ફેબ્રુઆરી 13, 2018

મુકુંદરાય પારાશર્ય



"બાઈ મારા આંબાને સપનું આવ્યું 
કે મ્હોરમાં ફાલી પડયો રે લોલ!
બાઈ મારા આંબાને આભ પડયું નાનું
કે દોરમાં ઝૂકી ઢળ્યો રે લોલ!"


જો હું પૂછું કે ગૂગલ કર્યા વિના કહો કે ઉપરોકત પંકતિઓ કયા કવિની હોઈ શકે? તો મોટાભાગના મિત્રોના મનમાં રમેશ પારેખ, મનોજ ખંડેરિયા કે પછી અનિલ જોશીનું નામ આવે. પણ ના, આમાના કોઈ જ નહીં. તો? આ મસ્તમિજાજી પંકતિઓ જેમણે રચી છે એ કવિ એટલે, પોતાના વૈવિધ્યસભર સર્જન થકી આપણી ભાષાને રળિયાત કરનાર કવિશ્રી મુકુંદરાય પારાશર્ય. 

આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૩-૨-૧૯૧૪ના રોજ મોરબીમાં જન્મેલા કવિએ રાજકોટ નજીક કોટડાસાંગાણી ગામની સંસ્કૃત પાઠશાળામાં થોડું શિક્ષણ લીધું. ત્યારબાદ રાજકોટમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને પરિવાર સમેત સિહોર મુકામે વસ્યા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે બી.એ. કર્યું. 

તેમની સાહિત્ય સફરની શરૂઆત ૧૯૩૮માં થઈ. પ્રથમ કાવ્યસંગ્રહ 'અર્ચન' પછી ચોવીસ જેટલા પુસ્તકો પ્રગટ થયા. જેમાં કવિતા ઉપરાંત  નવલકથા, વિવેચનસંગ્રહ, વ્યક્તિચિત્ર, ભજનો, નિબંધો, ગીતો, પૌરાણિક કથાઓ જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. તેમણે લખેલી 'સત્યકથાઓ' ખૂબ જ લોકપ્રિય થઈ હતી. માનવીના ચારિત્ર્ય ઘડતરમાં પાયારૂપ બાબતોને ઉજાગર કરતી અને તે સમયના સમાજજીવન પર પ્રકાશ પાડતી આ કથાઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. 

બહુમુખી વ્યક્તિત્વના સ્વામી એવા કવિને એમની જન્મજયંતિ પર સ્મરણ પુષ્પો ભેટ ચડાવીએ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો