ઑક્ટોબર 26, 2017

'રીલ' લાઈફથી 'રીઅલ' લાઈફ....


પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ
સૂરમયી ઉજાલા હૈ, ચંપઈ અંધેરા હૈ...

નિતાંત કાવ્યતત્વથી ભરપૂર એવી સાહિર લુધિયાનવીની આ રચનાને સંગીતકાર ખય્યામસાહેબે અત્યંત મધુર તર્જમાં ઢાળીને રફીસાહેબ અને સુમન કલ્યાણપુરના અવાજમાં પ્રણયના નાજુક નિવેદનની અવિસ્મરણીય મિસાલ રજૂ કરી છે.

ફિલ્મ 'શગુન'નું આ ગીત પરદા પર જે કલાકાર યુગલ પર ફિલ્માવાયેલું હતું તેમાં અભિનેત્રી વહીદા રહેમાનને તો કદાચ આજની પેઢીના લબરમૂછિયા જવાનો પણ ઓળખી લે. પરંતુ પુરુષ કલાકારનું નામ પૂછો તો જુના જોગીઓ પણ માથું ખંજવાળવા માંડે!!  'કમલજિત સિંઘ' નામથી પોતે જ પ્રોડયુસ કરેલી આ ફિલ્મમાં વહીદા રહેમાન સાથે મુખ્ય ભૂમિકા ભજવતા આ પંજાબી કલાકારનું સાચું નામ શશી રેખી. 1964માં બનેલી ફિલ્મ 'શગુન' અગાઉ રેખીએ સન ઓફ ઈન્ડિયા(1962),  મિ. ઇન્ડિયા(1961) અને કિતના બદલ ગયા ઇન્સાન(1957) જેવી ફિલ્મોમાં નાનીનાની ભૂમિકાઓ ભજવેલી.

હીરો તરીકે ભારતીય સૌંદર્યની મૂર્તિમંત પ્રતિમા સમા વહીદા રહેમાન સાથે કામ કરવાનો શશીનો આ પહેલવહેલો અનુભવ! શાંત પ્રકૃતિના વહીદાજી બોલે પણ ખૂબ ઓછું. તો કમલજિત પણ પ્રકૃતિએ સાવ શરમાળ. પણ એક દિવસ અચાનક કમલજિતે વહીદાજીને દરખાસ્ત  કરી કે આપણે આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છીએ. તો આપ કાંઈક વાતચીત કરો, થોડી ઓળખાણ વધારો તો ફિલ્મના દ્રશ્યો ભજવવામાં સરળતા રહે! આ વાતે જરા ઓઝપાઈ જઈને વહીદાજીએ ત્યારે તો માત્ર એટલું જ કહીને વાત વાળી લીધી કે આપ નિર્માતા છો ને આપ જ હીરો. આપ જ વાત કરોને, હું શું વાત કરું?

ખેર, ફિલ્મ તો બનીને રજૂ યે થઈ ગઈ અને ખાસ કાંઈ ચાલી નહીં. હા, ફિલ્મના બધા જ ગીતો ખૂબ વખણાયા. સિને જગતની ઝાકમઝોળ કમલજિતને માફક ન આવી અને તેમણે વ્યવસાય અર્થે કેનેડા ભણી પ્રયાણ કર્યું.

એ વાતને ખાસ્સો સમય વીત્યો. એક દિવસ નિર્માતા યશ જૉહરે વહીદાજીને ફોન કર્યો અને પોતે મળવા આવવા માંગે છે તેમ જણાવીને ઉમેર્યું કે તેમના એક મહેમાન પણ સાથે આવશે. બીજે દિવસે નિયત સમયે યશજી જોડે પોતાને ઘરે આવેલા એ મહેમાન તરીકે કમલજિતને  વહીદાજીએ સાનંદાશ્ચર્ય આવકાર આપ્યો. વાતવાતમાં યશજીએ જણાવ્યું કે રેખી કેનેડામાં ગારમેન્ટનો વ્યવસાય કરે છે અને હવે પેરિસમાં એક પંજાબી રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે. જેના માટે રોકાણ કરી શકે એવા કોઈ ભાગીદારની શોધમાં છે..... બસ આમ જ વાતો ચાલતી રહી.

ત્યારબાદ રેખી કેનેડા પરત ફરીને પોતાના કારોબારમાં વ્યસ્ત થઈ ગયા. વહીદાજી પણ ફિલ્મોમાં પ્રવૃત થઈ ગયા. એક વરસ જેટલો સમય વીતી ગયા બાદ ફરી એક દિવસ અચાનક જ વહીદાજીને ત્યાં રેખીની 'એન્ટ્રી' થઈ. શરીરે થોડા સ્થૂળ થઈ ગયેલા રેખીને જોઈને વહીદાજી એ લાગલું જ પૂછી લીધું કે 'લગ્ન કર્યાં કે શું?' મને તો એવું લાગે છે કે તમારી પંજાબી પત્નીએ ખવરાવી ખવરાવીને તમને જાડા કરી દીધા છે! આ વાતે શરમાઈને રેખીએ ઇન્કાર કર્યો. દસેક દિવસ પછી રેખીએ વહીદાજીને ફોન કરીને, "મારે આપનુ થોડું જરૂરી કામ છે,"  એમ કહીને કૉફીહાઉસ મળવા માટે બોલાવ્યા.

ફોન મૂકતા જ વહીદાજીના દિમાગમાં વિચારોની ઉથલપાથલ શરૂ થઈ ગઈ. 'આને રેસ્ટોરન્ટ ખોલવા માટે પૈસાની જરૂર હોવી જોઈએ. એટલા માટે જ મને મળવા બોલાવી હશે! હું કયાંક ફસાઈ જઈશ તો? ના ના, એ પૈસા માંગે તો હું ચોખ્ખી ના કહી દઈશ કે મારી પાસે જરા પણ પૈસા નથી ને મારે ઇન્કમટેક્સ પણ ભરવાનો છે!'
આવા વિચારોમાં કૉફીહાઉસ પહોંચેલા વહીદાજીને અદબભેર આવકારીને ટેબલની  સામસામે ગોઠવાઈને રેખીએ મૃદુ અવાજે  કહયું,

"વહીદા"

"જી"

સહેજ નજર ઊંચી કરીને હોઠ ફફડાવીને વહીદાજીએ જવાબ આપ્યો.

"વિલ યુ મેરી મી?"

ધડકતા હ્રદયે વહીદાજીની આંખોમાં આંખો પરોવીને રેખીએ સીધું જ પૂછયું.

અને વહીદાજીએ શું જવાબ આપ્યો, જાણો છો?


"નો નો... આઈ કાન્ટ ડુ ધીસ. આઈ હેવ નો મની. મારે ઇન્કમટેક્સ પણ ભરવાનો છે. આઈ એમ સોરી. મને માફ કરો!"

વહીદાજીને શાંત પાડીને કમલજિત ઉર્ફે રેખીએ ફરી પોતાની  વાત દોહરાવી. આ પ્રસ્તાવથી અસમંજસમાં પડી ગયેલા વહીદાજીએ વિચાર કરવા માટે થોડો સમય આપવા કહયું. સાલસ રેખીએ એ વાત માન્ય રાખી અને એ મુલાકાત એમ જ પૂરી થઈ  પરંતુ બીજે જ દિવસે સવાર સવારમાં યશ જૉહરને ત્યાંથી વહીદાજી પર ફોન આવ્યો. યશજીએ ચિંતાતુર અવાજે કહયું કે "તે(વહીદાએ) આ રેખીને કહયું છે શું? હું નવમા માળે રહું છું અને  રેખીએ આખી રાત ટેરેસમાં આંટાફેરા કરીને વિતાવી છે. કાંઈક અણધાર્યુ બની જશે તો હું શું જવાબ આપવાનો?

વહીદાજીએ પોતાના મનમાં ચાલતી અવઢવ વિશે યશજીને વાત કરી અને તેમની સલાહ મુજબ રેખીનો પ્રસ્તાવ સ્વીકારી લઈને રેખી સાથે પ્રભુતામાં પગલાં માંડયા.
આમ, એક 'રીલ લાઈફ' જોડી, હંમેશને માટે 'રીઅલ લાઈફ' જોડીમાં બદલાઈ ગઈ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો