ફેબ્રુઆરી 08, 2018

હોંઠો સે છૂ લો તુમ!



હોંઠો સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો...
બન જાઓ મિત મેરે, મેરી પ્રીત અમર કર દો....

૮ ફેબ્રુઆરી એટલે પ્રપોઝ ડે. ૭ થી ૧૪ ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીકની ઉજવણીમાં વ્યસ્ત રહેતા આજના યુવાન પ્રેમીજનો જાતજાતના તિકડમ કરીને પોતાના પ્રિયપાત્ર સુધી પોતાના મનની વાત પહોંચાડતા હશે, પણ ’૭૦નાં દશકમાં જન્મેલી પેઢીનાં કેટલાય લોકોનો અનુભવ હશે કે તેમણે પ્રિયપાત્ર સુધી પોતાના મનની લાગણી પહોંચતી કરવા ’૮૧માં રજૂ થયેલી ફિલ્મ ‘પ્રેમગીત’નું આ ગીત ગણગણ્યું જ હશે! મજાની વાત જુઓ! પ્રેમીઓ જેને પ્રપોઝ ડે તરીકે ઓળખાવે છે, એ જ દિવસે આ અવિસ્મરણીય પ્રેમગીતના ગાયકનો જન્મદિવસ! એ ગાયક એટલે કોણ એ કહેવાની જરૂર ખરી?

આમ તો માતાપિતાએ એનું નામ પાડેલું જગમોહન... ૮ ફેબ્રુઆરી, ૧૯૪૧મા રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં શીખ પિતા સરદાર અમર સિંહ ધમાની અને માતા બચન કૌરને ત્યાં ચાર બહેનો અને ત્રણ ભાઈઓ વાળા પરિવારમાં જન્મેલા જગમોહનને સૌ કોઈ જીત કહીને બોલાવે. પોતાની પરિણીત મોટીબહેનને મળવા ગયેલા જગમોહને, ત્યાં પધારેલા એક સંત સમક્ષ શ્લોકોનું પઠન કર્યું. એ સાંભળીને ભાવવિભોર થઇ ગયેલા સંતે સૂચવ્યું કે આ છોકરાનું નામ ‘જગજીત’ રાખો, કારણકે એનામાં ક્ષમતા છે, પોતાના અદ્વિતીય અવાજ વડે આખી દુનિયાને જીતવાની....

જગજીત સિંહને સંગીતનો વારસો પોતાના પિતા તરફથી મળ્યો. તદુપરાંત નાનપણમાં ગંગાનગરમાં પંડિત છગનલાલ શર્મા પાસેથી તેમણે બે વર્ષ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. ત્યારબાદ સેનિયા ઘરાણાના ઉસ્તાદ જમાલ ખાં પાસેથી તેમણે ખયાલ, ઠુમરી અને ધ્રુપદની બારીકીઓ શીખી, જેનો ભરપૂર ઉપયોગ તેમણે આગળ જતા ગઝલ ગાયકીના ક્ષેત્રે નવા નવા પ્રયોગો કરવામાં કર્યો. જો કે, સરકારી નોકરી કરતા પિતાની મહેચ્છા હતી કે એનો ગ્રેજ્યુએટ દીકરો પણ સરકારી નોકરીમાં જોડાઈને પોતાનું ભવિષ્ય ઉજળું કરે. પરંતુ દીકરાના દિલમાં તો સંગીતની દુનિયા સર કરવાના ખ્વાબ જાગી રહ્યા હતા. માર્ચ ૧૯૬૫માં ઘરે કોઈને પણ કહ્યા વિના એ દીકરાએ મુંબઈની વાટ પકડી.

 જગજીત સિંહના શરૂઆતના દિવસો ખાસ્સા સંઘર્ષમય રહ્યા. વિજ્ઞાપનોના જિંગલ્સ ગાઈને, લગ્ન તેમજ અન્ય માંગલિક સમારંભોમાં ગીત-ગઝલ ગાઈને તેમણે પોતાનું ગુજરાન ચલાવ્યું. જો કે, એક દાઢી મૂછ વાળા, પાઘડી પહેરેલા પંજાબી ગાયકને જલ્દીથી લોકો સ્વીકારી નહિ શકે એવું લાગતા તેમણે દુ:ખી મને આ બધા પ્રતિકોનો કાયમ માટે ત્યાગ કર્યો. જો કે, દાઢીમૂછ અને પાઘડી વિના અત્યંત સોહામણા લાગતા જગજીતને એ સમયે ફિલ્મોમાં  અભિનેતા બનવાની મહેચ્છા જાગી હતી. એવા સમયે અભિનેતા તરીકે એમને સૌથી પહેલો મોકો ગુજરાતી ફિલ્મ 'ધરતીના છોરું'માં મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતી સંગીતકાર અજીત મર્ચન્ટે એમની પ્રતિભા પારખી અને ફિલ્મ 'બહુરૂપી'માં પાર્શ્વગાયક તરીકે પહેલો મોકો આપ્યો હતો. ત્યારબાદ ધીરે ધીરે એમણે સંગીત અને ગઝલોની દુનિયામાં કાઠું કાઢ્યું. જો કે સંઘર્ષના આ દિવસોમાં જ ૧૯૬૭માં તેમના જીવનમાં વસંતનું આગમન થયું. અત્યંત ખૂબસૂરત એવા બંગાળી મહિલા ચિત્રા દત્તા કે જે પોતાના વિસંગત લગ્નજીવનથી ત્રસ્ત મનોદશામાં પોતાની ગઝલ ગાયક તરીકેની ઓળખ જાળવી રાખવાની કોશિશ કરતા હતા, એમણે જગજીત સિંહે લંબાવેલા હાથમાં પોતાનો હાથ સોંપ્યો અને ૧૯૬૯માં ભૂતપૂર્વ પતિથી અલગ થઈને જગજીત સિંહ જોડે વિવાહ કર્યા.

જો કે વિવાહ બાદ પણ આ સંગીતબેલડીનો સંઘર્ષ ચાલતો રહયો. એ સમયે ગઝલ ગાયકીના ક્ષેત્રે હજુ યે દરબારી પરંપરા યથાવત હતી. ધનિકો, જમીનદારો અને અરબી-ફારસીના મિશ્રણ યુક્ત શિષ્ટ ઉર્દૂનાં જાણકાર લોકો જ ગઝલનો લૂત્ફ ઉઠાવી શકતા. જગજીત સિંહે ગઝલને જનસામાન્ય સુધી પહોંચતી કરવા પ્રયત્ન કર્યો. ગાલીબ, સુદર્શન ફાકિર, બશીર બદ્ર, નિદા ફાઝલી, ગુલઝાર જેવા જાણીતા શાયરોની સરળ, સહજ શબ્દોમાં લખાયેલી પરંતુ અત્યંત સૂક્ષ્મ ચોટદાર રચનાઓ વીણી વીણીને તેમણે સૂરોમાં પરોવી અને પોતાની મખમલી અવાજના જાદૂઈ સ્પર્શે શ્રોતાઓના અંતરમનમાં અમીટ છાપ છોડી. મિત્રોને યાદ હશે, એંસીના દાયકામાં જયારે સામાન્ય માનવી માટે સંગીત થકી મનોરંજનની વ્યાખ્યા રેડિયો પર વાગતા ગીતો કે બહુમાં બહુ તો ક્યાંક ક્યાંક પ્રાપ્ય એવા દૂરદર્શન પર અઠવાડિયે બે વાર રજૂ થતા ચિત્રહાર જેવા કાર્યક્રમો સુધી સીમિત હતી, ત્યારે આ બેલડી પોતાની યુવાન અને તરોતાઝા ગાયકી, શ્રેષ્ઠ ગઝલો-નઝ્મોના ચયન અને મધુર સંગીત થકી ગઝલ ગાયકીના આકાશમાં દૈદીપ્યમાન સૂરજની જેમ ઝળહળી ઉઠી. જૂની ગાયન શૈલીમાં પ્રચલિત એવી સારંગીના સ્થાને જગજીત સિંહે વાયોલિનને અપનાવ્યું. તેમણે ગઝલમાં ગિટાર અને સંતૂર જેવા વાદ્યોને પણ સ્થાન આપ્યું. ગઝલ ક્ષેત્રે અપ્રતિમ સફળતા હાંસલ કર્યા બાદ જ્યારે તેમણે ફિલ્મોમાં પાર્શ્વગાયનની શરૂઆત કરી તો તેમની આ સફરનો આરંભ અવિસ્મરણીય એવા આ ગીતથી થયો. “હોઠોં સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો....”

