ઑગસ્ટ 19, 2018

કભી યૂં ભી તો હો...


જગજીત સિંહ અને જાવેદ અખ્તર.... આ બંને નામ જબાન પર આવતા જ દિલોદિમાગ પર જાદૂ છવાયા વિના ન જ રહે. છેક એંસીના દાયકામાં આવેલી ફિલ્મ ‘સાથ સાથ’ના ગીતોમાં આ જોડીએ વિખેરેલો  જાદૂ હજુ આટલા વર્ષે પણ એવો ને એવો બરકરાર છે.  સંગીતકાર કુલદીપ સિંહની રચેલી ધૂનો પર જાવેદ અખ્તરે લખેલા અને જગજીતસિંહજીએ ગાયેલા એ અમર ગીતો ભલા કોણ વિસારી શકે? યે તેરા ઘર યે મેરા ઘર...  તુમ કો દેખા તો યે ખયાલ આયા.... પ્યાર મુજ સે જો કિયા તુમને.... જો કે સાથ સાથ અગાઉ અર્થ અને પ્રેમગીત જેવી ફિલ્મોમાં પોતાના અવાજનો જાદૂ વિખેરી ચૂકેલા જગજીત સિંહે સાથ સાથ બાદ ફિલ્મી દુનિયાને એક તરફ રાખી દઈને ફરી એકવાર ગઝલની દુનિયાનો રુખ કરી લીધો.

જગજીત સિંહની એક ખૂબી એ હતી કે એમણે જુદા જુદા અનેક નામી અનામી શાયરોની બેહતરીન રચનાઓ ચૂંટીને પોતાના અવાજમાં ગાઈને જગમશહૂર બનાવી દીધી. જાવેદ અખ્તર સાથે સાથ સાથમાં જોડી જમાવ્યા બાદ છેક ૧૯૯૮મા આ જોડીએ  ફરી એકવાર સાથે કામ કર્યું. જાવેદ અખ્તરની આઠ  ગઝલોને જગજીતસિંહએ પોતાના મખમલી અવાજમાં ગાઈ. ‘સિલસિલે’ આલ્બમમાં સમાવાયેલી આ બધી જ રચનાઓ બેશક બહેતરીન છે. પણ આ રચના મારા દિલની અત્યંત નજીક છે.

कभी यूँ भी तो हो
दरिया का साहिल हो
पूरे चाँद की रात हो
और तुम आओ
कभी यूँ भी तो हो...

જગજીત સિંહના કંઠે આ સદાબહાર રચના અહીં સાંભળી શકશો...
 https://www.youtube.com/watch?v=DXsPd6wLk4g

ઑગસ્ટ 10, 2018

સુરેશ દલાલ


સુરેશ દલાલ(૧૧-૧૦-૧૯૩૨, ૧૦-૮-૨૦૧૨)

સુરેશ દલાલ... ઈન્દ્રધનુષી વ્યક્તિત્વના માલિક.... સર્જક, સંપાદક, અધ્યાપક, વક્તા, સંચાલક, આયોજક અને પ્રકાશક સુરેશ દલાલ....આઠ દાયકાની જીંદગીમાં તેમણે ગુજરાતી સાહિત્યને સેંકડો પુસ્તકો, અનેક વાચકપ્રિયકટારો અને ગુજરાતી સુગમસંગીતને તરબતર કરી મૂકે એવાં ગીતો આપ્યાં. એટલું જ નહીં, ભારતભરની જ નહીં, જગતભરની કવિતાઓનો આપણી પોતાની ભાષામાં જ આસ્વાદ કરાવીને લોકોને ભાષાના પ્રેમમાં પડવા મજબૂર કર્યાં. કવિ મકરંદ દવે જેમને પોતાની કવિતામાં 'અત્તરિયા'નું ઉપનામ આપે છે, એવા સુરેશ દલાલનો આજે સ્મરણ દિવસ. આજે તેમની લખેલી આ સુંદર કવિતા માણીએ. મેઘરાજા તો આ વખતે તેમની મોસમમાં બરાબર વરસવાના મિજાજમાં નથી પણ સુરેશ દલાલની આ કવિતા આપણને પ્રેમની વર્ષામાં સરાબોળ ભીંજવ્યા વિના રહેતી નથી.

વૃક્ષોના ચ્હેરા પર પંખીના ટહુકાનો છલકે છે ઝીણો આનંદ.
વ્હેતી હવા પણ એવી નાજુક કે હળુહળુ મનભરી મ્હાલે છે મંદ.

ઝાકળના ઝાંઝરને બાજુએ મૂકયાં
કે નીરવતા નહીં નંદવાય
અણદીઠી સુંદરી થાળી લઈને
જાણે વસંતને વધાવવા જાય

કળીઓ ને ફૂલ ને ભમરા મશગૂલ ને પતંગિયાઓ વેરે છે રંગની સુગંધ
વૃક્ષોના ચ્હેરા પર પંખીના ટહુકાનો છલકે છે ઝીણો આનંદ.

આખી સૃષ્ટિ જાણે પ્રેમમાં પડી હોય એમ
ડાળીઓ ફૂલોમાં સંગોપાઈ ગઈ
શ્યામની ધરતીમાં રાધા તો બીજ થઈ
ઊંડે મૂળિયામાં રોપાઈ ગઈ

નરસિંહની કરતાલ ને મીરાંના મંજીરા ને તુકારામ ગાય છે અભંગ
વૃક્ષોના ચ્હેરા પર પંખીના ટહુકાનો છલકે છે ઝીણો આનંદ.

ઑગસ્ટ 05, 2018

દિયે જલતે હૈ...


દિયે જલતે હૈ... ફૂલ ખિલતે હૈ... બડી મુશ્કિલ સે મગર, દુનિયા મેં દોસ્ત મિલતે હૈ....

માણસ જ્યારથી સમુદાયમાં રહેતા શીખ્યો ત્યારથી સંબંધો બનાવતા અને નિભાવતા પણ શીખ્યો. કેટલાક સંબંધો માનવીના જન્મથી જ એની સાથે જોડાઈ જાય છે તો કેટલાક તે પોતાની સમજ અને જરૂરિયાતો મુજબ વિકસાવે છે. પણ મૈત્રી એ એવો એક સંબંધ હોય છે, જે સાવ સહજ રીતે, અનાયાસ જ બે વ્યક્તિ વચ્ચે ઉદ્દભવી જાય છે અને પછી ચિરકાળ સુધી પાંગરતો રહે છે. મૈત્રી ક્યા, ક્યારે, કોની સાથે થશે, એનું કોઈ ચોક્કસ ગણિત નથી હોતું. સાવ અજાણી એવી બે વ્યક્તિ મળે, બંનેના હૃદય એકબીજાના હૃદયની 'ફ્રિકવન્સી' ઝીલે, એ મેચ થાય તો ક્ષણમાં વીજળીના ઝબકારાની માફક આ ઓળખાણ આત્મીયતામાં પરિણમે ને રોટી, કપડા, મકાનની જેમ જ અનિવાર્ય એવા જિંદગીના આ મહામૂલા આયામની શરૂઆત થાય.

દોસ્તી, દુશ્મની અને પ્યાર - આ ત્રણ વિષયો પર આપણે ત્યાં મોટાભાગની ફિલ્મો બનતી હોય છે. એમાંયે મૈત્રી સંબંધોના તાણાવાણાઓને કહાણીમાં ગૂંથી લઈને અનેક સુંદર ફિલ્મો બની છે.  મોટાભાગના અદાકારોએ બે મિત્રની વાર્તા પર બની હોય એવી એકાદ ફિલ્મમાં તો કામ કર્યું જ હોય. પણ અમિતાભ બચ્ચન જ કદાચ એવા કલાકાર છે કે જેમણે સૌથી વધુ સહકલાકારો સાથે મિત્રની ભૂમિકા ભજવી હોય. પ્રાણ, શશિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, અમજદ ખાન જેવા કલાકારો સાથે એકથી વધુ ફિલ્મોમાં અમિતાભ બચ્ચને મિત્રની ભૂમિકા ભજવી છે. એમાંયે ધર્મેન્દ્ર સાથેની 'શોલે' ફિલ્મે તો સફળતાના આગલા તમામ રેકોર્ડ તોડી નાખેલા. જય અને વીરુ જેવા બે તદ્દન અલગ સ્વભાવના મિત્રોની આ રોમાંચક ફિલ્મનું ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે...' એ તો આજે પણ ગુરુમંત્રની માફક મિત્રોના હૃદયમાં ગૂંજતું રહેતું હોય છે.

'શોલે'ના જય-વીરુની યાદ ભલે આજે પણ જનમાનસમાં તાજી હોય, પણ અમિતાભ બચ્ચને મિત્ર તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથેની 'નમક હરામ' ફિલ્મમાં ભજવી છે. 'નમક હરામ' માટે તો અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર પણ એનાયત થયેલો. શું હતું આ ફિલ્મમાં? ટી. એસ. ઇલિયટની ખ્યાતનામ કૃતિ 'મર્ડર ઈન ધ કેથેડ્રલ' પરથી, હોલિવૂડની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં જેની ગણના થાય છે એવી ફિલ્મ 'બેકેટ' બની. ઈંગ્લેન્ડના રાજા અને તેના મિત્રની વાત રજૂ કરતી, સત્ય ઘટના પર આધારિત આ કૃતિ પરથી બનેલી 'બેકેટ' ફિલ્મ અત્યંત સફળ રહી હતી. હૃષિકેશ મુખર્જીએ 'બેકેટ' પરથી પ્રેરણા લઈને 'નમક હરામ' બનાવી. કિશોરકુમારે ગાયેલાં આનંદ બક્ષીના સુમધુર ગીતો, આર. ડી. બર્મનનું સૂરીલું સંગીત અને ગુલઝારે લખેલા ચુસ્ત સંવાદો અને પટકથા અને ઉપરથી હૃષિદા જેવા સમર્થ દિગ્દર્શક. ફિલ્મ સફળ ન થાય તો જ નવાઈ!

આ એ પહેલવહેલી ફિલ્મ હતી કે જેની રજૂઆત પછી રાજેશ ખન્નાને વાસ્તવમાં પોતાનું સુપર સ્ટારનું બિરુદ હાથમાંથી સરી જતું લાગ્યું. 'નમક હરામ'ની રજૂઆતના વર્ષો પછી કોઈ ફિલ્મ સામાયિકને આપેલા એક સાક્ષાત્કારમાં રાજેશ ખન્નાએ કબૂલ કર્યું કે લિબર્ટી સિનેમામાં આ ફિલ્મનો ટ્રાયલ શો જોયા બાદ એમને સમજાઈ ગયેલું કે પોતાનો યુગ હવે આથમી ચૂક્યો છે. તેમણે અમિતાભ બચ્ચન તરફ નિર્દેશ કરીને હૃષિદાને કહ્યું પણ ખરા કે "આ છે આવતીકાલનો સુપર સ્ટાર''

જો કે, મજાની વાત તો એ છે કે, જ્યારે 'નમક હરામ'ના શૂટિંગની શરૂઆત થઇ ત્યારે રાજેશ ખન્ના સુપર સ્ટાર હતા અને અમિતાભ બચ્ચન એક નિષ્ફળ કલાકાર. 'કાકા' પાસે શૂટિંગ માટે તારીખો ફાજલ નહોતી અને 'બિગ બી' પાસે સમય જ સમય હતો. તો થયું એવું કે ફિલ્મમાં અમિતાભના હિસ્સાનું મોટાભાગનું શૂટિંગ પહેલા જ નિપટાવી લેવાયું. જ્યારે ફિલ્મના રશીઝ વિતરકોને બતાવવામાં આવ્યા તો સૌને એવું લાગ્યું કે જાણે આ તો અમિતાભ બચ્ચનની ફિલ્મ છે અને રાજેશ ખન્ના આ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે. કોઈ વિતરકને અમિતાભ જેવા નિષ્ફળ કલાકારની ફિલ્મ ખરીદવામાં રસ ન હતો. જો કે, હૃષિકેશ મુખર્જી જેવા પીઢ અને આદરણીય ફિલ્મકારને સીધેસીધી ના કહેવાનું વિતરકો માટે શક્ય નહોતું. એટલે એક પછી એક વિતરક ફિલ્મમાં કંઇકને કંઈક ત્રુટી બતાવતા રહ્યા. છેલ્લે, કેટલાક વિતરકોએ અમિતાભની કાન ઢંકાઈ જાય એવી હેર સ્ટાઈલ પર નિશાન તાક્યું અને એકે તો હૃષિદાને એમ પણ કહ્યું કે ''આપનો હીરો વાનર જેવો લાગે છે, એને કહો કે કમ સે કમ વાળ તો ઢંગથી કપાવે તો અમને ખબર તો પડે કે એને કાન છે કે નહીં!!'' આ વાત પર બધા જ વિતરકો ખડખડાટ હસી પડ્યા.

આ ઘટના બની એના થોડા જ મહિનામાં 'જંજીર' રજૂ થઈ અને અમિતાભ 'એંગ્રી યંગ મેન' તરીકે યુવાનોમાં અત્યંત લોકપ્રિય બની ગયા. જ્યારે એ જ સમયે સળંગ પાંચ ફ્લોપ ફિલ્મો આપવાને કારણે રાજેશ ખન્નાનું સુપર સ્ટારનું સિંહાસન ડગમગી ઊઠ્યું. 'નમક હરામ'નું શૂટિંગ તો હજુયે ચાલી જ રહ્યું હતું. પણ કિસ્મતનો ખેલ જુઓ. એક સમયે અમિતાભનો વિરોધ કરનારા, એમની ભયંકર મજાક ઉડાવનારા એ જ વિતરકોએ હૃષિદાને ફોન કરી કરીને કહ્યું કે ફિલ્મમાં અમિતાભનો રોલ વધારો! ફિલ્મના પોસ્ટરો અને અન્ય પબ્લીસીટીમાં પણ અમિતાભ બચ્ચનને રાજેશ ખન્નાની જોડાજોડ સ્થાન આપવા માટે વિતરકો માંગ કરવા લાગ્યા! 'કાનને ઢાંકતી હેર સ્ટાઈલ' હવે ફેશન બની ચૂકી હતી. હિંદી ફિલ્મ જગતમાં એક નવી સત્તાનો ઉદય થઇ ચૂક્યો હતો. આ વિષે વિવિધ વર્તુળોમાં અનેક ટીકા ટીપ્પણીઓ થઇ હતી. પણ સૌથી વેધક ટિપ્પણી મુંબઈના હજામોએ કરી હતી. ફિલ્મની રજૂઆત બાદ મુંબઈના કેટલાય હેર કટિંગ સલૂનની બહાર નવું બોર્ડ મૂકવામાં આવેલું, જેમાં લખેલું હતું: "રાજેશ ખન્ના હેર કટ- રૂ. ૨; અમિતાભ બચ્ચન હેર કટ- રૂ. ૩.૫૦!!

ઑગસ્ટ 04, 2018

ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના...




કોને ખબર હતી કે આજથી ૮૮ વર્ષ પહેલા એટલે કે 4 ઓગસ્ટ, 1929નાં દિવસે મધ્યપ્રદેશના નાનકડા શહેર ખંડવામાં વસતા એક બંગાળી પરિવારમાં જન્મ લેનાર બાળક ‘આભાસ’ ની આભા એવી તો ફેલાશે કે ભારતીય ફિલ્મસંગીતના ઇતિહાસમાં આ નામ ‘કિશોર કુમાર’ના નામે અમર થઈ જશે! ૧૯૪૮મા સંગીતકાર ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં ફિલ્મ ‘ઝીદ્દી’માં ગાયેલા પોતાના સૌપ્રથમ ગીત ‘મરને કી દુઆએં ક્યૂં માંગુ...’ થી લઈને ૧૯૮૭માં ફિલ્મ ‘વક્ત કી આવાઝ’ માટે ગયેલા ગીત ‘ગુરુ ઓ ગુરુ...’ સુધીની ચાલીસ વર્ષ લાંબી સંગીત યાત્રામાં કરોડો સંગીતપ્રેમીઓના દિલ જીતી લેનાર ‘જીનીયસ’ ગાયક કિશોર કુમારનાં ગાયેલા અગણિત ગીતો આજે પણ હવામાં ગૂંજતા રહે છે! આજે તેમના જન્મદિવસે એમના વિષે થોડી વાતો કરીએ.

નાનપણથી જ સંગીતમાં રુચિ ધરાવતા કિશોર કુમાર, કે. એલ. સાયગલના ચાહક હતા. સાયગલને પોતાના ગુરુ માનતા કિશોર કુમાર પોતાની ગાયકીમાં પણ તેમનું અનુકરણ કરતા. એ સમયે ફિલ્મ જગતમાં અભિનેતા તરીકે પોતાનું સ્થાન જમાવી ચૂકેલા મોટા ભાઈ અશોક કુમારને મળવા માટે મુંબઈ આવ જા કરતા રહેતા કિશોર કુમારની અંતરંગ ઈચ્છા તો પોતાના આરાધ્ય સાયગલને મળવાની જ રહેતી. જ્યારે અશોક કુમાર પોતાના નાના ભાઈ કિશોરને અભિનેતા બનાવવાના ઉદ્દેશથી મુંબઈ લઈ આવ્યા ત્યારબાદ થોડા જ દિવસોમાં સાયગલનું અવસાન થઇ જતા તેમની આ મહેચ્છા અધૂરી જ રહી. અને ત્યાર પછી બહુ જલ્દી તેમની ગાયકીમાંથી સાયગલની અસર પણ નાબૂદ થઇ ગઈ. થયું એવું કે અશોક કુમારને મળવા તેમના નિવાસ સ્થાને આવેલા સંગીતકાર એસ. ડી. બર્મન આવેલા ત્યારે બાથરૂમમાં ગાઈ રહેલા કિશોર કુમારનો અવાજ સાંભળીને પ્રભાવિત થઇ ગયેલા દાદાએ કિશોર કુમારને એ જ સમયે પોતાની અલગ શૈલી વિકસાવવાની સલાહ આપી. આજે કિશોર કુમારના જે સૂરીલા અવાજના જાદૂથી લોકો હજુયે અભિભૂત છે તે અવાજની શૈલી વિકસાવવા માટે કિશોર કુમારને પ્રેરણા આપનાર બર્મન દાદા જ હતા. દાદાના સંગીતમાં બનેલી મુનીમજી, ટેક્સી ડ્રાઈવર, ફંટૂશ, નૌ દો ગ્યારહ, પેઈંગ ગેસ્ટ, ગાઈડ, જ્વેલ થીફ, પ્રેમ પુજારી, તેરે મેરે સપને જેવી ફિલ્મોમાં કિશોર કુમારે અવિસ્મરણીય ગીતો ગાયા.

રફી અને મુકેશ જેવા સમકાલીન ગાયકો વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરી શકનાર કિશોર કુમારે પોતાની સહજ ગાયકી થકી ફિલ્મી ગીતોને સામાન્ય જનતાના હોઠે રમતા મૂકી દીધા. ચાર દશક જેટલી લાંબી સંગીતયાત્રા દરમિયાન હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, ભોજપુરી, બંગાળી, ઉડિયા, આસામી, કન્નડ, તમિલ, મલયાલમ ફિલ્મોના ગીત ગાનાર કિશોર કુમારે સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે આઠ આઠ વખત ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા. ’૪૮થી પાર્શ્વગાયનની શરૂઆત કરનાર કિશોર કુમારને પહેલો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો છેક સાલ ૧૯૬૯મા ફિલ્મ ‘આરાધના’ના ગીત ‘મેરે સાપનો કી રાની...’ માટે! ‘આરાધના’થી કિશોર કુમારની કારકિર્દીને જબરજસ્ત વેગ મળ્યો. એક તરફ ‘શર્મીલી’ અને પ્રેમ પુજારી’નાં ગીતો ખૂબ પ્રખ્યાત થયા તો બીજી તરફ ‘આરાધના’ બાદ ‘કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ની અપાર સફળતામા મહત્વનું પરિબળ બનેલો અભિનેતા રાજેશ ખન્ના માટે કિશોર કુમારના અવાજનો જાદૂ લોકોના દિલોદિમાગ પર એ હદે છવાઈ ગયો કે રાજેશ ખન્ના માટે કિશોર કુમારનો અવાજ અનિવાર્ય બની ગયો! રાજેશ ખન્ના માટે ૯૨ ફિલ્મોમાં ૨૪૫ જેટલા ગીત કિશોર કુમારે ગાયા છે, જે એક વિક્રમ છે.

‘૭૦નો દશક કિશોર કુમારની કારકિર્દીનો સુવર્ણકાળ હતો. એસ. ડી. બર્મન ઉપરાંત પંચમ, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો સાથે કિશોર કુમારે કેટલાયે અણમોલ ગીતો આ સમયમાં આપ્યા. બુઢ્ઢા મિલ ગયા, મેરે જીવનસાથી, પરિચય, અભિમાન, કોરા કાગઝ, મિલી, આંધી, ખુશ્બૂ જેવી ફિલ્મો માટે આ સમયગાળામાં કિશોર કુમારે ગયેલા ગીતો આજે પણ લોકપ્રિય છે. ‘રાત કલી એક ખ્વાબ મેં આયી...’ જેવું રોમાન્ટિક ગીત હોય કે પછી ‘ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં...’ જેવું મસ્તીભર્યું ગીત હોય કે પછી ‘બડી સૂની સૂની હૈ...’ કે ‘આયે તુમ યાદ મુઝે....’ જેવા ધીર ગંભીર ગીતો હોય... કિશોર કુમારની બહુઆયામી પ્રતિભાના હરેક રંગને ઉપસાવતા ગીતો આ સમયમાં આવ્યા. અગાઉ દેવ આનંદ અને ત્યારબાદ રાજેશ ખન્ના માટે પાર્શ્વગાયન કરનારા કિશોર કુમાર પછીથી અમિતાભ બચ્ચનનાં અવાજનો પર્યાય બની ગયા. કિશોર કુમારની ખૂબી જ એ હતી કે અભિનેતાના અવાજ અનુસાર પોતાના અવાજને ઢાળી શકતા હતા.

કિશોર કુમારે ગયેલા અગણિત ગીતોમાંથી આપણી પસંદગીના દસ ગીતો પસંદ કરવા એ જરા અઘરું કામ છે. પણ આજે આપણે ખુદ કિશોર કુમારની પસંદગીના દસ ગીતો પર એક નજર કરીએ...

૧) દુઃખી મન મેરે સુન મેરા કહેના...(ફંટૂશ)
૨) જગમગ જગમગ કરતા નિકલા...(રીમઝીમ)
૩) હુસ્ન ભી હૈ ઉદાસ ઉદાસ...(ફરેબ)
૪) ચિનગારી કોઈ ભડકે...(અમર પ્રેમ)
૫) મેરે નૈના સાવન ભાદો....(મહબૂબા)
૬) કોઈ હમદમ ના રહા....(ઝૂમરુ)
૭) મેરે મહબૂબ કયામત હોગી...(મિસ્ટર એક્સ ઈન બોમ્બે)
૮) કોઈ હોતા જીસકો અપના...(મેરે અપને)
૯) વો શામ કુછ અજીબ થી....(ખામોશી)
૧૦) બડી સૂની સૂની હૈ....(મિલી)