ડિસેમ્બર 23, 2017

આવાઝ દે કહાં હૈ....


આવાઝ દે કહાં હૈ....

21 સપ્ટેમ્બર, 1926ના દિવસે, પંજાબના નાનકડા શહેર કસૂરમાં એક મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં બાળકીનો જન્મ થયો. એ બાળકીના રડવાનો અવાજ સાંભળીને એની ફોઈ બોલી ઉઠી કે 'આ બાળકીના રડવામાં પણ સંગીતનો લય છે! આ બાળકી મોટી થઈને જરૂર પાર્શ્વગાયિકા બનશે!' અને એવું જ બન્યું. અગિયાર સંતાનોનો બહોળો પરિવાર ધરાવતા, વ્યવસાયે નાટ્યકર્મી એવા માતાપિતા મદદ અલી અને ફતેહબીબીની સંગીત પ્રત્યેની અભિરુચિએ આ બાળકીમાં નાનપણથી જ સંગીત પ્રત્યે એક વિશિષ્ટ લગાવ જગાવ્યો. સમજણના ઉંબરે પગ દીધા પહેલા જ એ બાળકીના મનમાં ગાયિકા બનવાના સ્વપ્નનું બીજ કોળવા લાગ્યું. દીકરીની રુચિ અને ક્ષમતા પારખીને માતાપિતાએ ઘરમાં જ સંગીતના શિક્ષણ માટેની વ્યવસ્થા ગોઠવી દીધી. એ સમયના ખ્યાતનામ ગાયિકા કજનબાઈ પાસેથી સંગીતનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ, ઉસ્તાદ ગુલામ મોહમ્મદ અને ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન જેવા દિગ્ગજો પાસેથી એ બાળકીએ શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી.

સંગીતક્ષેત્રે આ સિતારાનો ઉદય થવાને હજુ વાર હતી. એના પહેલા એક ઓર ક્ષેત્રે ચમકવાનું એ સિતારાના ભાગ્યમાં લખાયું હતું. 1930માં ઇન્ડિયન પિક્ચરના બેનર હેઠળ બની રહેલી એક મૂક ફિલ્મ 'હિન્દ કે તારે' માં કામ કરવા માટે બાળકીને તક મળી. તે પછી એકાદ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ લગભગ 11 જેટલી મૂક  ફિલ્મોમાં કામ કરીને બાળ કલાકાર તરીકે આ બાળકીએ પોતાની ઓળખ બનાવી લીધી. એ દરમિયાન આખો ય પરિવાર, થિયેટરોના શહેર તરીકે ઓળખાતા કોલકાતામાં  આવીને વસી ગયેલો. '32 પછી શરુ થયેલા બોલતી ફિલ્મોના સમયમાં કોહિનૂર યુનાઇટેડ આર્ટિસ્ટના બેનર હેઠળ કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યા બાદ,  1939માં રજૂ થયેલી ફિલ્મ 'ગુલ એ બકાવલી'માં અભિનયની સાથે સાથે ફિલ્મના ગીતો પણ ગાયા. રાતોરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નૂરજહાં નામની આ હોનહાર અભિનેત્રી સહ ગાયિકાના નામની ચર્ચા ચાલી નીકળી. ત્યારબાદ આ બેનમૂન કલાકારે પાછું વળીને નથી જોયું.

1942માં બનેલી ફિલ્મ 'ખાનદાન'માં અભિનય અને પાર્શ્વગાયનની તક આપનાર ફિલ્મ નિર્દેશક શૌકત હુસૈન રિઝવી સાથે નૂરજહાંએ નિકાહ પઢી લીધા. ત્યારબાદ '43માં તેમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. 'લાલ હવેલી', 'ઝીનત', 'બડી મા', 'ગાંવ કી ગોરી' અને 'મિર્ઝા સાહિબાં' જેવી ફિલ્મોમાં કંઠ અને કાયાના કામણ પાથરીને નૂરજહાંએ જે તરખાટ મચાવ્યો,  તેને ભારત-પાકિસ્તાનના જૂની પેઢીના લોકો આજે પણ ભૂલાવી શક્યા નથી.

એમાંયે જ્યારે 1946માં મહેબૂબ ખાનની ફિલ્મ 'અનમોલ ઘડી' રજૂ થઈ, ત્યારે સંગીતકાર નૌશાદના  કર્ણપ્રિય સંગીતથી સભર આ ફિલ્મમાં નૂરજહાંએ ગાયેલા ગીતોનો જાદૂ એવો તો છવાયો કે  સમગ્ર ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો! આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ, આ જા મેરી બરબાદ મુહબ્બત કે સહારે, જવાં હૈ મુહબ્બત, હંસી હૈ જમાના જેવા ગીતો એ જમાનામાં ખૂબ જ લોકપ્રિય થયા. સુંદરતા, સહજ અભિનય ક્ષમતા,  સુમધુર ગાયકી અને  અપ્રતિમ સફળતાનું અજોડ સંમિશ્રણ નૂરજહાંના રૂપમાં ફિલ્મી જગતમાં એક ઉદાહરણ બની ગયું.

1947માં દેશના વિભાજન બાદ પાકિસ્તાન જઈને વસેલાં નૂરજહાંએ ત્યાં પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું, એટલું જ નહીં, ફિલ્મોના નિર્માણ અને નિર્દેશન ક્ષેત્રે ઝુકાવીને એ દિશામાં પણ સિદ્ધિના અનેક સોપાન સર કર્યા.

સાલ 1963માં અભિનયક્ષેત્રે અને 1996માં પાર્શ્વગાયન ક્ષેત્રે નૂરજહાંએ કાયમ માટે સન્યાસ લઈ લીધો. ચાર દશક સુધી હિન્દી, પંજાબી, ઉર્દૂ અને સિંધી ફિલ્મોમાં દસ હજારથી યે વધુ ગીતો ગાનાર નૂરજહાં તેમના સમકાલીન ગાયકો માટે પ્રેરણારૂપ હતા.

વર્ષ 2000ના ડિસેમ્બર મહિનાની 23 તારીખે લાખો દિલોની ધડકન એવી 'મલ્લિકા એ તરન્નુમ' નૂરજહાંનું હ્રદયરોગનો હુમલો થવાને કારણે દેહાવસાન ભલે થયું, પણ જયાં સુધી આ પૃથ્વી પર સંગીત રહેશે ત્યાં સુધી નૂરજહાંનો રણકતો અવાજ હવાઓમાં ગૂંજતો રહેશે.

ડિસેમ્બર 04, 2017

તુમસે બઢકર દુનિયામેં...


''તુમ સે બઢકર દુનિયા મેં, ન દેખા કોઈ ઓર ઝુબાં પર, આજ દિલ કી બાત આ ગઈ.....''

કોઈ મ્યુઝિક ચેનલ પર, આજના યંગસ્ટર્સ માટે 'જૂના' કહી શકાય એવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ફિલ્મ 'કામચોર'નું આ પ્રખ્યાત અને અત્યંત કર્ણપ્રિય એવું ગીત શરૂ થયું. મારું મન શરૂઆતમાં રેકર્ડ પર વાગતા સાયગલ જેવા અવાજ પર સ્થિર થયું. અને એ જ સમયે મારા ટીનેજર દીકરાએ પૂછ્યું,

''મોમ, આ કોણ છે?''
''રાકેશ રોશન, હ્યતિક રોશનના પાપા!''
''ઓહ, એમને માથે આટલા બધા વાળ હતા?!!!''

રાકેશ રોશનને આજની પેઢી આ જ રીતે ઓળખે એમાં કંઈ નવાઈ નથી. જો કે, મારા મિત્રો રાકેશ રોશનને પ્રખ્યાત સંગીતકાર રોશનના સુપુત્ર તરીકે ઓળખે એવી શક્યતા વધુ છે! આજના આ સફળ નિર્માતા-દિગ્દર્શક પર યુવાનીમાં અભિનયનું ભૂત સવાર હતું અને અભિનેતા તરીકે સામાન્ય કહી શકાય એવી સફળતા પણ મેળવી. પરંતુ નિર્માતા તરીકે જોઈએ એવી સફળતા મેળવી શક્યા ન્હોતા. 'કામચોર' (૧૯૮૨) ની સફળતાએ એમની નિષ્ફળતાના દરિયામાં માથાબૂડ ડૂબેલી કારકિર્દીને ઓક્સિજન પૂરવાનું કામ કરેલુ. પણ એમાં રાકેશ રોશનના અભિનય કરતા એમના જ ભાઈ રાજેશ રોશનના સંગીતનો સિંહફાળો હતો, એમ કહેવું અસ્થાને નથી જ.

ઉપર જેનો ઉલ્લેખ કર્યો એ ગીત ફિલ્મમાં બે અવાજમાં સાંભળવા મળે છે. એક તો વધુ જાણીતું વર્ઝન કિશોર કુમાર-અલકા યાગ્નિકના અવાજમાં અને બીજું મહાન ગાયક કે. એલ. સાયગલના અવાજની પ્રતિકૃતિ ગણાતા ગાયક સી.એચ.આત્માના નાના ભાઇ ચંદ્રુ આત્માના અવાજમાં. તેઓ ‘સાયગલ સંધ્યા’ નામે સાયગલનાં ગીતોના કાર્યક્રમો આપીને જાણીતા બન્યા હતા.  તેમણે ફિલ્મોમાં ફક્ત ચાર જ ગીત ગાયાં.

૧. મેરી ઝિંદગીકી કશ્તી- ફિલ્મ: ભૂમિકા(૧૯૭૭),  સંગીતઃ વનરાજ ભાટિયા
૨. હમ પાપી તુમ - ફિલ્મ: સાહિબબહાદુર(૧૯૭૭) સહગાયકોઃ મહેન્દ્ર કપુર-અંબરકુમાર-ચંદ્રાણી મુખર્જી-દિલરાજ કૌર- સંગીતઃ મદનમોહન
૩. સાંવરિયા તોરી પ્રીત- ફિલ્મ: પ્રેમબંધન(૧૯૭૮), સંગીત - લક્ષ્મીકાંત-પ્યારેલાલ
૪. તુમસે બઢકર દુનિયામેં- ફિલ્મ: કામચોર(૧૯૮૨), સંગીત - રાજેશ રોશન

ચંદ્રુ આત્માના વિશિષ્ટ સ્વરમાં આ અવિસ્મરણીય પ્રણય ગીત અહીં સાંભળો..