ઓર એક વાત, એંસીના દશકમાં હિન્દી ફિલ્મોમાં જ્યારે નર્યો શોર કહેવાય એવું સંગીત પીરસાઈ રહ્યું હતું ત્યારે જગજીતે ‘સાથ સાથ’ અને ‘અર્થ’ જેવી ફિલ્મોમાં અત્યંત કર્ણપ્રિય સંગીત આપ્યું.  ચાહે પ્રાઇવેટ આલ્બમો હોય કે કોન્સર્ટ, કે પછી ફિલ્મ સંગીત, જગજીત સિંઘે હંમેશા પોતાના શ્રેષ્ઠ સંગીત અને સ્વર થકી ગાલીબ, આમિર મીનાઈ, સુદર્શન ફાકિર, બશીર બદ્ર, નિદા ફાઝલી, ગુલઝાર જેવા કેટલાયે નામી અનામી શાયરોની કલમને સાર્થકતા બક્ષી. શ્રોતાઓ ગીતના શબ્દો પર ધ્યાન આપતા થયા તેનું શ્રેય પણ જગજીતને આપી શકાય. એમણે ચૂંટેલી રચનાઓ પરથી આપણને સહજ રીતે ખ્યાલ આવે કે તેમને કવિતાની કેટલી ઊંડી સૂઝ છે. જે સમયે તૈયાર ધૂન પર ગીતના બોલ લખાતા હોય ત્યારે, ચુનંદા ગીતો અને ગઝલોને, તેમનું કાવ્યત્વ જીવંત રહે, એટલું જ નહીં, શ્રોતાઓના હૃદયને સ્પર્શે એ રીતે સંગીતબદ્ધ કરીને લોકો સુધી પહોંચતા કરવામાં જગજીતનો અમૂલ્ય ફાળો છે, એટલું જ નહીં, પોતાના મખમલી અવાજથી કેટલાય લોકોના હૃદયને તેમણે શાતા પહોંચાડી છે તો તેમના હળવાફૂલ ગીતોએ અગણિત લોકોને ખુશ કર્યા છે.

માનવ મનનો કોઈ એવો અહેસાસ નથી કે જેને જગજીતે પોતાની ગઝલોમાં ન ઊતાર્યો હોય! ને એમાયે વૈવિધ્ય કેટલું! સેમી ક્લાસિકલ ગઝલ ગાનારા જગજીત જ્યારે મસ્તીભર્યા અંદાઝમાં પંજાબી ગીતો ગાય ત્યારે આખો શ્રોતાગણ ઝૂમતો હોય! અને આ જ જગજીત ભાવવાહી અવાજમાં ‘સબ સે ઊંચી પ્રેમ સગાઇ....’ ગાય ત્યારે સાંભળનારના અંતરમન ઝંકૃત થયા વિના ન રહે.બેનમૂન ગાયકી અને વિભિન્ન ભાષાઓ પર અચ્છી પકડ ઉપરાંત પોતે જે કઈ ગાય એ સીધા સરળ શબ્દોમાં હોય કે જેથી સાંભળનારને આસાનીથી એ સમજાય- આ જગજીતનું ઓર એક જમા પાસું કહી શકાય. ગમે તેટલી ગહન રચના હોય પણ શ્રોતાઓને ન સમજાય તો શું કામની? આ વાત સારી પેઠે સમજતા જગજીત, સદા સરળ શબ્દોમાં કહેવાયેલા ઉત્તમ વિચારને અત્યંત સાદગીપૂર્ણ રીતે, ઓછામાં ઓછા વાદ્યોના ઉપયોગથી સંગીતમય રૂપ આપતા. એટલે જ આજે પણ લોકો ફરીફરીને, વારંવાર એમને સાંભળતા રહે છે.

7 ટિપ્પણીઓ:

  1. જનાબ જગજીતસિંહજી ના ચાહક તરીકે તેઓ વિષે વિસ્તુત માહિતી જાણી આનંદ થયો.મને તેઓની ગઝલ પસંદગી જોતાં હંમેશા અદભૂત ફિલોસોફર લાગ્યા છે.એમની સંઘર્ષ વિષે વાત કરતા એક એક ઇન્ટરવ્યૂ માં ,'અપના ગમ લેકૈ કહીં....'ની વાત કરેલ અને પોતાની જીવન સમજવાની વાત કરેલ તે ઇન્ટરવ્યુ ની યાદ આવી ગઈ.આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  2. જનાબ જગજીતસિંહજી ના ચાહક તરીકે તેઓ વિષે વિસ્તુત માહિતી જાણી આનંદ થયો.મને તેઓની ગઝલ પસંદગી જોતાં હંમેશા અદભૂત ફિલોસોફર લાગ્યા છે.એમની સંઘર્ષ વિષે વાત કરતા એક એક ઇન્ટરવ્યૂ માં ,'અપના ગમ લેકૈ કહીં....'ની વાત કરેલ અને પોતાની જીવન સમજવાની વાત કરેલ તે ઇન્ટરવ્યુ ની યાદ આવી ગઈ.આભાર.

    જવાબ આપોકાઢી નાખો