા'માં અગિયાર પૈકી નવ ગીતો લખવાનો મોકો બિહારીને મળ્યો. તેમ છતાં, સફળતા હજુ દૂર જ હતી. ૧૯૫૪માં આવેલી ફિલ્મ 'શર્ત'ના ગીત 'ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે, મગર હમ હમેશા તુમ્હારે રહેંગે...'એ બિહારીને એ સફળતાનો સ્વાદ ચખાડ્યો જેના માટે તેઓ ખરેખર લાયક હતા.

'શર્ત'ની સફળતા બાદ હેમંત કુમાર અને બિહારીની જોડીએ ત્રણ જ વર્ષના ટૂંકા ગાળામાં બાર ફિલ્મોમાં એંસી જેટલા ગીતો આપ્યા. એક બે અપવાદોને બાદ કરતાં બિહારીએ આ સમયગાળા દરમિયાન હેમંત કુમાર માટે જ ગીતો લખ્યાં. જો કે, પ્રથમ ફિલ્મ જેટલી સફળતા અન્ય કોઈ ફિલ્મ માટે આ જોડીને તો ન મળી, તેમ છતાં અનેક સફળ ગીતો આ જોડીએ આપ્યાં.  (૧૯૫૭માં આ જોડી તૂટ્યા બાદ છેક ૧૯૭૨માં બંનેએ ફરી એકવાર 'બીસ સાલ પેહલે' માં સાથે કામ કર્યું.)

હેમંત કુમાર બાદ બિહારીએ, એક સમયના તેમના સહાયક એવા રવિ સાથે જોડી જમાવી, અગિયાર ફિલ્મોમાં કુલ આડત્રીસ જેટલા ગીતો આપ્યાં. જેમાં એક તરફ 'ભલા કરને વાલે ભલાઈ કિયે જા' જેવું દાર્શનિક ગીત આપ્યું તો 'મુરલીરામ ઔર ભીંડીમલ કા નિકલ ગયા હૈ દીવાલા...'  સરીખું વ્યંગસભર ગીત પણ આપ્યું! જો કે, બિહારીની કારકિર્દીને વેગ મળ્યો સાઠના દશકમાં  ઓ. પી. નૈયર સાથે જોડાયા બાદ. આશા ભોંસલે- મોહમ્મદ રફી- ઓ. પી. નૈયર વત્તા  એસ. એચ. બિહારી એટલે ગીત-સંગીત જ નહીં, ફિલ્મની સફળતાની પણ ગેરંટી! એક મુસાફિર એક હસીના, યે રાત ફિર ન આયેગી, કિસ્મત, સાવન કી ઘટા, કશ્મીર કી કલી, પ્રાણ જાયે પર વચન ન જાયે, મુહબ્બત ઝીંદગી હૈ જેવી ફિલ્મોની સફળતા  આ વાતનો પુરાવો છે. નૈયર સાહેબ માટે બિહારીએ ચોવીસ ફિલ્મોમાં નેવ્યાસી જેટલાં ગીતો લખ્યાં.

નૈયર સાહેબે જેમને  'શાયર-એ-આઝમ'ના ખિતાબથી નવાજ્યા એ બિહારી,ફિલ્મીગીતોમાં  પ્રણયની અભિવ્યકતિની ઉત્કટતાને અપ્રતિમ ઊંચાઈએ લઈ ગયા. આ લખી રહી છું ત્યારે ફિલ્મ 'યે રાત ફિર ના આયેગી'નું ગીત, મેરા પ્યાર વો હૈ કે  મર કર ભી તુમકો...  કાનમાં ગૂંજી રહ્યું છે. ખુદા ભી અગર તુમસે આ કે મિલે તો, તુમ્હારી કસમ હૈ મેરા દિલ જલેગા...

વર્ષે ચૌદ ગીતની સરેરાશથી ટોપ ગિયરમાં દોડી રહેલી બિહારીની ગાડીને ૧૯૭૨માં જબ્બર બ્રેક લાગી ગઈ! આવનારા દસ વર્ષો માટે વર્ષે સરેરાશ પાંચથી યે ઓછા ગીત લખીને આ હોનહાર ગીતકાર ગુમનામીના અંધકારમાં ખોવાઈ જશે, એવી તો કોઈને કલ્પના ય ન હોય ને. પણ એંસીના દશકમાં બિહારીએ ફરી એકવાર પોતાના નામનો સિક્કો જમાવ્યો! ફિલ્મ   'પ્યાર ઝૂકતા નહીં' બનાવી રહેલા નિર્માતા કે. સી. બોકાડીયાએ ન કેવળ ગીતલેખન માટે, બલ્કે કથા-પટકથા-સંવાદલેખનની જવાબદારી પણ બિહારીને સોંપી. ૧૯૮૫માં રજૂ થયેલી આ ફિલ્મ ખૂબ જ સફળ રહી. લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂનો પર બિહારીએ લખેલાં મધુર ગીતો રાતોરાત લોકપ્રિય થઈ પડ્યાં. એ સમયે આનંદ બક્ષી જોડે જોડી જમાવીને કામ કરતા એલ પી માટે પણ બિહારીએ ત્રણેક વરસમાં સોળ જેટલી ફિલ્મો માટે ગીત લખ્યાં. જો કે, સફળતાના આ બીજા પડાવમાં, જિંદગીની સફર જ અણધારી સમાપ્ત થઈ જશે, એવી તો બિહારીને ખુદને પણ કલ્પના નહીં હોય. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૮૭ના  રોજ હાર્ટએટેકથી બિહારી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.

ફેબ્રુઆરી 13, 2018

મુકુંદરાય પારાશર્ય



"બાઈ મારા આંબાને સપનું આવ્યું 
કે મ્હોરમાં ફાલી પડયો રે લોલ!
બાઈ મારા આંબાને આભ પડયું નાનું
કે દોરમાં ઝૂકી ઢળ્યો રે લોલ!"


જો હું પૂછું કે ગૂગલ કર્યા વિના કહો કે ઉપરોકત પંકતિઓ કયા કવિની હોઈ શકે? તો મોટાભાગના મિત્રોના મનમાં રમેશ પારેખ, મનોજ ખંડેરિયા કે પછી અનિલ જોશીનું નામ આવે. પણ ના, આમાના કોઈ જ નહીં. તો? આ મસ્તમિજાજી પંકતિઓ જેમણે રચી છે એ કવિ એટલે, પોતાના વૈવિધ્યસભર સર્જન થકી આપણી ભાષાને રળિયાત કરનાર કવિશ્રી મુકુંદરાય પારાશર્ય. 

આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૩-૨-૧૯૧૪ના રોજ મોરબીમાં જન્મેલા કવિએ રાજકોટ નજીક કોટડાસાંગાણી ગામની સંસ્કૃત પાઠશાળામાં થોડું શિક્ષણ લીધું. ત્યારબાદ રાજકોટમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને પરિવાર સમેત સિહોર મુકામે વસ્યા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે બી.એ. કર્યું. 

તેમની સાહિત્ય સફરની શરૂઆત ૧૯૩૮માં થઈ. પ્રથમ કાવ્યસંગ્રહ 'અર્ચન' પછી ચોવીસ જેટલા પુસ્તકો પ્રગટ થયા. જેમાં કવિતા ઉપરાંત  નવલકથા, વિવેચનસંગ્રહ, વ્યક્તિચિત્ર, ભજનો, નિબંધો, ગીતો, પૌરાણિક કથાઓ જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. તેમણે લખેલી 'સત્યકથાઓ' ખૂબ જ લોકપ્રિય થઈ હતી. માનવીના ચારિત્ર્ય ઘડતરમાં પાયારૂપ બાબતોને ઉજાગર કરતી અને તે સમયના સમાજજીવન પર પ્રકાશ પાડતી આ કથાઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. 

બહુમુખી વ્યક્તિત્વના સ્વામી એવા કવિને એમની જન્મજયંતિ પર સ્મરણ પુષ્પો ભેટ ચડાવીએ.


ફેબ્રુઆરી 08, 2018

હોંઠો સે છૂ લો તુમ!



હોંઠો સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો...
બન જાઓ મિત મેરે, મેરી પ્રીત અમર કર દો....

૮ ફેબ્રુઆરી એટલે પ્રપોઝ ડે. ૭ થી ૧૪ ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીકની ઉજવણીમાં વ્યસ્ત રહેતા આજના યુવાન પ્રેમીજનો જાતજાતના તિકડમ કરીને પોતાના પ્રિયપાત્ર સુધી પોતાના મનની વાત પહોંચાડતા હશે, પણ ’૭૦નાં દશકમાં જન્મેલી પેઢીનાં કેટલાય લોકોનો અનુભવ હશે કે તેમણે પ્રિયપાત્ર સુધી પોતાના મનની લાગણી પહોંચતી કરવા ’૮૧માં રજૂ થયેલી ફિલ્મ ‘પ્રેમગીત’નું આ ગીત ગણગણ્યું જ હશે! મજાની વાત જુઓ! પ્રેમીઓ જેને પ્રપોઝ ડે તરીકે ઓળખાવે છે, એ જ દિવસે આ અવિસ્મરણીય પ્રેમગીતના ગાયકનો જન્મદિવસ! એ ગાયક એટલે કોણ એ કહેવાની જરૂર ખરી?

આમ તો માતાપિતાએ એનું નામ પાડેલું જગમોહન... ૮ ફેબ્રુઆરી, ૧૯૪૧મા રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં શીખ પિતા સરદાર અમર સિંહ ધમાની અને માતા બચન કૌરને ત્યાં ચાર બહેનો અને ત્રણ ભાઈઓ વાળા પરિવારમાં જન્મેલા જગમોહનને સૌ કોઈ જીત કહીને બોલાવે. પોતાની પરિણીત મોટીબહેનને મળવા ગયેલા જગમોહને, ત્યાં પધારેલા એક સંત સમક્ષ શ્લોકોનું પઠન કર્યું. એ સાંભળીને ભાવવિભોર થઇ ગયેલા સંતે સૂચવ્યું કે આ છોકરાનું નામ ‘જગજીત’ રાખો, કારણકે એનામાં ક્ષમતા છે, પોતાના અદ્વિતીય અવાજ વડે આખી દુનિયાને જીતવાની....

જગજીત સિંહને સંગીતનો વારસો પોતાના પિતા તરફથી મળ્યો. તદુપરાંત નાનપણમાં ગંગાનગરમાં પંડિત છગનલાલ શર્મા પાસેથી તેમણે બે વર્ષ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. ત્યારબાદ સેનિયા ઘરાણાના ઉસ્તાદ જમાલ ખાં પાસેથી તેમણે ખયાલ, ઠુમરી અને ધ્રુપદની બારીકીઓ શીખી, જેનો ભરપૂર ઉપયોગ તેમણે આગળ જતા ગઝલ ગાયકીના ક્ષેત્રે નવા નવા પ્રયોગો કરવામાં કર્યો. જો કે, સરકારી નોકરી કરતા પિતાની મહેચ્છા હતી કે એનો ગ્રેજ્યુએટ દીકરો પણ સરકારી નોકરીમાં જોડાઈને પોતાનું ભવિષ્ય ઉજળું કરે. પરંતુ દીકરાના દિલમાં તો સંગીતની દુનિયા સર કરવાના ખ્વાબ જાગી રહ્યા હતા. માર્ચ ૧૯૬૫માં ઘરે કોઈને પણ કહ્યા વિના એ દીકરાએ મુંબઈની વાટ પકડી.

 જગજીત સિંહના શરૂઆતના દિવસો ખાસ્સા સંઘર્ષમય રહ્યા. વિજ્ઞાપનોના જિંગલ્સ ગાઈને, લગ્ન તેમજ અન્ય માંગલિક સમારંભોમાં ગીત-ગઝલ ગાઈને તેમણે પોતાનું ગુજરાન ચલાવ્યું. જો કે, એક દાઢી મૂછ વાળા, પાઘડી પહેરેલા પંજાબી ગાયકને જલ્દીથી લોકો સ્વીકારી નહિ શકે એવું લાગતા તેમણે દુ:ખી મને આ બધા પ્રતિકોનો કાયમ માટે ત્યાગ કર્યો. જો કે, દાઢીમૂછ અને પાઘડી વિના અત્યંત સોહામણા લાગતા જગજીતને એ સમયે ફિલ્મોમાં  અભિનેતા બનવાની મહેચ્છા જાગી હતી. એવા સમયે અભિનેતા તરીકે એમને સૌથી પહેલો મોકો ગુજરાતી ફિલ્મ 'ધરતીના છોરું'માં મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતી સંગીતકાર અજીત મર્ચન્ટે એમની પ્રતિભા પારખી અને ફિલ્મ 'બહુરૂપી'માં પાર્શ્વગાયક તરીકે પહેલો મોકો આપ્યો હતો. ત્યારબાદ ધીરે ધીરે એમણે સંગીત અને ગઝલોની દુનિયામાં કાઠું કાઢ્યું. જો કે સંઘર્ષના આ દિવસોમાં જ ૧૯૬૭માં તેમના જીવનમાં વસંતનું આગમન થયું. અત્યંત ખૂબસૂરત એવા બંગાળી મહિલા ચિત્રા દત્તા કે જે પોતાના વિસંગત લગ્નજીવનથી ત્રસ્ત મનોદશામાં પોતાની ગઝલ ગાયક તરીકેની ઓળખ જાળવી રાખવાની કોશિશ કરતા હતા, એમણે જગજીત સિંહે લંબાવેલા હાથમાં પોતાનો હાથ સોંપ્યો અને ૧૯૬૯માં ભૂતપૂર્વ પતિથી અલગ થઈને જગજીત સિંહ જોડે વિવાહ કર્યા.

જો કે વિવાહ બાદ પણ આ સંગીતબેલડીનો સંઘર્ષ ચાલતો રહયો. એ સમયે ગઝલ ગાયકીના ક્ષેત્રે હજુ યે દરબારી પરંપરા યથાવત હતી. ધનિકો, જમીનદારો અને અરબી-ફારસીના મિશ્રણ યુક્ત શિષ્ટ ઉર્દૂનાં જાણકાર લોકો જ ગઝલનો લૂત્ફ ઉઠાવી શકતા. જગજીત સિંહે ગઝલને જનસામાન્ય સુધી પહોંચતી કરવા પ્રયત્ન કર્યો. ગાલીબ, સુદર્શન ફાકિર, બશીર બદ્ર, નિદા ફાઝલી, ગુલઝાર જેવા જાણીતા શાયરોની સરળ, સહજ શબ્દોમાં લખાયેલી પરંતુ અત્યંત સૂક્ષ્મ ચોટદાર રચનાઓ વીણી વીણીને તેમણે સૂરોમાં પરોવી અને પોતાની મખમલી અવાજના જાદૂઈ સ્પર્શે શ્રોતાઓના અંતરમનમાં અમીટ છાપ છોડી. મિત્રોને યાદ હશે, એંસીના દાયકામાં જયારે સામાન્ય માનવી માટે સંગીત થકી મનોરંજનની વ્યાખ્યા રેડિયો પર વાગતા ગીતો કે બહુમાં બહુ તો ક્યાંક ક્યાંક પ્રાપ્ય એવા દૂરદર્શન પર અઠવાડિયે બે વાર રજૂ થતા ચિત્રહાર જેવા કાર્યક્રમો સુધી સીમિત હતી, ત્યારે આ બેલડી પોતાની યુવાન અને તરોતાઝા ગાયકી, શ્રેષ્ઠ ગઝલો-નઝ્મોના ચયન અને મધુર સંગીત થકી ગઝલ ગાયકીના આકાશમાં દૈદીપ્યમાન સૂરજની જેમ ઝળહળી ઉઠી. જૂની ગાયન શૈલીમાં પ્રચલિત એવી સારંગીના સ્થાને જગજીત સિંહે વાયોલિનને અપનાવ્યું. તેમણે ગઝલમાં ગિટાર અને સંતૂર જેવા વાદ્યોને પણ સ્થાન આપ્યું. ગઝલ ક્ષેત્રે અપ્રતિમ સફળતા હાંસલ કર્યા બાદ જ્યારે તેમણે ફિલ્મોમાં પાર્શ્વગાયનની શરૂઆત કરી તો તેમની આ સફરનો આરંભ અવિસ્મરણીય એવા આ ગીતથી થયો. “હોઠોં સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો....”

ઓર એક વાત, એંસીના દશકમાં હિન્દી ફિલ્મોમાં જ્યારે નર્યો શોર કહેવાય એવું સંગીત પીરસાઈ રહ્યું હતું ત્યારે જગજીતે ‘સાથ સાથ’ અને ‘અર્થ’ જેવી ફિલ્મોમાં અત્યંત કર્ણપ્રિય સંગીત આપ્યું.  ચાહે પ્રાઇવેટ આલ્બમો હોય કે કોન્સર્ટ, કે પછી ફિલ્મ સંગીત, જગજીત સિંઘે હંમેશા પોતાના શ્રેષ્ઠ સંગીત અને સ્વર થકી ગાલીબ, આમિર મીનાઈ, સુદર્શન ફાકિર, બશીર બદ્ર, નિદા ફાઝલી, ગુલઝાર જેવા કેટલાયે નામી અનામી શાયરોની કલમને સાર્થકતા બક્ષી. શ્રોતાઓ ગીતના શબ્દો પર ધ્યાન આપતા થયા તેનું શ્રેય પણ જગજીતને આપી શકાય. એમણે ચૂંટેલી રચનાઓ પરથી આપણને સહજ રીતે ખ્યાલ આવે કે તેમને કવિતાની કેટલી ઊંડી સૂઝ છે. જે સમયે તૈયાર ધૂન પર ગીતના બોલ લખાતા હોય ત્યારે, ચુનંદા ગીતો અને ગઝલોને, તેમનું કાવ્યત્વ જીવંત રહે, એટલું જ નહીં, શ્રોતાઓના હૃદયને સ્પર્શે એ રીતે સંગીતબદ્ધ કરીને લોકો સુધી પહોંચતા કરવામાં જગજીતનો અમૂલ્ય ફાળો છે, એટલું જ નહીં, પોતાના મખમલી અવાજથી કેટલાય લોકોના હૃદયને તેમણે શાતા પહોંચાડી છે તો તેમના હળવાફૂલ ગીતોએ અગણિત લોકોને ખુશ કર્યા છે.

માનવ મનનો કોઈ એવો અહેસાસ નથી કે જેને જગજીતે પોતાની ગઝલોમાં ન ઊતાર્યો હોય! ને એમાયે વૈવિધ્ય કેટલું! સેમી ક્લાસિકલ ગઝલ ગાનારા જગજીત જ્યારે મસ્તીભર્યા અંદાઝમાં પંજાબી ગીતો ગાય ત્યારે આખો શ્રોતાગણ ઝૂમતો હોય! અને આ જ જગજીત ભાવવાહી અવાજમાં ‘સબ સે ઊંચી પ્રેમ સગાઇ....’ ગાય ત્યારે સાંભળનારના અંતરમન ઝંકૃત થયા વિના ન રહે.બેનમૂન ગાયકી અને વિભિન્ન ભાષાઓ પર અચ્છી પકડ ઉપરાંત પોતે જે કઈ ગાય એ સીધા સરળ શબ્દોમાં હોય કે જેથી સાંભળનારને આસાનીથી એ સમજાય- આ જગજીતનું ઓર એક જમા પાસું કહી શકાય. ગમે તેટલી ગહન રચના હોય પણ શ્રોતાઓને ન સમજાય તો શું કામની? આ વાત સારી પેઠે સમજતા જગજીત, સદા સરળ શબ્દોમાં કહેવાયેલા ઉત્તમ વિચારને અત્યંત સાદગીપૂર્ણ રીતે, ઓછામાં ઓછા વાદ્યોના ઉપયોગથી સંગીતમય રૂપ આપતા. એટલે જ આજે પણ લોકો ફરીફરીને, વારંવાર એમને સાંભળતા રહે છે.

જાન્યુઆરી 14, 2018

સંગીતકાર ચિત્રગુપ્ત


''ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...''

દૂર આકાશમાં શાનથી ઊડી રહેલી પતંગની દોર હાથમાં હોય અને એને જોતા જોતા દિલમાં અનેરો નશો છવાયે જતો હોય, એવા સમયે આપોઆપ જ ''ભાભી'' ફિલ્મનું આ સદાબહાર ગીત યાદ આવ્યા વિના નથી રહેતું. રફીસાહેબ અને લતાજીના યુગલ સ્વરમાં ગવાયેલા આ સદાબહાર ગીતના ગીતકાર હતા રાજેન્દ્ર ક્રિષ્ણજી અને  સંગીતકાર હતા ચિત્રગુપ્તજી. પતંગના વિષય પર રચાયેલા ફિલ્મી ગીતોમાંનું ઓર એક યાદગાર ગીત એટલે 'યે દુનિયા પતંગ, નિત બદલે રંગ, કોઈ જાને ના, ઉડાનેવાલા કૌન હૈ'. જીવનનું દર્શન પતંગના પ્રતિક વડે બખૂબી રજૂ કરતું ફિલ્મ 'પતંગ'નું આ ગીત પણ રફીસાહેબે ગાયું હતું. ગીતકાર-સંગીતકાર હતા  રાજેન્દ્ર ક્રિષ્ણ અને ચિત્રગુપ્તજી.

યોગાનુયોગે, આજે ચિત્રગુપ્તજીની પુણ્યતિથી છે.

50' થી 60'નો સમય, હિંદી ફિલ્મસંગીતનો સુવર્ણ યુગ મનાય છે. પણ દુ:ખની વાત છે કે આ જ સમયમાં સક્રિય હોવા છતાં અત્યંત પ્રતિભાવાન એવા ચિત્રગુપ્તજી,  કંઈક અંશે ઉપેક્ષિત જ રહ્યાં. આજે પણ, લોકજીવનની મીઠાશભર્યા સૂરીલા સંગીતથી મઢેલા તેમના અત્યંત કર્ણપ્રિય ગીતોની ફિલ્મોના નામ સાંભળીએ તો એવું પ્રતિત થયા વિના ન રહે કે આવા દિગ્ગજ સંગીતકારની પ્રતિભાને પૂરતો ન્યાય મળે તેવી ફિલ્મો તેમને મળી નથી. બહુ ઓછી અને મોટેભાગે ઓછા બજેટની હિંદી ફિલ્મોમાં સંગીત આપવાનો તેમને મોકો મળ્યો. આજે આમાંની મોટાભાગની ફિલ્મો, જૂની પેઢીના સંગીતચાહકોને યાદ હશે તો પણ માત્ર ચિત્રગુપ્તજીના સંગીતને કારણે જ.

16 નવેમ્બર, 1917ના દિવસે બિહારના ગોપાલગંજ જિલ્લાના કરમૈની ગામમાં  ચિત્રગુપ્ત શ્રીવાસ્તવનો જન્મ થયો. અર્થશાસ્ત્ર અને પત્રકારત્વ- એમ બે વિષયોમાં એમ. એ. ની ડીગ્રી ધરાવતા ચિત્રગુપ્તજી, પટના કોલેજમાં પ્રોફેસર હતા. સંગીત પરત્વેની રૂચિ તેમને 1946માં મુંબઈ ભણી ખેંચી લાવી. વિખ્યાત સંગીતકાર એસ. એન. ત્રિપાઠીના સહાયક તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. એ જ વર્ષે 'તુફાન ક્વિન' નામની ફિલ્મમાં તેમને સંગીત આપવાનો મોકો મળ્યો, પરંતુ ફિલ્મ અસફળ રહી અને ચિત્રગુપ્તજી પણ. છ વર્ષના લાંબા સંઘર્ષ બાદ, 1952માં તેમણે ફિલ્મ 'સિંદબાદ ધ સેલર'માં સંગીત આપ્યું. રફીસાહેબ અને શમશાદ બેગમના અવાજમાં ફિલ્મનું એક ગીત ખાસ્સું લોકપ્રિય થયું અને સંગીતકાર તરીકે ચિત્રગુપ્તજીને પણ ઓળખ મળી. તેમની સંગીત પ્રત્યેની ઊંડી સૂઝથી પ્રભાવિત થયેલા સચિનદાએ તેમને એવીએમ સ્ટુડિયોઝમાં કામ અપાવ્યું. એવીએમના નેજા હેઠળ તેમણે શિવ ભક્ત, ભાભી, બરખા, મૈ ચૂપ રહૂંગી, મૈ ભી લડકી હૂં જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું.

સારા સંગીતકાર હોવા ઉપરાંત ચિત્રગુપ્તજી સારા ગાયક અને ગીતકાર પણ હતા. હિંદી ફિલ્મોમાં ભલે તેઓને સીમિત ફિલ્મોમાં કામ મળ્યું પરંતુ ભોજપુરી ફિલ્મોમાં તેમની ગણના અગ્રણી સંગીતકાર તરીકે થતી હતી. અનેક ભોજપુરી ફિલ્મોમાં તેમણે ગ્રામ્ય સંસ્કૃતિને અનુરૂપ અત્યંત સૂરીલી ધૂનોની રચના કરી.

માત્ર લોકસંગીત જ નહીં, પરંતુ શાસ્ત્રીય સંગીતની પણ તેમને ઊંડી સૂઝ હતી. 'એક રાઝ' નામની ફિલ્મમાં કિશોરકુમારે તેમના સંગીત નિર્દેશનમાં ગાયેલું ગીત, 'પાયલ વાલી દેખના...' સાંભળીએ તો આ વાતની પ્રતીતિ થયા વિના ન રહે.

ભલે નાના બજેટની ફિલ્મો તેમણે કરી, પરંતુ સાહિર લુધિયાનવી, મજરૂહ સુલ્તાનપુરી, આનંદ બક્ષી, પ્રેમ ધવન, રાજેન્દ્ર ક્રિષ્ણ જેવા  એ સમયના નામાંકિત ગીતકારો સાથે કામ કરવાનો તેમને મોકો મળ્યો. ફિલ્મ 'ભાભી'નું અજરામર ગીત, 'ચલ ઊડ જા રે પંછી કે અબ યે દેશ હુઆ બેગાના' હોય કે પછી 'આકાશદીપ'નું 'મુઝે દર્દે દિલ કા પતા ન થા', રાગ માલકૌંસમાં ફિલ્મ 'બડા આદમી'  નું ગીત 'અખિયન સંગ અખિયન લગી', ફિલ્મ 'વાસના' માટે 'યે પરબતોં કે દાયરે' અને 'ઈતની નાજુક ના બનો' - આ બધા રફીસાહેબે ચિત્રગુપ્તજીના સંગીત નિર્દેશનમાં ગાયેલા ચાદગાર ગીતો છે.

1965માં આવેલી ફિલ્મ 'ઉંચે લોગ' અભિનેતા ફિરોઝ ખાનની અત્યંત સફળ ફિલ્મ સાબિત થયેલી. રફીસાહેબ અને ચિત્રગુપ્તજીની જોડીની ઓર એક કમાલ એટલે આ ફિલ્મનું ગીત, 'જાગ દિલે દિલ દીવાના રૂત જાગી'. સોલો ગીતો જ નહીં, રફીસાહેબે લતાજી જોડે 'મૈ ચૂપ રહૂંગી' માટે 'કોઈ બતા દે દિલ હૈ જહાં',  'કાલી ટોપી લાલ રૂમાલ' માટે 'લાગી છૂટે ના', 'ઝબક' માટે 'તેરી દુનિયા સે દૂર'  અને 'આધી રાત કે બાદ' માટે સુમન કલ્યાણપુર સાથે 'બહુત હસીન હૈ તુમ્હારી' જેવા અત્યંત સુમધુર  યુગલ ગીતો પણ ગાયાં છે.  તો ભોજપુરી ફિલ્મોમાં પણ ચિત્રગુપ્તજી અને રફીસાહેબની જોડીએ અનેક કર્ણપ્રિય ગીતો આપ્યાં છે.

પોતાની રચનાઓમાં લોકસંગીત, શાસ્ત્રીય સંગીતના સફળ ઉપયોગ ઉપરાંત તેમણે ફિલ્મ સંગીતમાં અવનવા પ્રયોગો કર્યા. 'દેખો મૌસમ ક્યા બહાર હૈ'(ઓપેરા હાઉસ) અને 'હમ મતવાલે નૌજવાં'(બરખા) જેવા ગીતો સાંભળીએ ત્યારે આ 'વર્સેટાઈલ' સંગીતકારની  પ્રતિભાની એક ઓર સંગીન બાજુનો ખ્યાલ આવે છે. (જો કે, સંગીતમાં વિવિધ પ્રયોગો પ્રત્યેના અભિગમને કારણે જ તેમને એસ. એન. ત્રિપાઠી જોડે મતભેદ થયેલા અને બંને અલગ થઈ ગયેલા!)

14 જાન્યુઆરી, 1991ના રોજ આ ફાની દુનિયા છોડી જનારા ચિત્રગુપ્તજી આજે ભલે આપણી વચ્ચે હયાત નથી પરંતુ ભાભી, એક રાઝ, મૈં ચૂપ રહૂંગી, ઉંચે લોગ, ઓપેરા હાઉસ, વાસના, ઝબક, ગંગા કી લહરેં, આકાશદીપ, પતંગ જેવી ફિલ્મોના તેમના સદાબહાર ગીતોનો જાદૂ આજે આટલા વર્ષો પછી પણ ચાહકોના દિલોદિમાગ પર યથાવત છે. એટલું જ નહીં, તેમના પુત્રો સંગીતકાર બેલડી આનંદ-મિલિન્દે પણ પિતાનો સંગીતમય વારસો યથાવત જાળવ્યો છે.

જાન્યુઆરી 11, 2018

ના ઉમ્ર કી સીમા હો...



પ્રેમ કઈ ઉંમરે થાય? હિન્દી ફિલ્મો જ જોતા હો તો એમ માનવા મજબૂર થઇ જાવ કે પ્રેમ તો ફક્ત વૃક્ષોની આસપાસ ગીતો ગાતા કોલેજીયન હીરો-હિરોઈન વચ્ચે જ થાય! પરંતુ હકીકત તો એ છે કે પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઇ શકે. બાળપણમાં પાંગરેલો પ્રેમ જીવનસાથી બનાવી દે એવા કિસ્સાઓ બન્યા જ છે તો ઢળતી ઉંમરે અમર્યાદ પ્રેમનો અનુભવ થવો એ પણ કઈ નવું નથી. હિન્દી ફિલ્મોમાં પણ સમયાંતરે આધેડ-યુવાન યુગલની પ્રેમકથાનું આલેખન થયું હોય એવા સુખદ અપવાદ જોવા મળી જાય છે. આવી જ ભૂમિકા ઉપર બનેલી એક સુંદર વિદેશી ફિલ્મ બ્રીઝી(Breezy) અનાયાસે જોવા મળી ગઈ અને એ આપની સાથે share કર્યા વગર રહી શકતી નથી.

ફિલ્મની વાર્તાના બે મુખ્ય પાત્રો છે, ફ્રેન્ક હર્મન (William Holden) અને એલીસ ‘બ્રીઝી’ બ્રીઝરમેન (Kay Lenz). વનપ્રવેશ કરી ચૂકેલો ફ્રેન્ક વર્ષો અગાઉ પોતાની પત્નીથી અલગ થઇ ચુકેલો એક ધનાઢય એસ્ટેટ એજન્ટ છે. વિશાળ મકાનમાં એકલા જ રહેતા ફ્રેન્કને એકલવાયું જીવન જીવવાની આદત થઇ ગઈ છે. એક સીધી જ રેખામાં એની જિંદગી ચાલી રહી છે. કામ અને કામથી કંટાળે તો આંગળીને વેઢે ગણાય એવા બે ચાર મિત્રો કે જેમની સાથે બારમાં બેસીને સાંજનો સમય વિતાવે છે. એકધારી જિંદગી, એકધારા મિત્રો અને એમની સાથેની એ જ એકધારી વાતો. પણ આ બધાથી ટેવાઈ ગયેલા ફ્રેન્કને માટે એવું  લાગે કે જો કદાચ તેના આ રૂટીનમાં કશો ફેરફાર થાય તો કદાચ એ ખુદ અસ્વસ્થ થઇ જાય! એટલી  હદે આ એકધારાપણું તેને વીંટળાઈ વળ્યું છે.

પણ પરિવર્તન એ તો સંસારનો નિયમ છે. એક દિવસ બ્રીઝી નામનું સત્તર-અઢાર વર્ષનું નવયુવાન વાવાઝોડું ફ્રેન્કની એકલવાયી જિંદગીમાં પ્રવેશી જાય છે. હિપ્પીઓ જોડે પોતાનું જીવન પસાર કરતી આ અનાથ યુવતી અને ફ્રેન્કની જીવન શૈલીમાં જ નહીં, જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં યે જમીન આસમાનનું અંતર છે. ફ્રેન્ક જાણે કે એક સ્થિર સરોવરનું બંધિયાર જળ છે તો બ્રીઝી એ જળરૂપી જીવનતત્વથી ભરપૂર બેય કાંઠે છલોછલ વહેતી ઉન્મુક્ત સરિતા... જેના માટે વર્તમાનમાં જીવવું એ જ જીવનમંત્ર છે. ન તો એનો એક અનાથ વ્યક્તિ તરીકેનો ભૂતકાળ એને પીડે છે કે ન તો ભવિષ્યની કોઈ ચિંતામાં એ આજની પળને માણવાનું ચૂકે છે. જીવન પ્રત્યે એક સ્વસ્થ અભિગમ ધરાવતી બ્રીઝીના વિચારોમાં પણ અત્યંત સરળતા છલકે છે. એ પોતાની મનમરજી મુજબ વર્તે છે. કોઈ કામ કરવાથી મળતો તત્કાલીન આનંદ જ એને મન મહત્વનો છે. કોઈ દૂરગામી લાભ માટે કોઈ કામ કરવાનું એના સ્વભાવમાં જ નથી. ન તો એના જીવનમાં કોઈ લક્ષ્ય છે, કે મારે આમ બનવું છે, આ  હાંસલ કરવું છે. આજે આ ક્ષણે જે એની પાસે છે, એ જ એના આનંદનું કારણ છે. આવી અલગારી, મનમોજીલી બ્રીઝી અત્યંત સંવેદનશીલ પણ છે. સડકના એક કિનારે કોઈ વાહનની હડફેટે આવી ગયેલા ઘાયલ કૂતરાને ડોક્ટર પાસે લઇ જઈને એનો ઈલાજ કરાવતી બ્રીઝીની સંવેદનશીલતા દર્શકોને સ્પર્શ્યા વિના રહેતી નથી.

આવી તદ્દન વિપરીત પ્રકૃતિના મનુષ્યો ફ્રેન્ક અને બ્રીઝી એકબીજાને મળે છે અને એવી પરિસ્થિતિઓ નિર્માણ પામે છે કે ફ્રેન્કની લાખ નામરજી છતાં બ્રીઝી એના ઘરમાં જ નહીં, એના જીવનમાં પણ પ્રવેશી જાય છે. બ્રીઝીનો સરળ, સાલસ સ્વભાવ, એની નિખાલસતા, એની બેફિકરાઈ, જીવન પ્રત્યેનો અભિગમ.... ટૂંકમાં બ્રીઝીનું સમગ્ર અસ્તિત્વ, ન ચાહવા છતાંયે ફ્રાન્ક્ના દિલોદિમાગ પર છવાઈ જાય છે. અવશપણે ફ્રેન્ક બ્રીઝીના મોકળા જીવનપ્રવાહમાં વહેવા લાગે છે. બ્રીઝીનું આકર્ષણ ખાળવાની દરેક કોશિશમાં નાકામિયાબ જતો ફ્રેન્ક અંતે બ્રીઝી સામે હથિયાર હેઠા મૂકી જ દે છે. અને ફ્રેન્કની પાનખર સમી જિંદગીમાં બ્રીઝી નામની વસંત પૂરબહારમાં ખીલી ઉઠે છે. ફ્રાન્ક્ના હૃદયની મરૂભૂમિ પર બ્રીઝીના પ્રેમરૂપી અમીછાંટણાં થાય છે અને એક મૂરઝાયેલી, વેરાન જિંદગીમાં ખુશીઓની અગણિત કૂંપળો ફૂટી નીકળે છે.

ખુશખુશાલ ફ્રેન્ક અને બ્રીઝી તેમના આ વિશિષ્ટ સંબંધને ભરપૂર માણે છે. કોઈને પણ ઈર્ષ્યા થાય એવી આનંદમય જિંદગી જીવવાનું તેઓ શરુ કરે છે. ઉમરના અસામાન્ય તફાવતને અતિક્રમીને, ફ્રેન્કની વેરાન જિંદગીને ગુલઝાર કરનારી બ્રીઝીમાં ફ્રેન્ક એ હદે ખોવાઈ જાય છે કે પોતાના જૂના મિત્રોને પણ વિસારી દે છે. પણ આ જ મિત્રો સાથેની પુનઃમુલાકાતમાં ફ્રેન્કને અહેસાસ થાય છે કે આ પ્રેમસંબંધ યોગ્ય નથી!! અને વધારે કશું વિચાર્યા વિના જ ફ્રેન્ક, બ્રીઝીથી સંબંધો તોડી નાખે છે. પણ બ્રીઝીથી અલગ થયા બાદ ખાલીપો અનુભવતો ફ્રેન્ક, પોતાની જિંદગીમાં બ્રીઝીનું મહત્વ સમજે છે અને બ્રીઝીને શોધવા નીકળી પડે છે. કોઈ સ્થાયી આવાસ ન ધરાવતી, હિપ્પીઓના ઝૂંડમાં ફરતી બ્રીઝીને છેવટે ફ્રેન્ક શોધી લે છે.

ફરી એક વાર પોતાની જિંદગીમાં શામેલ થવા માટે હાથ લંબાવતા ફ્રેન્કના પોતાના પ્રત્યેના ખરાબ વર્તનને વિસરી જઈને ખુશખુશાલ બ્રીઝી ફરી એક વાર ફ્રેન્ક સાથે ચાલી નીકળે છે. ત્યારે પોતાના અકડુ સ્વભાવવશ ફ્રેન્ક બોલી ઉઠે છે...

“કદાચ આપણો સાથ એક વરસથી વધારે ન ટકે....”

ત્યારે ખોવાયેલો પ્રિયતમ પાછો મળ્યાની ખુશીમાં અત્યંત ખુશખુશાલ જણાતી બ્રીઝી ના શબ્દો અપ્રતિમ છે.

“એક વર્ષ.... જરા વિચારો તો ખરા... એક આખું વર્ષ.... !!”

અને કદાચ એટલે જ દિગ્દર્શક અહી ફિલ્મનો અંત આણે છે!

https://www.youtube.com/watch?v=F_5c4KFsKIE

જાન્યુઆરી 04, 2018

લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર!



સરળ સહજ શબ્દોમાં, ભાષાનું આભિજાત્ય જળવાય તે રીતે લખાયા હોય તેવા, ગહન સાહિત્યિક મૂલ્ય ધરાવતા હ્રદયસ્પર્શી ગીતો આજે બહુ જૂજ પ્રમાણમાં સાંભળવા મળે છે. કદાચ એટલેજ આજે પણ આપણને ચાળીસ, પચાસ, સાઠના દશકના એ અર્થસભર, મીઠા મધુર ગીતો સાંભળવા ગમે છે.

આજે આ વાત યાદ આવવાનું કારણ એ જ કે, કવિશ્રી ગોપાલદાસ સક્સેના 'નીરજ' પોતાની ઉમરના ચોરાણુંમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. શિક્ષણ અને સાહિત્ય એમ બંને ક્ષેત્રે અનુક્રમે પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા દેશના સર્વોચ્ચ સન્માનથી જેમને નવાજવામાં આવ્યા છે એવા કવિશ્રી 'નીરજ'ની ઓળખાણ આપવી એ સૂરજને આયનો બતાવવા જેવું કામ છે.

4 જાન્યુઆરી, 1925ના રોજ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના એક નાનકડા ગામ પુરાવલીમાં, સાધારણ સ્થિતિ ધરાવતા કુટુંબમાં જન્મેલા 'નીરજ', માત્ર છ વર્ષની વયે જ પિતાને ગુમાવી બેઠેલા. અત્યંત સંઘર્ષમય સંજોગોમાંયે હાઈસ્કૂલની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને, પરિવારના ગુજરાન માટે કામે લાગી જનારા 'નીરજે' લાંબો સમય સામાન્ય ટાઈપીસ્ટની નોકરી કરતા કરતા પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને હિંદી સાહિત્યના વિષય સાથે એમ. એ. ની ડીગ્રી મેળવી.

નાનપણથી જ કાવ્યસર્જનમાં રૂચિ ધરાવતા 'નીરજ', અલીગઢની કોલેજમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા થયા તે પહેલાથી જ કવિસંમેલનો ગજાવતા થઈ ગયેલા. મુંબઈમાં તેમના એક સન્માન સમારંભ દરમિયાન જ તેમની રચનાઓ સાંભળીને આફરીન થઈ ગયેલા દિગ્દર્શક આર. ચંદ્રાએ તેમને પોતાની આગામી ફિલ્મ 'નયી ઉમર કી નયી ફસલ'ના ગીતો લખવા માટે આમંત્રણ આપ્યું! 'નીરજ'એ તેનો સ્વીકાર કરતા, તેમની કેટલીક પ્રારંભિક કાવ્યકૃતિઓનો આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો. ફિલ્મ તો ન ચાલી પણ 'નીરજ'ના લખેલા બધા જ ગીત 'હીટ' રહ્યાં. એમાંયે રફીસાહેબે ગાયેલું ગીત 'કારવાં ગુજર ગયા, ગુબાર દેખતે રહે' અત્યંત સફળ રહ્યું. રાતોરાત 'નીરજ' એક સફળ ગીતકાર તરીકે હિંદી ફિલ્મ જગતમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યા!

આમ તો 'નીરજ'ની ફિલ્મી ગીત લેખનની કારકિર્દી બહુ જ ટૂંકી રહી. પરંતુ મજાની વાત એ કે 1967 થી 1972 એટલે કે માત્ર પાંચ જ વર્ષની કારકિર્દીમાં નીરજે લખેલા મોટાભાગના ફિલ્મી ગીતો સફળ રહ્યાં. સળંગ ત્રણ વર્ષ માટે એટલેકે 1970, 1971અને 1972 માટે 'નીરજ'ને સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકેના ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જ્યાં એક તરફ, રાજ કપૂર અને દેવ આનંદ જેવા કસબીઓએ 'નીરજ'ની પ્રતિભા પારખીને તેમની નવતર પ્રયોગશીલ, ઊંચુ સાહિત્યિક મૂલ્ય ધરાવતી રચનાઓને અદ્ભૂત રીતે કચકડે કંડારી. તો બીજી તરફ ખ્યાતનામ ગાયકોએ પોતાના સ્વર થકી તો એસ. ડી. બર્મન, શંકર જયકિશન, રોશન જેવા સંગીતકારોએ પોતાના સંગીત થકી 'નીરજ'ની પ્રતિભા દેશ-વિદેશમાં વિસ્તારી.

પાંચ વર્ષની અલ્પ કારકિર્દીમાં એકસો ત્રીસ જેટલા ગીતો 'નીરજે' લખ્યાં. તેમાંના લગભગ બધાં જ ગીત સફળતા અને પ્રસિદ્ધીને વર્યા. બાલિશ અને છીછરા શબ્દોને બદલે ગહન વિચારો તેમજ ભાવ અને ઊર્મિની અત્યંત સરળ અને સાહિત્યિક અભિવ્યક્તિ એ 'નીરજ'ની કલમનું સશક્ત જમાપાસું હતું. ફિલ્મી ગીત લેખનની બધી જ વિદ્યામાં પારંગત એવા નીરજની પ્રયોગશીલતાનો આ એક નમૂનો જુઓ:

'ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે, તુઝ કો લિખી રોજ પાતી...
કૈસે બતાઉં કિસ તરહ સે પલ પલ મુઝે તુ સતાતી
તેરે હી સપને લેકર મેં સોયા, તેરી હી યાદોં મેં જાગા
તેરે ખયાલોં મેં ખોયા રહા મેં જૈસે કી માલા મૈં ધાગા
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર!
ઈતના મદિર ઈતના મધુર તેરા મેરા પ્યાર'

ઈતના મદિર, ઈતના મધુર તેરા મેરા પ્યાર, લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર... ગીતનું આ મુખડું છે, જે પાછળથી ગાવામાં આવ્યું છે, તેમ છતાં ગીતમાં જરા પણ રસક્ષતિ થતી નથી.

પહેચાન, પ્રેમ પુજારી, ગાઈડ, તેરે મેરે સપનેં, શર્મિલી, મેરા નામ જોકર, ગેમ્બલર જેવી મોટા બેનરની ફિલ્મોની સાથેસાથે ચા ચા ચા જેવી સાવ ઓછી જાણીતી ફિલ્મોમાં પણ નીરજે લખેલા મેઘધનુષી ગીતોના રંગો આજે પણ એટલા જ ચમકદાર જણાય છે. નીરજના લખેલા કેટલાક ગીતોની યાદી પર નજર ફેરવીએ તો, શોખિયોંમેં ઘોલા જાયે ફૂલોંકા શબાબ, લિખે જો ખત તુઝે, જૈસે રાધાને માલા જપી શામ કી, બસ યહી અપરાધ મેં હર બાર કરતા હૂં, ધીરે સે જાના ખટિયન મેં, મેઘા છાયે આધી રાત, દિલ આજ શાયર હૈ, જીવન કી બગિયા મહેકેગી, મેને કસમ લી, ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે, રંગીલા રે તેરે રંગ મેં, સુબહ ન આયી શામ ન આયી, વો હમ ન થે વો તુમ ન થે.... એકએકથી ચડે એવા આ સુમધુર ગીતો આજે પણ સંગીતચાહકોના હ્રદયમાં અનેરા સ્પંદનો જગાવી દે છે. પણ આ બધા યે ગીતોમાં શિરમોર સમાન ગીત છે, 'એ ભાઈ જરા દેખ કે ચલો!'

રાજ કપૂર જ્યારે પોતાની જિંદગીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે ફિલ્મ 'મેરા નામ જોકર' ના ગીત-સંગીત વિશે નીરજ સાથે ચર્ચા કરી રહ્યાં હતા, ત્યારે નીરજે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા રાજ કપૂરને જણાવ્યું કે, સરકસના જોકરના મુખે, સરકસના મંચ પર જો કોઈ ગીત મૂકવાનું હોય તો એ કંઈક અલગ જ પ્રકારનું હોઈ શકે. રાજ કપૂર જેવા અભિનેતા જ્યારે જોકરનું પાત્ર ભજવી રહ્યાં હોય તો એમાં મામૂલી ઠઠ્ઠા મશ્કરી કે હસી મજાકની વાત ન ચાલે. નીરજે પોતાની કલ્પનાશીલતાનો એક ઓર ઉત્કૃષ્ટ પરિચય આપતું ગીત લખ્યું: એ ભાઈ જરા દેખ કે ચલો... આગે હી નહીં પીછે ભી... દાયેં હી નહીં બાંયે ભી... ઉપર હી નહીં નીચે ભી...

નીરજ જ્યારે રાજ કપૂર તેમજ સંગીતકાર બેલડી શંકર જયકિશનને આ ગીત બતાવવા ગયા ત્યારે શંકર જયકિશનને લાગ્યું કે આ તે કેવા શબ્દો?! આને બંદિશમાં કેમ ઢાળવા? ત્યારે નીરજે પોતે જાતે આ ગીતની ધૂન બનાવી અને સંગીતકારો સમક્ષ ગાઈ સંભળાવી. કમનસીબે એ સમયે 'મેરા નામ જોકર'ને લોકોએ સ્વીકારી નહીં, પરંતુ 'ફ્રીવર્સ લિબરે' જેવી એકદમ નિરાળી શૈલીમાં લખાયેલું આ ગીત લોકજીભે ચડીને અત્યંત લોકપ્રિય બન્યું. ગીતના શબ્દો, ધૂન અને ખાસ તો, સરકસના માધ્યમથી જીવન દર્શન રજૂ કરવાનો વિચાર- બધું જ હટ કે કહી શકાય એવું. નીરજના શબ્દોની જાદૂગરી તો જુઓ:

ગિરને સે ડરતા હૈ ક્યૂં,
મરને સે ડરતા હૈ ક્યૂં,
ઠોકર તુ જબ તક ન ખાયેગા, પાસ કિસી ગમ કો ના જબ તક બુલાયેગા,
જિંદગી હૈ ચીજ ક્યા નહીં જાન પાયેગા,
રોતા હુઆ આયા હૈ રોતા હુઆ જાયેગા...

સરળ શબ્દોમાં જીવનની કઠિન પરિસ્થિતિઓનો સહજ સ્વીકાર કરવાની શીખ આપે એવા આ ગીત માટે નીરજને સો સો સલામ!