જૂન 26, 2014

મદન મોહન




મદન મોહન કોહલી- (જન્મ: ૨૫ જૂન, ૧૯૨૪; દેહવિલય: ૧૪ જૂલાઈ, ૧૯૭૫)- બોમ્બે ટોકિઝ ફિલ્મ કંપનીના એક નિર્દેશક એવા રાયબહાદૂર ચુન્નીલાલ કોહલીના સુપુત્ર. હિન્દી ફિલ્મોના એક આલા દરજ્જાના સંગીતકાર. પોતાના જીવનકાળ દરમિયાન આશરે સો જેટલી ફિલ્મોમાં સર્વોત્કૃષ્ટ રચનાઓ આપીને પોતાના સમકાલીન સંગીતકારોની ભીડ વચ્ચે એક અલગ ઓળખ બનાવવામાં મદન મોહન જરૂર સફળ રહ્યાં. એ આપણી કમનસીબી છે કે તેમને વધારે અવસર ન મળ્યાં, નહીં તો હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસની  યશકલગીમાં કંઈ કેટલાય મધુર ગીતો રૂપી સોનેરી પીંછાં ઉમેરાયા હોત.


તેમના પિતાને જરાય ઈચ્છા ન હતી કે દીકરો ફિલ્મી દુનિયામાં આવે. પણ યુવા મદનને ફિલ્મી દુનિયાનું એટલું પ્રબળ આકર્ષણ કે સૈન્યની નોકરી છોડીને લખનૌ ખાતે ઓલ ઈન્ડિયા રેડિયોની નોકરી સ્વીકારી. જ્યાં તેમને દેશના શાસ્ત્રીય/સુગમ ગાયક-ગાયિકાઓ, વાદકો, સંગીતકારોનો સંપર્ક થયો અને સંગીતનું અદ્ભૂત કહી શકાય એવું જ્ઞાન પણ પ્રાપ્ત થયું. કદાચ એટલે જ, સંગીતની કોઈ પદ્ધતિસરની તાલિમ ન લેવા છતાં, તેમના સંગીતમાં, સર્વે વિવિધતાઓનું ઊંડું જ્ઞાન અને સમજ, સહજપણે પ્રકટ થાય છે. અહીં જ તેમને ઉસ્તાદ ફૈયાઝ ખાં, ઉસ્તાદ અલી અકબર ખાં, બેગમ અખ્તર અને બરકત અલી ખાં સાહેબ જેવા દિગ્ગજોના પરિચયમાં આવવાની તક મળી. એમાંયે ખાસ કરીને બેગમ અખ્તર અને બરકત અલી ખાં સાહેબનો તેમના પર વિશેષ પ્રભાવ રહ્યો. તેમની કેટલીયે રચનાઓ જેવી કે, ''મૈને રંગ લી આજ ચુનરીયા"(દુલ્હન એક રાત કી), ''જીયા લે ગયો જી મોરા સાંવરિયા (અનપઢ)'', ''નૈનોંમેં બદરા છાયે (મેરા સાયા)'' વગેરે જેવા ગીતો પર બરકત અલી ખાં સાહેબની છાપ સ્પષ્ટ જોઈ શકાય છે. (બરકત અલી ખાં સાહેબ-બડે ગુલામ અલી ખાં સાહેબના નાના ભાઈ, મહાન ઠુમરી ગાયક) મદન મોહનજીની અન્ય લાજવાબ રચનાઓ- ''ઉનકો યે શિકાયત હૈ કિ હમ'' (અદાલત), ''આજ સોચા તો આંસુ ભર આયે'' (હંસ્તે ઝખ્મ), ''આપ કી નજરોં ને સમજા'' અને "હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ'' (અનપઢ) તેમજ ''હમ પ્યાર મેં જલને વાલોં કો'' (જેલર) - આ બધી ગઝલો પર બેગમ અખ્તરનો સ્પષ્ટ પ્રભાવ જોઈ શકાય છે.    

મજાની વાત એ છે કે વર્ષ ૧૯૫૦માં પહેલીવહેલી ફિલ્મ 'આંખે'માં સંગીત આપીને કારકિર્દીના શ્રીગણેશ કરનાર મદન મોહનજીએ, ઉપર નિર્દેશ કર્યો એ બધી જ રચનાઓ ઉપરાંત અગણિત સુમધુર, અવિસ્મરણીય ગીતો, લતાજીના કંઠે ગવડાવ્યાં છે. એક તબક્કે એવું પણ કહેવાતું કે તેઓ માત્ર અને માત્ર લતાજી માટે જ ગીતો કમ્પોઝ કરે છે! પણ ૧૯૫૭માં  ફિલ્મ 'દેખ કબીરા રોયા' માટે મન્ના ડે પાસે ''કૌન આયા મેરે મન કે દ્વારે'' જેવું અનન્ય ગીત ગવડાવીને મદનજીએ આ છાપ ભૂંસી નાખી. મન્ના ડે ઉપરાંત રફી સાહેબે પણ 'તુમ જો મિલ ગયે હો" (હંસતે ઝખ્મ), "તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ" (ચિરાગ), "યે દુનિયા, યે મહેફિલ, મેરે કામ કી નહીં" (લૈલા મજનૂ), "કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથિયોં" (હકીકત) જેવા અવિસ્મરણીય ગીતો ગાયા છે. માત્ર લતાજી જ નહીં, આશાજી પાસે પણ બેહદ ખૂબસુરત ગીતો મદનજી એ ગવડાવ્યાં છે. જેમ કે, "ઈશ્ક ઈક ઝહર સહી", "ફિર ભી પિયે જાતા હૂં" (મે'મ સાહિબ), "શોખ નઝર કી બિજલિયાં" (વો કૌન થી), "ઝૂમકા ગિરા રે, બરેલી કે બાઝાર મેં" (મેરા સાયા).

ઓર એક વાત... આમ જોઈએ તો મદનજીના સંગીત નિર્દેશનમાં બનેલી અમુક ફિલ્મોને બાદ કરતા, મોટાભાગની ફિલ્મો સફળ ન હતી. પરંતુ આ ફિલ્મોમાં તેમના સંગીતને ખૂબ જ પ્રશંસા મળી. જો કે, આવા પ્રતિભાવંત સંગીતકારને પ્રતિષ્ઠીત પુરસ્કારો જીતવાની બાબતે હંમેશા નિરાશા જ સાંપડી. તેમને મળેલો એકમાત્ર રાષ્ટ્રીય પુરસ્કાર, રાજિન્દર સિંઘ બેદીની ફિલ્મ 'દસ્તક'(૧૯૭૦) માટે. તદ્દન નિષ્ફળ ગયેલી આ ફિલ્મના ગીતો અત્યંત ઊંચી કક્ષાના હતા. મજરૂહ સુલ્તાનપુરીએ લખેલા 'ક્લાસ અપીલ' ધરાવતાં આ બેનમૂન ગીતો - "હમ હૈ મતા એ કૂચા એ બાઝાર કી તરહ", "બૈયાં ના ધરો બલમા" અને "માઈ રી, મેં કા સે કહૂં" - લતાજીના અવાજમાં ગવાઈને એક અનન્ય ઊંચાઈને સ્પર્શ્યાં છે. પણ આ જ ગીતો પૈકીનું એક ગીત, "માઈ રી..." ખુદ મદન મોહનજી એ પણ ગાયેલું છે.  આ ગીત સાથે જ આ મહાન સંગીતકારને સ્વરાંજલિ અર્પણ કરીએ....


http://www.youtube.com/watch?gl=IN&hl=en&client=mv-google&v=arXE_kcgYLk&fulldescription=1&nomobile=1

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો