જાન્યુઆરી 14, 2018

સંગીતકાર ચિત્રગુપ્ત


''ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...''

દૂર આકાશમાં શાનથી ઊડી રહેલી પતંગની દોર હાથમાં હોય અને એને જોતા જોતા દિલમાં અનેરો નશો છવાયે જતો હોય, એવા સમયે આપોઆપ જ ''ભાભી'' ફિલ્મનું આ સદાબહાર ગીત યાદ આવ્યા વિના નથી રહેતું. રફીસાહેબ અને લતાજીના યુગલ સ્વરમાં ગવાયેલા આ સદાબહાર ગીતના ગીતકાર હતા રાજેન્દ્ર ક્રિષ્ણજી અને  સંગીતકાર હતા ચિત્રગુપ્તજી. પતંગના વિષય પર રચાયેલા ફિલ્મી ગીતોમાંનું ઓર એક યાદગાર ગીત એટલે 'યે દુનિયા પતંગ, નિત બદલે રંગ, કોઈ જાને ના, ઉડાનેવાલા કૌન હૈ'. જીવનનું દર્શન પતંગના પ્રતિક વડે બખૂબી રજૂ કરતું ફિલ્મ 'પતંગ'નું આ ગીત પણ રફીસાહેબે ગાયું હતું. ગીતકાર-સંગીતકાર હતા  રાજેન્દ્ર ક્રિષ્ણ અને ચિત્રગુપ્તજી.

યોગાનુયોગે, આજે ચિત્રગુપ્તજીની પુણ્યતિથી છે.

50' થી 60'નો સમય, હિંદી ફિલ્મસંગીતનો સુવર્ણ યુગ મનાય છે. પણ દુ:ખની વાત છે કે આ જ સમયમાં સક્રિય હોવા છતાં અત્યંત પ્રતિભાવાન એવા ચિત્રગુપ્તજી,  કંઈક અંશે ઉપેક્ષિત જ રહ્યાં. આજે પણ, લોકજીવનની મીઠાશભર્યા સૂરીલા સંગીતથી મઢેલા તેમના અત્યંત કર્ણપ્રિય ગીતોની ફિલ્મોના નામ સાંભળીએ તો એવું પ્રતિત થયા વિના ન રહે કે આવા દિગ્ગજ સંગીતકારની પ્રતિભાને પૂરતો ન્યાય મળે તેવી ફિલ્મો તેમને મળી નથી. બહુ ઓછી અને મોટેભાગે ઓછા બજેટની હિંદી ફિલ્મોમાં સંગીત આપવાનો તેમને મોકો મળ્યો. આજે આમાંની મોટાભાગની ફિલ્મો, જૂની પેઢીના સંગીતચાહકોને યાદ હશે તો પણ માત્ર ચિત્રગુપ્તજીના સંગીતને કારણે જ.

16 નવેમ્બર, 1917ના દિવસે બિહારના ગોપાલગંજ જિલ્લાના કરમૈની ગામમાં  ચિત્રગુપ્ત શ્રીવાસ્તવનો જન્મ થયો. અર્થશાસ્ત્ર અને પત્રકારત્વ- એમ બે વિષયોમાં એમ. એ. ની ડીગ્રી ધરાવતા ચિત્રગુપ્તજી, પટના કોલેજમાં પ્રોફેસર હતા. સંગીત પરત્વેની રૂચિ તેમને 1946માં મુંબઈ ભણી ખેંચી લાવી. વિખ્યાત સંગીતકાર એસ. એન. ત્રિપાઠીના સહાયક તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. એ જ વર્ષે 'તુફાન ક્વિન' નામની ફિલ્મમાં તેમને સંગીત આપવાનો મોકો મળ્યો, પરંતુ ફિલ્મ અસફળ રહી અને ચિત્રગુપ્તજી પણ. છ વર્ષના લાંબા સંઘર્ષ બાદ, 1952માં તેમણે ફિલ્મ 'સિંદબાદ ધ સેલર'માં સંગીત આપ્યું. રફીસાહેબ અને શમશાદ બેગમના અવાજમાં ફિલ્મનું એક ગીત ખાસ્સું લોકપ્રિય થયું અને સંગીતકાર તરીકે ચિત્રગુપ્તજીને પણ ઓળખ મળી. તેમની સંગીત પ્રત્યેની ઊંડી સૂઝથી પ્રભાવિત થયેલા સચિનદાએ તેમને એવીએમ સ્ટુડિયોઝમાં કામ અપાવ્યું. એવીએમના નેજા હેઠળ તેમણે શિવ ભક્ત, ભાભી, બરખા, મૈ ચૂપ રહૂંગી, મૈ ભી લડકી હૂં જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું.

સારા સંગીતકાર હોવા ઉપરાંત ચિત્રગુપ્તજી સારા ગાયક અને ગીતકાર પણ હતા. હિંદી ફિલ્મોમાં ભલે તેઓને સીમિત ફિલ્મોમાં કામ મળ્યું પરંતુ ભોજપુરી ફિલ્મોમાં તેમની ગણના અગ્રણી સંગીતકાર તરીકે થતી હતી. અનેક ભોજપુરી ફિલ્મોમાં તેમણે ગ્રામ્ય સંસ્કૃતિને અનુરૂપ અત્યંત સૂરીલી ધૂનોની રચના કરી.

માત્ર લોકસંગીત જ નહીં, પરંતુ શાસ્ત્રીય સંગીતની પણ તેમને ઊંડી સૂઝ હતી. 'એક રાઝ' નામની ફિલ્મમાં કિશોરકુમારે તેમના સંગીત નિર્દેશનમાં ગાયેલું ગીત, 'પાયલ વાલી દેખના...' સાંભળીએ તો આ વાતની પ્રતીતિ થયા વિના ન રહે.

ભલે નાના બજેટની ફિલ્મો તેમણે કરી, પરંતુ સાહિર લુધિયાનવી, મજરૂહ સુલ્તાનપુરી, આનંદ બક્ષી, પ્રેમ ધવન, રાજેન્દ્ર ક્રિષ્ણ જેવા  એ સમયના નામાંકિત ગીતકારો સાથે કામ કરવાનો તેમને મોકો મળ્યો. ફિલ્મ 'ભાભી'નું અજરામર ગીત, 'ચલ ઊડ જા રે પંછી કે અબ યે દેશ હુઆ બેગાના' હોય કે પછી 'આકાશદીપ'નું 'મુઝે દર્દે દિલ કા પતા ન થા', રાગ માલકૌંસમાં ફિલ્મ 'બડા આદમી'  નું ગીત 'અખિયન સંગ અખિયન લગી', ફિલ્મ 'વાસના' માટે 'યે પરબતોં કે દાયરે' અને 'ઈતની નાજુક ના બનો' - આ બધા રફીસાહેબે ચિત્રગુપ્તજીના સંગીત નિર્દેશનમાં ગાયેલા ચાદગાર ગીતો છે.

1965માં આવેલી ફિલ્મ 'ઉંચે લોગ' અભિનેતા ફિરોઝ ખાનની અત્યંત સફળ ફિલ્મ સાબિત થયેલી. રફીસાહેબ અને ચિત્રગુપ્તજીની જોડીની ઓર એક કમાલ એટલે આ ફિલ્મનું ગીત, 'જાગ દિલે દિલ દીવાના રૂત જાગી'. સોલો ગીતો જ નહીં, રફીસાહેબે લતાજી જોડે 'મૈ ચૂપ રહૂંગી' માટે 'કોઈ બતા દે દિલ હૈ જહાં',  'કાલી ટોપી લાલ રૂમાલ' માટે 'લાગી છૂટે ના', 'ઝબક' માટે 'તેરી દુનિયા સે દૂર'  અને 'આધી રાત કે બાદ' માટે સુમન કલ્યાણપુર સાથે 'બહુત હસીન હૈ તુમ્હારી' જેવા અત્યંત સુમધુર  યુગલ ગીતો પણ ગાયાં છે.  તો ભોજપુરી ફિલ્મોમાં પણ ચિત્રગુપ્તજી અને રફીસાહેબની જોડીએ અનેક કર્ણપ્રિય ગીતો આપ્યાં છે.

પોતાની રચનાઓમાં લોકસંગીત, શાસ્ત્રીય સંગીતના સફળ ઉપયોગ ઉપરાંત તેમણે ફિલ્મ સંગીતમાં અવનવા પ્રયોગો કર્યા. 'દેખો મૌસમ ક્યા બહાર હૈ'(ઓપેરા હાઉસ) અને 'હમ મતવાલે નૌજવાં'(બરખા) જેવા ગીતો સાંભળીએ ત્યારે આ 'વર્સેટાઈલ' સંગીતકારની  પ્રતિભાની એક ઓર સંગીન બાજુનો ખ્યાલ આવે છે. (જો કે, સંગીતમાં વિવિધ પ્રયોગો પ્રત્યેના અભિગમને કારણે જ તેમને એસ. એન. ત્રિપાઠી જોડે મતભેદ થયેલા અને બંને અલગ થઈ ગયેલા!)

14 જાન્યુઆરી, 1991ના રોજ આ ફાની દુનિયા છોડી જનારા ચિત્રગુપ્તજી આજે ભલે આપણી વચ્ચે હયાત નથી પરંતુ ભાભી, એક રાઝ, મૈં ચૂપ રહૂંગી, ઉંચે લોગ, ઓપેરા હાઉસ, વાસના, ઝબક, ગંગા કી લહરેં, આકાશદીપ, પતંગ જેવી ફિલ્મોના તેમના સદાબહાર ગીતોનો જાદૂ આજે આટલા વર્ષો પછી પણ ચાહકોના દિલોદિમાગ પર યથાવત છે. એટલું જ નહીં, તેમના પુત્રો સંગીતકાર બેલડી આનંદ-મિલિન્દે પણ પિતાનો સંગીતમય વારસો યથાવત જાળવ્યો છે.

જાન્યુઆરી 11, 2018

ના ઉમ્ર કી સીમા હો...



પ્રેમ કઈ ઉંમરે થાય? હિન્દી ફિલ્મો જ જોતા હો તો એમ માનવા મજબૂર થઇ જાવ કે પ્રેમ તો ફક્ત વૃક્ષોની આસપાસ ગીતો ગાતા કોલેજીયન હીરો-હિરોઈન વચ્ચે જ થાય! પરંતુ હકીકત તો એ છે કે પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઇ શકે. બાળપણમાં પાંગરેલો પ્રેમ જીવનસાથી બનાવી દે એવા કિસ્સાઓ બન્યા જ છે તો ઢળતી ઉંમરે અમર્યાદ પ્રેમનો અનુભવ થવો એ પણ કઈ નવું નથી. હિન્દી ફિલ્મોમાં પણ સમયાંતરે આધેડ-યુવાન યુગલની પ્રેમકથાનું આલેખન થયું હોય એવા સુખદ અપવાદ જોવા મળી જાય છે. આવી જ ભૂમિકા ઉપર બનેલી એક સુંદર વિદેશી ફિલ્મ બ્રીઝી(Breezy) અનાયાસે જોવા મળી ગઈ અને એ આપની સાથે share કર્યા વગર રહી શકતી નથી.

ફિલ્મની વાર્તાના બે મુખ્ય પાત્રો છે, ફ્રેન્ક હર્મન (William Holden) અને એલીસ ‘બ્રીઝી’ બ્રીઝરમેન (Kay Lenz). વનપ્રવેશ કરી ચૂકેલો ફ્રેન્ક વર્ષો અગાઉ પોતાની પત્નીથી અલગ થઇ ચુકેલો એક ધનાઢય એસ્ટેટ એજન્ટ છે. વિશાળ મકાનમાં એકલા જ રહેતા ફ્રેન્કને એકલવાયું જીવન જીવવાની આદત થઇ ગઈ છે. એક સીધી જ રેખામાં એની જિંદગી ચાલી રહી છે. કામ અને કામથી કંટાળે તો આંગળીને વેઢે ગણાય એવા બે ચાર મિત્રો કે જેમની સાથે બારમાં બેસીને સાંજનો સમય વિતાવે છે. એકધારી જિંદગી, એકધારા મિત્રો અને એમની સાથેની એ જ એકધારી વાતો. પણ આ બધાથી ટેવાઈ ગયેલા ફ્રેન્કને માટે એવું  લાગે કે જો કદાચ તેના આ રૂટીનમાં કશો ફેરફાર થાય તો કદાચ એ ખુદ અસ્વસ્થ થઇ જાય! એટલી  હદે આ એકધારાપણું તેને વીંટળાઈ વળ્યું છે.

પણ પરિવર્તન એ તો સંસારનો નિયમ છે. એક દિવસ બ્રીઝી નામનું સત્તર-અઢાર વર્ષનું નવયુવાન વાવાઝોડું ફ્રેન્કની એકલવાયી જિંદગીમાં પ્રવેશી જાય છે. હિપ્પીઓ જોડે પોતાનું જીવન પસાર કરતી આ અનાથ યુવતી અને ફ્રેન્કની જીવન શૈલીમાં જ નહીં, જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં યે જમીન આસમાનનું અંતર છે. ફ્રેન્ક જાણે કે એક સ્થિર સરોવરનું બંધિયાર જળ છે તો બ્રીઝી એ જળરૂપી જીવનતત્વથી ભરપૂર બેય કાંઠે છલોછલ વહેતી ઉન્મુક્ત સરિતા... જેના માટે વર્તમાનમાં જીવવું એ જ જીવનમંત્ર છે. ન તો એનો એક અનાથ વ્યક્તિ તરીકેનો ભૂતકાળ એને પીડે છે કે ન તો ભવિષ્યની કોઈ ચિંતામાં એ આજની પળને માણવાનું ચૂકે છે. જીવન પ્રત્યે એક સ્વસ્થ અભિગમ ધરાવતી બ્રીઝીના વિચારોમાં પણ અત્યંત સરળતા છલકે છે. એ પોતાની મનમરજી મુજબ વર્તે છે. કોઈ કામ કરવાથી મળતો તત્કાલીન આનંદ જ એને મન મહત્વનો છે. કોઈ દૂરગામી લાભ માટે કોઈ કામ કરવાનું એના સ્વભાવમાં જ નથી. ન તો એના જીવનમાં કોઈ લક્ષ્ય છે, કે મારે આમ બનવું છે, આ  હાંસલ કરવું છે. આજે આ ક્ષણે જે એની પાસે છે, એ જ એના આનંદનું કારણ છે. આવી અલગારી, મનમોજીલી બ્રીઝી અત્યંત સંવેદનશીલ પણ છે. સડકના એક કિનારે કોઈ વાહનની હડફેટે આવી ગયેલા ઘાયલ કૂતરાને ડોક્ટર પાસે લઇ જઈને એનો ઈલાજ કરાવતી બ્રીઝીની સંવેદનશીલતા દર્શકોને સ્પર્શ્યા વિના રહેતી નથી.

આવી તદ્દન વિપરીત પ્રકૃતિના મનુષ્યો ફ્રેન્ક અને બ્રીઝી એકબીજાને મળે છે અને એવી પરિસ્થિતિઓ નિર્માણ પામે છે કે ફ્રેન્કની લાખ નામરજી છતાં બ્રીઝી એના ઘરમાં જ નહીં, એના જીવનમાં પણ પ્રવેશી જાય છે. બ્રીઝીનો સરળ, સાલસ સ્વભાવ, એની નિખાલસતા, એની બેફિકરાઈ, જીવન પ્રત્યેનો અભિગમ.... ટૂંકમાં બ્રીઝીનું સમગ્ર અસ્તિત્વ, ન ચાહવા છતાંયે ફ્રાન્ક્ના દિલોદિમાગ પર છવાઈ જાય છે. અવશપણે ફ્રેન્ક બ્રીઝીના મોકળા જીવનપ્રવાહમાં વહેવા લાગે છે. બ્રીઝીનું આકર્ષણ ખાળવાની દરેક કોશિશમાં નાકામિયાબ જતો ફ્રેન્ક અંતે બ્રીઝી સામે હથિયાર હેઠા મૂકી જ દે છે. અને ફ્રેન્કની પાનખર સમી જિંદગીમાં બ્રીઝી નામની વસંત પૂરબહારમાં ખીલી ઉઠે છે. ફ્રાન્ક્ના હૃદયની મરૂભૂમિ પર બ્રીઝીના પ્રેમરૂપી અમીછાંટણાં થાય છે અને એક મૂરઝાયેલી, વેરાન જિંદગીમાં ખુશીઓની અગણિત કૂંપળો ફૂટી નીકળે છે.

ખુશખુશાલ ફ્રેન્ક અને બ્રીઝી તેમના આ વિશિષ્ટ સંબંધને ભરપૂર માણે છે. કોઈને પણ ઈર્ષ્યા થાય એવી આનંદમય જિંદગી જીવવાનું તેઓ શરુ કરે છે. ઉમરના અસામાન્ય તફાવતને અતિક્રમીને, ફ્રેન્કની વેરાન જિંદગીને ગુલઝાર કરનારી બ્રીઝીમાં ફ્રેન્ક એ હદે ખોવાઈ જાય છે કે પોતાના જૂના મિત્રોને પણ વિસારી દે છે. પણ આ જ મિત્રો સાથેની પુનઃમુલાકાતમાં ફ્રેન્કને અહેસાસ થાય છે કે આ પ્રેમસંબંધ યોગ્ય નથી!! અને વધારે કશું વિચાર્યા વિના જ ફ્રેન્ક, બ્રીઝીથી સંબંધો તોડી નાખે છે. પણ બ્રીઝીથી અલગ થયા બાદ ખાલીપો અનુભવતો ફ્રેન્ક, પોતાની જિંદગીમાં બ્રીઝીનું મહત્વ સમજે છે અને બ્રીઝીને શોધવા નીકળી પડે છે. કોઈ સ્થાયી આવાસ ન ધરાવતી, હિપ્પીઓના ઝૂંડમાં ફરતી બ્રીઝીને છેવટે ફ્રેન્ક શોધી લે છે.

ફરી એક વાર પોતાની જિંદગીમાં શામેલ થવા માટે હાથ લંબાવતા ફ્રેન્કના પોતાના પ્રત્યેના ખરાબ વર્તનને વિસરી જઈને ખુશખુશાલ બ્રીઝી ફરી એક વાર ફ્રેન્ક સાથે ચાલી નીકળે છે. ત્યારે પોતાના અકડુ સ્વભાવવશ ફ્રેન્ક બોલી ઉઠે છે...

“કદાચ આપણો સાથ એક વરસથી વધારે ન ટકે....”

ત્યારે ખોવાયેલો પ્રિયતમ પાછો મળ્યાની ખુશીમાં અત્યંત ખુશખુશાલ જણાતી બ્રીઝી ના શબ્દો અપ્રતિમ છે.

“એક વર્ષ.... જરા વિચારો તો ખરા... એક આખું વર્ષ.... !!”

અને કદાચ એટલે જ દિગ્દર્શક અહી ફિલ્મનો અંત આણે છે!

https://www.youtube.com/watch?v=F_5c4KFsKIE

જાન્યુઆરી 04, 2018

લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર!



સરળ સહજ શબ્દોમાં, ભાષાનું આભિજાત્ય જળવાય તે રીતે લખાયા હોય તેવા, ગહન સાહિત્યિક મૂલ્ય ધરાવતા હ્રદયસ્પર્શી ગીતો આજે બહુ જૂજ પ્રમાણમાં સાંભળવા મળે છે. કદાચ એટલેજ આજે પણ આપણને ચાળીસ, પચાસ, સાઠના દશકના એ અર્થસભર, મીઠા મધુર ગીતો સાંભળવા ગમે છે.

આજે આ વાત યાદ આવવાનું કારણ એ જ કે, કવિશ્રી ગોપાલદાસ સક્સેના 'નીરજ' પોતાની ઉમરના ચોરાણુંમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. શિક્ષણ અને સાહિત્ય એમ બંને ક્ષેત્રે અનુક્રમે પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા દેશના સર્વોચ્ચ સન્માનથી જેમને નવાજવામાં આવ્યા છે એવા કવિશ્રી 'નીરજ'ની ઓળખાણ આપવી એ સૂરજને આયનો બતાવવા જેવું કામ છે.

4 જાન્યુઆરી, 1925ના રોજ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના એક નાનકડા ગામ પુરાવલીમાં, સાધારણ સ્થિતિ ધરાવતા કુટુંબમાં જન્મેલા 'નીરજ', માત્ર છ વર્ષની વયે જ પિતાને ગુમાવી બેઠેલા. અત્યંત સંઘર્ષમય સંજોગોમાંયે હાઈસ્કૂલની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને, પરિવારના ગુજરાન માટે કામે લાગી જનારા 'નીરજે' લાંબો સમય સામાન્ય ટાઈપીસ્ટની નોકરી કરતા કરતા પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને હિંદી સાહિત્યના વિષય સાથે એમ. એ. ની ડીગ્રી મેળવી.

નાનપણથી જ કાવ્યસર્જનમાં રૂચિ ધરાવતા 'નીરજ', અલીગઢની કોલેજમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા થયા તે પહેલાથી જ કવિસંમેલનો ગજાવતા થઈ ગયેલા. મુંબઈમાં તેમના એક સન્માન સમારંભ દરમિયાન જ તેમની રચનાઓ સાંભળીને આફરીન થઈ ગયેલા દિગ્દર્શક આર. ચંદ્રાએ તેમને પોતાની આગામી ફિલ્મ 'નયી ઉમર કી નયી ફસલ'ના ગીતો લખવા માટે આમંત્રણ આપ્યું! 'નીરજ'એ તેનો સ્વીકાર કરતા, તેમની કેટલીક પ્રારંભિક કાવ્યકૃતિઓનો આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો. ફિલ્મ તો ન ચાલી પણ 'નીરજ'ના લખેલા બધા જ ગીત 'હીટ' રહ્યાં. એમાંયે રફીસાહેબે ગાયેલું ગીત 'કારવાં ગુજર ગયા, ગુબાર દેખતે રહે' અત્યંત સફળ રહ્યું. રાતોરાત 'નીરજ' એક સફળ ગીતકાર તરીકે હિંદી ફિલ્મ જગતમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યા!

આમ તો 'નીરજ'ની ફિલ્મી ગીત લેખનની કારકિર્દી બહુ જ ટૂંકી રહી. પરંતુ મજાની વાત એ કે 1967 થી 1972 એટલે કે માત્ર પાંચ જ વર્ષની કારકિર્દીમાં નીરજે લખેલા મોટાભાગના ફિલ્મી ગીતો સફળ રહ્યાં. સળંગ ત્રણ વર્ષ માટે એટલેકે 1970, 1971અને 1972 માટે 'નીરજ'ને સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકેના ફિલ્મફેર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જ્યાં એક તરફ, રાજ કપૂર અને દેવ આનંદ જેવા કસબીઓએ 'નીરજ'ની પ્રતિભા પારખીને તેમની નવતર પ્રયોગશીલ, ઊંચુ સાહિત્યિક મૂલ્ય ધરાવતી રચનાઓને અદ્ભૂત રીતે કચકડે કંડારી. તો બીજી તરફ ખ્યાતનામ ગાયકોએ પોતાના સ્વર થકી તો એસ. ડી. બર્મન, શંકર જયકિશન, રોશન જેવા સંગીતકારોએ પોતાના સંગીત થકી 'નીરજ'ની પ્રતિભા દેશ-વિદેશમાં વિસ્તારી.

પાંચ વર્ષની અલ્પ કારકિર્દીમાં એકસો ત્રીસ જેટલા ગીતો 'નીરજે' લખ્યાં. તેમાંના લગભગ બધાં જ ગીત સફળતા અને પ્રસિદ્ધીને વર્યા. બાલિશ અને છીછરા શબ્દોને બદલે ગહન વિચારો તેમજ ભાવ અને ઊર્મિની અત્યંત સરળ અને સાહિત્યિક અભિવ્યક્તિ એ 'નીરજ'ની કલમનું સશક્ત જમાપાસું હતું. ફિલ્મી ગીત લેખનની બધી જ વિદ્યામાં પારંગત એવા નીરજની પ્રયોગશીલતાનો આ એક નમૂનો જુઓ:

'ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે, તુઝ કો લિખી રોજ પાતી...
કૈસે બતાઉં કિસ તરહ સે પલ પલ મુઝે તુ સતાતી
તેરે હી સપને લેકર મેં સોયા, તેરી હી યાદોં મેં જાગા
તેરે ખયાલોં મેં ખોયા રહા મેં જૈસે કી માલા મૈં ધાગા
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર!
ઈતના મદિર ઈતના મધુર તેરા મેરા પ્યાર'

ઈતના મદિર, ઈતના મધુર તેરા મેરા પ્યાર, લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર... ગીતનું આ મુખડું છે, જે પાછળથી ગાવામાં આવ્યું છે, તેમ છતાં ગીતમાં જરા પણ રસક્ષતિ થતી નથી.

પહેચાન, પ્રેમ પુજારી, ગાઈડ, તેરે મેરે સપનેં, શર્મિલી, મેરા નામ જોકર, ગેમ્બલર જેવી મોટા બેનરની ફિલ્મોની સાથેસાથે ચા ચા ચા જેવી સાવ ઓછી જાણીતી ફિલ્મોમાં પણ નીરજે લખેલા મેઘધનુષી ગીતોના રંગો આજે પણ એટલા જ ચમકદાર જણાય છે. નીરજના લખેલા કેટલાક ગીતોની યાદી પર નજર ફેરવીએ તો, શોખિયોંમેં ઘોલા જાયે ફૂલોંકા શબાબ, લિખે જો ખત તુઝે, જૈસે રાધાને માલા જપી શામ કી, બસ યહી અપરાધ મેં હર બાર કરતા હૂં, ધીરે સે જાના ખટિયન મેં, મેઘા છાયે આધી રાત, દિલ આજ શાયર હૈ, જીવન કી બગિયા મહેકેગી, મેને કસમ લી, ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે, રંગીલા રે તેરે રંગ મેં, સુબહ ન આયી શામ ન આયી, વો હમ ન થે વો તુમ ન થે.... એકએકથી ચડે એવા આ સુમધુર ગીતો આજે પણ સંગીતચાહકોના હ્રદયમાં અનેરા સ્પંદનો જગાવી દે છે. પણ આ બધા યે ગીતોમાં શિરમોર સમાન ગીત છે, 'એ ભાઈ જરા દેખ કે ચલો!'

રાજ કપૂર જ્યારે પોતાની જિંદગીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે ફિલ્મ 'મેરા નામ જોકર' ના ગીત-સંગીત વિશે નીરજ સાથે ચર્ચા કરી રહ્યાં હતા, ત્યારે નીરજે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા રાજ કપૂરને જણાવ્યું કે, સરકસના જોકરના મુખે, સરકસના મંચ પર જો કોઈ ગીત મૂકવાનું હોય તો એ કંઈક અલગ જ પ્રકારનું હોઈ શકે. રાજ કપૂર જેવા અભિનેતા જ્યારે જોકરનું પાત્ર ભજવી રહ્યાં હોય તો એમાં મામૂલી ઠઠ્ઠા મશ્કરી કે હસી મજાકની વાત ન ચાલે. નીરજે પોતાની કલ્પનાશીલતાનો એક ઓર ઉત્કૃષ્ટ પરિચય આપતું ગીત લખ્યું: એ ભાઈ જરા દેખ કે ચલો... આગે હી નહીં પીછે ભી... દાયેં હી નહીં બાંયે ભી... ઉપર હી નહીં નીચે ભી...

નીરજ જ્યારે રાજ કપૂર તેમજ સંગીતકાર બેલડી શંકર જયકિશનને આ ગીત બતાવવા ગયા ત્યારે શંકર જયકિશનને લાગ્યું કે આ તે કેવા શબ્દો?! આને બંદિશમાં કેમ ઢાળવા? ત્યારે નીરજે પોતે જાતે આ ગીતની ધૂન બનાવી અને સંગીતકારો સમક્ષ ગાઈ સંભળાવી. કમનસીબે એ સમયે 'મેરા નામ જોકર'ને લોકોએ સ્વીકારી નહીં, પરંતુ 'ફ્રીવર્સ લિબરે' જેવી એકદમ નિરાળી શૈલીમાં લખાયેલું આ ગીત લોકજીભે ચડીને અત્યંત લોકપ્રિય બન્યું. ગીતના શબ્દો, ધૂન અને ખાસ તો, સરકસના માધ્યમથી જીવન દર્શન રજૂ કરવાનો વિચાર- બધું જ હટ કે કહી શકાય એવું. નીરજના શબ્દોની જાદૂગરી તો જુઓ:

ગિરને સે ડરતા હૈ ક્યૂં,
મરને સે ડરતા હૈ ક્યૂં,
ઠોકર તુ જબ તક ન ખાયેગા, પાસ કિસી ગમ કો ના જબ તક બુલાયેગા,
જિંદગી હૈ ચીજ ક્યા નહીં જાન પાયેગા,
રોતા હુઆ આયા હૈ રોતા હુઆ જાયેગા...

સરળ શબ્દોમાં જીવનની કઠિન પરિસ્થિતિઓનો સહજ સ્વીકાર કરવાની શીખ આપે એવા આ ગીત માટે નીરજને સો સો સલામ!