કોઈ કાવ્ય વાંચો-સાંભળો અને એના શબ્દો-લાગણી-છંદ-પ્રાસ અપ્રતિમ હોય એટલે અત્યંત ગમી જાય. કોઈક વાર એવું યે થાય કે રચનામાં એવું કઈ ખાસ ન હોય છતાં પણ એ અનહદ ગમી જાય. એનું કારણ એ હોય છે કે એમાં કહેવાયેલી વાત આબેહૂબ આપણા દિલની વાત હોય. જાણે કોઈએ ચેહરા સામે આઈનો ધરી દીધો ન હોય!
મિત્રો, કહો તો જોઈએ કે ડૉ. મુકુલ ચોક્સીની આ રચના ક્યા પ્રકારની છે?!! :P
તારા વિના કશે મન લાગતું નથી,
જીવી શકાય એવું જીવન લાગતું નથી..
પોતીકા થઈ ગયા 'તા આ વૃક્ષો ને ખેતરો
ને આપણા થયા 'તા નદી ને સરવરો,
એમાનું કોઈ પણ સ્વજન લાગતું નથી,
તારા વિના કશે મન લાગતું નથી..
અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું,
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું,
ખુદનું વતન હવે વતન લાગતું નથી,
તારા વિના કશે મન લાગતું નથી..
સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને,
બસ આવતા જનમ મહીં મળવાની રાહ જોઇએ,
આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી,
તારા વિના કશે મન લાગતું નથી..
~મુકુલ ચોકસી~
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો