ઑક્ટોબર 28, 2017

હિન્દી ગીતોના રંગ અફઘાની ગાયિકાને સંગ...


થોડા સમય પહેલા ફેસબુક પર એક સખીની પોસ્ટ પર, કોઈ મિત્રની કોમેન્ટમાં એક નવું જ નામ વાંચ્યું.... 'નોઝીયા કરોમાતુલ્લો'. સમય મળતાં ગુગલદેવને પ્રશ્ન કર્યો કે આ નોઝીયા કરોમાતુલ્લો છે કોણ... તો જાણ્યું કે અફઘાનિસ્તાનની ઉત્તરે આવેલ દેશ તજીકીસ્તાનની આ પ્રસિદ્ધ  ગાયિકા  છે.  ઉંમર ફક્ત ૨૮ વર્ષ. વધુ ફંફોસતા યુટ્યુબ પર એના અગણિત વિડિયો જોવા મળ્યા.પર્શિયન છાંટવાળું આધુનિક ઢબનું સંગીત અને ગાયકી સાંભળતા જ ગમે એવા છે. પણ અહો આશ્ચર્યમ- નોઝીયા તેના કાર્યક્રમોમાં હિન્દી  ફિલ્મી ગીતો પણ ગાતી જોવા મળે છે! બીજે તો ઠીક પરંતુ તજીકીસ્તાનના રાષ્ટ્રીય દિવસના જાહેર કાર્યક્રમમાં પણ 'જબ તક હૈ જાં....' જેવા ગીતો ગાતી જોવા મળે છે. એક વિડીયો કે જેમાં રશિયન પ્રેસિડેન્ટ પુતિન અને ચીનના પ્રેસિડેન્ટ શી જીનપીંગ જેવા મહાનુભાવો શ્રોતાગણમાં બેઠા છે ત્યાં નોઝીયા 'સલામ-એ-ઇશ્ક મેરી જાં....' પોતાની સાથી નર્તકીઓ સાથે રજુ કરતી હોય તો ક્યા ભારતીયનું દિલ દેશપ્રેમથી ન ઉભરાય? દિલ્હીની સંગીત અકાદમીમાંથી ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવનાર નોઝીયા, કથ્થક નૃત્યશૈલીમાં પણ પારંગત છે.

મારા દેશની સંસ્કૃતિને વિશ્વફલક પર પ્રોત્સાહિત કરવા બદલ પરદેશી ભગિનીને તહ-એ-દિલથી શુક્રિયા!

નોઝીયાની આકર્ષક પ્રસ્તુતિ અહીં માણો! 

ઑક્ટોબર 26, 2017

'રીલ' લાઈફથી 'રીઅલ' લાઈફ....


પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ
સૂરમયી ઉજાલા હૈ, ચંપઈ અંધેરા હૈ...

નિતાંત કાવ્યતત્વથી ભરપૂર એવી સાહિર લુધિયાનવીની આ રચનાને સંગીતકાર ખય્યામસાહેબે અત્યંત મધુર તર્જમાં ઢાળીને રફીસાહેબ અને સુમન કલ્યાણપુરના અવાજમાં પ્રણયના નાજુક નિવેદનની અવિસ્મરણીય મિસાલ રજૂ કરી છે.

ફિલ્મ 'શગુન'નું આ ગીત પરદા પર જે કલાકાર યુગલ પર ફિલ્માવાયેલું હતું તેમાં અભિનેત્રી વહીદા રહેમાનને તો કદાચ આજની પેઢીના લબરમૂછિયા જવાનો પણ ઓળખી લે. પરંતુ પુરુષ કલાકારનું નામ પૂછો તો જુના જોગીઓ પણ માથું ખંજવાળવા માંડે!!  'કમલજિત સિંઘ' નામથી પોતે જ પ્રોડયુસ કરેલી આ ફિલ્મમાં વહીદા રહેમાન સાથે મુખ્ય ભૂમિકા ભજવતા આ પંજાબી કલાકારનું સાચું નામ શશી રેખી. 1964માં બનેલી ફિલ્મ 'શગુન' અગાઉ રેખીએ સન ઓફ ઈન્ડિયા(1962),  મિ. ઇન્ડિયા(1961) અને કિતના બદલ ગયા ઇન્સાન(1957) જેવી ફિલ્મોમાં નાનીનાની ભૂમિકાઓ ભજવેલી.

હીરો તરીકે ભારતીય સૌંદર્યની મૂર્તિમંત પ્રતિમા સમા વહીદા રહેમાન સાથે કામ કરવાનો શશીનો આ પહેલવહેલો અનુભવ! શાંત પ્રકૃતિના વહીદાજી બોલે પણ ખૂબ ઓછું. તો કમલજિત પણ પ્રકૃતિએ સાવ શરમાળ. પણ એક દિવસ અચાનક કમલજિતે વહીદાજીને દરખાસ્ત  કરી કે આપણે આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છીએ. તો આપ કાંઈક વાતચીત કરો, થોડી ઓળખાણ વધારો તો ફિલ્મના દ્રશ્યો ભજવવામાં સરળતા રહે! આ વાતે જરા ઓઝપાઈ જઈને વહીદાજીએ ત્યારે તો માત્ર એટલું જ કહીને વાત વાળી લીધી કે આપ નિર્માતા છો ને આપ જ હીરો. આપ જ વાત કરોને, હું શું વાત કરું?

ખેર, ફિલ્મ તો બનીને રજૂ યે થઈ ગઈ અને ખાસ કાંઈ ચાલી નહીં. હા, ફિલ્મના બધા જ ગીતો ખૂબ વખણાયા. સિને જગતની ઝાકમઝોળ કમલજિતને માફક ન આવી અને તેમણે વ્યવસાય અર્થે કેનેડા ભણી પ્રયાણ કર્યું.

એ વાતને ખાસ્સો સમય વીત્યો. એક દિવસ નિર્માતા યશ જૉહરે વહીદાજીને ફોન કર્યો અને પોતે મળવા આવવા માંગે છે તેમ જણાવીને ઉમેર્યું કે તેમના એક મહેમાન પણ સાથે આવશે. બીજે દિવસે નિયત સમયે યશજી જોડે પોતાને ઘરે આવેલા એ મહેમાન તરીકે કમલજિતને  વહીદાજીએ સાનંદાશ્ચર્ય આવકાર આપ્યો. વાતવાતમાં યશજીએ જણાવ્યું કે રેખી કેનેડામાં ગારમેન્ટનો વ્યવસાય કરે છે અને હવે પેરિસમાં એક પંજાબી રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે. જેના માટે રોકાણ કરી શકે એવા કોઈ ભાગીદારની શોધમાં છે..... બસ આમ જ વાતો ચાલતી રહી.

ત્યારબાદ રેખી કેનેડા પરત ફરીને પોતાના કારોબારમાં વ્યસ્ત થઈ ગયા. વહીદાજી પણ ફિલ્મોમાં પ્રવૃત થઈ ગયા. એક વરસ જેટલો સમય વીતી ગયા બાદ ફરી એક દિવસ અચાનક જ વહીદાજીને ત્યાં રેખીની 'એન્ટ્રી' થઈ. શરીરે થોડા સ્થૂળ થઈ ગયેલા રેખીને જોઈને વહીદાજી એ લાગલું જ પૂછી લીધું કે 'લગ્ન કર્યાં કે શું?' મને તો એવું લાગે છે કે તમારી પંજાબી પત્નીએ ખવરાવી ખવરાવીને તમને જાડા કરી દીધા છે! આ વાતે શરમાઈને રેખીએ ઇન્કાર કર્યો. દસેક દિવસ પછી રેખીએ વહીદાજીને ફોન કરીને, "મારે આપનુ થોડું જરૂરી કામ છે,"  એમ કહીને કૉફીહાઉસ મળવા માટે બોલાવ્યા.

ફોન મૂકતા જ વહીદાજીના દિમાગમાં વિચારોની ઉથલપાથલ શરૂ થઈ ગઈ. 'આને રેસ્ટોરન્ટ ખોલવા માટે પૈસાની જરૂર હોવી જોઈએ. એટલા માટે જ મને મળવા બોલાવી હશે! હું કયાંક ફસાઈ જઈશ તો? ના ના, એ પૈસા માંગે તો હું ચોખ્ખી ના કહી દઈશ કે મારી પાસે જરા પણ પૈસા નથી ને મારે ઇન્કમટેક્સ પણ ભરવાનો છે!'
આવા વિચારોમાં કૉફીહાઉસ પહોંચેલા વહીદાજીને અદબભેર આવકારીને ટેબલની  સામસામે ગોઠવાઈને રેખીએ મૃદુ અવાજે  કહયું,

"વહીદા"

"જી"

સહેજ નજર ઊંચી કરીને હોઠ ફફડાવીને વહીદાજીએ જવાબ આપ્યો.

"વિલ યુ મેરી મી?"

ધડકતા હ્રદયે વહીદાજીની આંખોમાં આંખો પરોવીને રેખીએ સીધું જ પૂછયું.

અને વહીદાજીએ શું જવાબ આપ્યો, જાણો છો?


"નો નો... આઈ કાન્ટ ડુ ધીસ. આઈ હેવ નો મની. મારે ઇન્કમટેક્સ પણ ભરવાનો છે. આઈ એમ સોરી. મને માફ કરો!"

વહીદાજીને શાંત પાડીને કમલજિત ઉર્ફે રેખીએ ફરી પોતાની  વાત દોહરાવી. આ પ્રસ્તાવથી અસમંજસમાં પડી ગયેલા વહીદાજીએ વિચાર કરવા માટે થોડો સમય આપવા કહયું. સાલસ રેખીએ એ વાત માન્ય રાખી અને એ મુલાકાત એમ જ પૂરી થઈ  પરંતુ બીજે જ દિવસે સવાર સવારમાં યશ જૉહરને ત્યાંથી વહીદાજી પર ફોન આવ્યો. યશજીએ ચિંતાતુર અવાજે કહયું કે "તે(વહીદાએ) આ રેખીને કહયું છે શું? હું નવમા માળે રહું છું અને  રેખીએ આખી રાત ટેરેસમાં આંટાફેરા કરીને વિતાવી છે. કાંઈક અણધાર્યુ બની જશે તો હું શું જવાબ આપવાનો?

વહીદાજીએ પોતાના મનમાં ચાલતી અવઢવ વિશે યશજીને વાત કરી અને તેમની સલાહ મુજબ રેખીનો પ્રસ્તાવ સ્વીકારી લઈને રેખી સાથે પ્રભુતામાં પગલાં માંડયા.
આમ, એક 'રીલ લાઈફ' જોડી, હંમેશને માટે 'રીઅલ લાઈફ' જોડીમાં બદલાઈ ગઈ!

ઑક્ટોબર 11, 2017

સહચરી....




ડેલીની સાંકળ ખખડવાનો અવાજ આવતા જ ઓસરીના પગથીયે, થાંભલીને અઢેલીને બેઠેલી સરોજ સફાળી ઊભી થઈ ગઈ.

"આવી ગયા?" ડેલીથી ઓસરીના પગથિયાં સુધી ઊભા પટ્ટે પાથરેલા પથ્થરની પગથાર પર અર્ધે લગી આવી જઈને, માથા પર ઓઢેલો સાડીનો છેડો સરખો કરતા એણે પૂછયું. ડેલીએથી આવતા પગલાંનો અવાજ પારખીને, ફળિયાની એક કોરે ક્યારીઓ કરીને વાવેલી જામફળી ને લીંબુડીના છાંયે જમીન પર દોડાદોડી કરતી બે ખિસકોલીઓ દોડતી થડ પર ચડીને ડાળીએ ડાળીએ કૂદતી, વંડીની પાળી પર સરકતી પેલી તરફ અદ્રશ્ય થઈ ગઈ!

બે પગથિયાં ચડીને ઓસરીમાં આવતા ય હાંફ ચડયો હોય એમ ટોપી ઉતારીને ઓસરીના પગથિયે ધબ્બ દઈને બેસી પડતા અનુમાસ્તરે ટોપી પડખે મૂકીને હાથમાં પકડેલી લાકડી પર બંને હાથ મૂકીને માથું ટેકવી દીધું.

"બહુ થાકી ગયા આજે? આજકાલના છોકરાઓ ય ભારે  ખેપાની થઈ ગયા છે. કોઈ કહેતા કોઈને ગાંઠે એવા નથી. મગજ ફેરવી નાખે ઘડીકમાં શોરબકોર કરી મૂકીને.... બળી આ નોકરી.... મૂકો ને  આવી નોકરીને. જિંદગી આખી આમાં ને આમાં ગઈ. હવે ઘરડે ઘડપણ તો શાંતિ લ્યો..." સરોજની વાક્ ધારા હંમેશની માફક  અવિરત વહેતી રહી.

 માસ્તરે ઓસરીની કોરે ભીંતમાં જડેલા  પાણીયારે જઈને પિત્તળનો કળશો ઉપાડીને માટલામાં નાખ્યો. મોઢે ઠંડા પાણીની છાલક મારીને બે ચાર કોગળા કરીને વધેલું પાણી બંને પગ પર વારાફરતી ઢોળી દઈને ફરી લોટો ભર્યો. અધૂકડા અટકાવેલા રસોડાના બારણાને હળવેકથી ધક્કો મારીને રસોડામાં દાખલ થતા એમની નજર રસોડાના એક ખૂણે બાઝેલા કરોળિયાના જાળાં તરફ ગઈ. "આ કુશલી હમણા ઝટ ઝટ જેમતેમ બધું સાફ કરીને ભાગે છે. મારું તો સાંભળતી નથી. તમે બે'ક શબ્દ કહેતા હો તો! પગાર તો પૂરો લે છે ને રજા તો પાર વગરની પાડે છે! તો ય તમને એનું જ કામ ગમે છે! ગામમાં બીજી કોઈ કામવાળી જ નથી મળતી કે શું?..." સરોજે ઉકળાટ ઠલવી નાખ્યો.

રસોડામાં એક ખૂણે ઢાળેલા પાટલા પર ઢાંકેલી થાળી સામે ગોઠવાયેલા માસ્તરના હાથ પળ બે પળ માટે જોડાઈ ગયા. પડખે આવીને ચૂપચાપ બેસી ગયેલી સરોજ, બંધ આંખે મૂક પ્રાર્થના કરી રહેલા પતિને નીરખી રહી.

થાળીમાંથી ચૂરમાના બે લાડુ કાઢીને પાટલા પર મૂકી દઈને માસ્તરે જમવા માંડ્યુ. "અર્ધોક લાડવો તો લ્યો! તમને ક્યાં ડાયાબિટીશ છે? ને રોજેરોજ ક્યાં મિઠાઈ ખાવાનો વારો આવે છે? આ તો બાજુવાળાની દીકરીને મહેમાન જોવા આવેલા તે સગપણ નક્કી થઈ ગયું એટલે વેવાઈના ઘરનાને જમાડીને જ મોકલ્યા. એનું પીરસણું આવ્યું છે. છોકરો ભારે દેખાવડો છે હો! હસે તો ગાલમાં ખંજન પડે! ને પાછો એન્જિનિયર થયેલો છે. શહેરમાં મોટા પગારની નોકરી કરે છે. પણ અભિમાન જરાય નહીં હો. મોઢા ઉપરથી જ ખબર પડી જાય કે કેટલો સંસ્કારી છોકરો છે......"

સરોજની અવિરત વહેતી વાક્ધારા સાથે અનુમાસ્તરનું જમવાનું ચાલતું રહ્યું.  ભોજન પૂરું કરીને હાથ ધોઈને થાળી બહાર ચોકડીમાં મૂકી અનુમાસ્તરે ફરી રસોડામાં જઈને લાડવા ખાલી ડબ્બામાં મૂકીને ઓસરીમાં આવીને એક કોરે ઢાળેલી પાટ પર લંબાવ્યું. "અંદરના ઓરડે પંખો ચાલુ કરીને આરામથી સૂતા હો તો... અહીં ઓસરીમાં ગરમીમાં પડ્યા રહો છો એના કરતા.... પણ તમે ક્યાં કોઈ દિવસ મારી વાત સાંભળો છો? મને ય રહેવાતું નથી તમારી જોડે વાત કર્યા વિના...." માસ્તરના પગ પાસે બેઠેલી સરોજ, રિસાઈ હોય એમ મોં ફેરવી ગઈ.

બરાબર એ જ સમયે, દીવાલ પર લટકતા, સુખડનો હાર ચડાવેલા ફોટામાં હસતો સરોજનો ચહેરો જોઈને માસ્તરની આંખના છેડેથી આંસુનું એક ટીપું ચૂપચાપ સરકી ગયું!

ઑક્ટોબર 10, 2017

बिछड़े सभी बारी बारी...


इक हाथ से देती हैं दुनियाँ... सौ हाथों से ले लेती हैं...
ये खेल है कब से जारी... बिछड़े सभी बारी बारी...

વાત છે 1954-55 આસપાસની. મહેબૂબ સ્ટુડીઓમાં લગાડેલા એક સેટ પર પહેલી સીનેમાસ્કોપ હિન્દી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.  ફિલ્મના એક દૃશ્ય  માટે કેટલાક 'એક્સ્ટ્રા' તરીકે કામ કરે તેવા માણસોની જરૂરિયાત હતી. ફિલ્મના યુવાન દિગ્દર્શક સામે ઉભેલા ગુમનામ ચહેરાઓને ઝીણવટભરી નજરે  નીરખીને પોતાની ફિલ્મના પાત્રને અનુરૂપ વરણી કરતા હતા એ દરમિયાન,  આધેડ ઉંમરનો એક ચહેરો નજરો નીચી ઢાળીને કંઇક ક્ષોભપૂર્વક પોતાને કમ સે કમ એક દિવસની રોજીરોટી મળી જાય એ આશાએ ઉભો હતો. દિગ્દર્શક જ્યારે એ ચહેરાની સામે આવીને ઊભા ત્યારે શરમ અને સંકોચથી સાવ ઓઝપાઈ ગયેલા એ કરચલીયાળા ચહેરાની ઊંડી ઉતરી ગયેલી નિસ્તેજ આંખોમાંથી ટપકી રહેલી વેદનાની પેલે પારથી ડોકાઈ રહેલી એ માણસની ઓળખની સાવ ધૂંધળી છબી ક્ષણવારમાં જ એ દિગ્દર્શકના માનસપટ પર સ્પષ્ટપણે ઉભરી ગઈ! સેટ પર, તમામ લોકોની હાજરીમાં જ એ આધેડ વ્યક્તિના ચરણ સ્પર્શ કરી લઈને એ દિગ્દર્શકે અત્યંત માનપૂર્વક એ ગુમનામ વ્યક્તિને પોતાની એટલે કે દિગ્દર્શકની ખુરશી પર બેસાડ્યા.

આવું સન્માન મેળવીને ઓર છોભાઈ ગયેલા એ કલાકારને જ્યારે એ દિગ્દર્શકે કહ્યું કે તેણે હવેથી રોજ આ ફિલ્મના સેટ પર આવીને આમ જ આ ખુરશી પર બેસવાનું છે, ત્યારે લાગણીથી ગળગળા થઈ ગયેલા એ કલાકાર ના દિલોદિમાગ પર, 'પછી શું?' એવો ભારેભરખમ પ્રશ્ન તોળાઈ રહ્યો. પળવારમાં જ એના આ માનોભાવોને પામી જઈને દિગ્દર્શકે ચોખવટ કરતા કહ્યું કે 'આપે રોજ આ સેટ પર આવવાનું છે ને આ ખુરશી પર બેસવાનું છે. આ જ આપનું કામ છે અને આ કામ માટે જ આપને વેતન પણ ચૂકવવામાં આવશે!

ગુરુ દત્ત જેવી મહાન હસ્તીએ જેને આવું બહુમાન આપ્યું એ વ્યક્તિ એટલે હિન્દી ફિલ્મ જગતના સૌપ્રથમ 'સુપરસ્ટાર' જેને કહી શકાય એવા માસ્ટર નિસાર! ભલા કોણ માનશે કે એક સમયે અસ્ખલિત ઉર્દૂ જબાન અને હલકદાર સૂરીલો કંઠ ધરાવતા, બેહદ સોહામણા એવા માસ્ટર નિસાર, બોલતી ફિલ્મોના એક યુગપ્રવર્તક કલાકાર હતા! એ સમયે એમની લોકપ્રિયતાનો જુવાળ એટલો પ્રબળ હતો કે સ્ટુડીઓની બહાર એમની એક ઝલક જોવા લોકોના ટોળેટોળાં ઊમટતા! પૃથ્વીરાજ કપૂર, ઇ. બીલીમોરિયા, પ્રેમ નઝીર જેવા એ સમયના ખ્યાતનામ કલાકારો સાથે માસ્ટર નિસારનું નામ પણ અદબપૂર્વક લેવાતું. પણ કહેવાય છે ને કે સફળતાની ટોચે પહોંચ્યા પછી નીચે તો ઉતરવું જ પડે છે. પ્રારંભિક અસફળતા બાદ ધોધમાર સફળતાને પોતાની પાછળ પાછળ ખેંચી લાવેલું કુન્દનલાલ સાયગલ નામનું વિરાટ મોજું આવ્યું અને સફળતાની ટોચે બેઠેલા માસ્ટર નિસારને ગુમનામી અને પાયમલીના અંધકારમાં ગરક કરી ગયું. છૂટી છવાયી બે ચાર ફિલ્મોમાં એક્સ્ટ્રા કલાકાર તરીકે કામ મળ્યું પણ એ ય કેવું! પડદા પર ચહેરો દેખાય, ઓળખાય એ પહેલાં જ કેમેરો ફરી ગયો હોય! ભીંડીબજારની કોઈ ગુમનામ ખોલીમાં રહીને, હાજી અલી પર ભીખ માંગીને ગુજરાન ચલાવતા માસ્ટર નસીરે અત્યંત દયનિય હાલતમાં જીવનયાત્રા સમાપ્ત કરીને એક દિવસ ચૂપચાપ આ ફાની દુનિયા છોડી દીધી.

ઑક્ટોબર 07, 2017

"યે તેરી સાદગી.... યે તેરા બાંક્પન....."



આજથી આશરે સાઠ વર્ષ પહેલાની આ વાત. ગીતકાર ઇન્દીવર સતર વર્ષની યૌવનાને લઈને નિર્માતા શશધર મુખર્જીને મળ્યા. પાર્શ્વ ગાયિકા બનવાના સ્વપ્ના જોતી ઉષા નામની એ યૌવનાનું ગાયન સાંભળીને શશધર મુખર્જીએ તેના ઉત્સાહ પર એમ કહીને ઠંડુ પાણી રેડી દીધું કે શું તેણી લતા કે આશા કરતા પણ વધુ સારું ગાય છે? ઉષાના મોંએ આ પ્રશ્નના જવાબમાં  "ના" સાંભળીને મુખર્જીબાબુએ આગળ કશું કહેવાનું રહેતું ન હતું. પણ ઇન્દીવરે જ્યારે તેમને જણાવ્યું કે  તેણી સરસ સ્વરાંકન પણ કરી જાણે છે. હમણાં જ તેમણે જે ગીત સાંભળ્યું તેનું સ્વરાંકન તેણીએ જાતે જ તૈયાર કર્યું છે, ત્યારે આશ્ચર્યચકિત થઇ ગયેલા મુખર્જી બાબુ એ વાત માનવાને તૈયાર ન હતા! પોતાના પિતાની લખેલી રચનાને મધુર હલકે ગાઈ રહેલી ઉષાના ગાયનમાં ઓ. પી. નૈયરનાં સંગીતની  આછેરી ઝલક મુખર્જીબાબુને  દેખાઈ રહી હતી. તત્કાળ એક ઓર ગીતનું મુખડું ઉષાને આપવામાં આવ્યું અને તેની ધૂન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું! એ તાજી ધૂન સાંભળીને મુખર્જીબાબુનાં મુખમાંથી વાહ નીકળી ગઈ!

"તારે તો સંગીતકાર બનવું જોઈએ!!"

ઘડીકવાર પહેલા જ ગાયિકા તરીકે નકારેલી ઉષાને સંગીતકાર બનવા માટે ફિલ્મ જગતના દિગ્ગજ નિર્માતા કહી રહ્યા હતા! જો કે, શશધર મુખર્જી માત્ર ઇજન આપીને  બેસી ન રહ્યા. તેમણે રોજ ઉષાને બે ગીત સ્વરબદ્ધ કરીને લાવવાનું કહ્યું. લગાતાર એક વર્ષ સુધી ઉષાએ સ્વરબદ્ધ કરેલા ગીતોની ધૂન શશધર મુખર્જી સાંભળતા રહ્યા અને તેમને ગમતી ધૂનો અલગથી સાચવીને રાખતા ગયા. અને આખરે એ દિવસ પણ આવ્યો કે જયારે હિન્દી ફિલ્મ સંગીતના ઇતિહાસમાં પુરષ સંગીતકારોના દબદબા વચ્ચે માત્ર અઢાર વર્ષની સંગીતકાર યુવતીએ પહેલી જ ફિલ્મથી તરખાટ મચાવી દીધો! કોઈક કારણોસર ઓ. પી. નૈયર માટે મુખર્જીબાબુની ફિલ્મનું સંગીત નિર્દેશન શક્ય ન હતું તો એક વર્ષથી લગાતાર જેની પરીક્ષા લેવાઈ રહી હતી તે ઉષાને પોતાની આગામી ફિલ્મના સંગીત માટે કરારબદ્ધ કરીને શશધર મુખર્જીએ ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા સૌકોઈને જબરદસ્ત આંચકો આપ્યો. ૧૯૫૯માં રજૂ થયેલી આ ફિલ્મ 'દિલ દે કે દેખો'ના સંગીત દ્વારા હિન્દી ફિલ્મ જગતની સૌથી યુવાન વયની મહિલા સંગીતકાર તરીકેનું બહુમાન મેળવનાર ઉષા ખન્નાના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે.

૭ ઓક્ટોબર ૧૯૪૧ના રોજ ગ્વાલિયરમાં જન્મેલા ઉષા ખન્નાએ સંગીતની કોઈ વિધિવત તાલીમ લીધી ન હોવા છતાં રાગ, સૂર અને તાલની સમજ તેમનામાં નૈસર્ગિક રીતે જ હતી. જો કે, ગ્વાલિયર સ્ટેટમાં ફરજ બજાવતા સંગીત વિશારદ પિતા મનોહર ખન્નાના  સંગીત અને શાયરી પ્રત્યેના અનન્ય  લગાવને કારણે ઘરમાં ગીતસંગીતનો માહોલ હંમેશા રહેતો. ૧૯૪૬માં કોઈ મુશાયરામાં મનોહર ખન્નાની શાયરી સાંભળીને પ્રભાવિત થયેલા સંગીતકાર જદ્દનબાઈએ તેમને ફિલ્મો માટે ગીત-ગઝલ લખવાની દરખાસ્ત કરી. ફિલ્મ 'રોમિયો જુલિયેટ' માટે 'જાવેદ અનવર'ના ઉપનામથી ત્રણ ગઝલ લખવા માટે મનોહર ખન્નાને એ જમાનામાં માતબર કહેવાય એવી ૮૦૦ રૂપિયાની રકમ ચૂકવાઈ. ગ્વાલિયર સ્ટેટમાં એ સમયે મહીને ૨૫૦ રુ. નો પગાર મેળવતા ખન્નાજીએ સપરિવાર મુંબઈની વાટ પકડી.  જાવેદ અનવર, કે. મનોહર, એમ. કે. જાવેદ જેવા ઉપનામોથી તેમણે ઘણી ફિલ્મોના ગીતો લખ્યા. જો કે, આ રીતે તેઓ ખાસ 'લાઈમ લાઈટ'માં આવ્યા નહીં. પરંતુ અવારનવાર તેમના ઘરે આવતા જતા રહેતા  ગીતકાર મિત્ર ઇન્દીવરની ચકોર નજરે, પિતાની રચનાઓને જાતે જ સ્વરબદ્ધ કરીને ગાતી રહેતી તો ક્યારેક ખુદ પણ મુખડા લખીને ગણગણતી રહેતી ઉષાનું કૌશલ્ય પારખી લીધું. તેમણે  દિગ્ગજ ફિલ્મ નિર્માતા શશધર મુખર્જી સમક્ષ ઉષાને રજૂ કરીને ઉષાને માટે સફળતાનાં દ્વાર તરફ જતી કેડી ચીંધી દીધી.

જો કે સફળતાની આ કેડીએ કઈ રીતે આગળ ચાલતા રહેવું એ પણ એક મોટી મથામણ હતી.  'ફિલ્માલય' જેવા મોટા બેનરની ફિલ્મથી ધમાકેદાર શરૂઆત કર્યા પછી આ જ બેનરની 'હમ હિન્દુસ્તાની' ફિલ્મમાં પણ યાદગાર સંગીત આપ્યા છતાં ઉષાને કોઈ સારી ઓફર મળતી ન હતી. આટલી નાની વયે કોઈ સ્ત્રી આટલું મધુર સંગીત સર્જી શકે એ બાબતે ફિલ્મી દિગ્ગજોના મનમાં અવઢવ ચાલતી રહેતી. નૌશાદ, ઓ. પી. નૈયર, એસ. ડી. બર્મન, શંકર જયકીશન જેવા દિગ્ગજ પુરુષ સંગીતકારોના વર્ચસ્વ વચ્ચે આ એકલ મહિલા સંગીતકારને મળેલી તકો બહુ જ ઓછી હતી. પિતાની સલાહ માનીને તેમણે મોટા બેનરની ફિલ્મોમાં તક મળવાની રાહ જોવાને બદલે જે અને જેવી ફિલ્મો મળી તે સ્વીકારી લીધી. તદ્દન બી અને સી ગ્રેડની ફિલ્મોમાં ય તેમણે સંગીત તો એ ગ્રેડની ફિલ્મોને છાજે તેવું જ આપ્યું, એટલું જ નહીં,  મુકેશ, મોહમ્મદ રફી, મન્ના ડે, લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, યેશુદાસ જેવા ટોચના ગાયકો જોડે તેમણે અનેક યાદગાર ગીતો ગવડાવ્યા. એટલું જ નહીં, હેમલતા, અનુપમા દેશપાંડે, શબ્બીર કુમાર, મોહમ્મદ અઝીઝ, પંકજ ઉધાસ, રૂપકુમાર રાઠોડ, સોનું નિગમ જેવી નવી પ્રતિભાઓને તક આપીને ફિલ્મ સંગીતને રળિયાત કર્યું.

દિલ દે કે દેખો, શબનમ, સાજન બીના સુહાગન, દાદા અને સૌતન જેવી સફળ ફિલ્મો અને હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓની કુલ મળીને ૨૫૦ જેટલી ફિલ્મોમાં સંગીતની રસલ્હાણ કરનાર ઉષા ખન્નાએ  દરેકે દરેક સમયના સમકાલીન સંગીતકારોને સમાંતર હરોળમાં રહીને કામ કર્યું. ફિલ્મ નિર્માતા, નિર્દેશક સાવનકુમાર ટાક સાથેના અલ્પજીવી લગ્નજીવનમાં ભંગાણ પડ્યા બાદ પણ તેમના માટે કામ કરવાનું ક્યારેય ન નકાર્યું. દિલ દે કે દેખો(૧૯૫૯) થી શરુ કરીને દિલ પરદેસી હો ગયા(૨૦૦૩) સુધીની સફરમાં તેમણે સફળતાના અનેક પડાવ સર કર્યા. પરંતુ મહિલા સંગીતકાર તરીકે ન તો તેમણે ક્યારેય કોઈ વિવાદનો સામનો કરવાનો વારો આવ્યો કે ન તો અન્ય કોઈ હરીફ મહિલા સંગીતકારનો મુકાબલો કરવાનો મોકો તેમને મળ્યો! તેમ છતાં, આ પ્રતિભાશાળી સંગીતકારની ફિલ્મ જગતમાં જોઈએ તેવી કદર ન થઇ. છેક ૧૯૮૩મ ફિલ્મ સૌતન માટે તેમણે શ્રેષ્ઠ સંગીતકારની શ્રેણીમાં નામાંકન મળ્યું એ જ. પણ એ વાત ઓછી મહત્વની નથી કે સંગીતકાર ઉષા ખન્નાના પ્રદાનની વિસ્તૃત નોંધ લીધા વિના હિન્દી ફિલ્મ જગતનો ઈતિહાસ આલેખવો શક્ય નથી.

*ચલતે ચલતે... ઓ.પી. નૈયરને જ્યારે મુખર્જીબાબુ દ્વારા ઉષા ખન્નાની ઓળખાણ કરાવવામાં આવી ત્યારે પહેલા તો 'દિલ દે કે દેખો'ના ગીતો એક પછી એક સંભળાવવામાં આવ્યા. 'આ ગીતો મેં ક્યારે બનાવ્યા' એવા વિચારે આશ્ચર્યચકિત થઈ ગયેલા ઓ. પી. ને પણ વિશ્વાસ નહોતો આવતો કે એઓ જે ગીતો સાંભળી રહ્યાં છે તે કોઈ અન્ય સંગીતકાર દ્વારા તૈયાર કરાયેલા છે! અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે સામે બેઠેલી દુબળી પાતળી યુવતીની આ કમાલ છે, તો હર્ષાન્વિત થઈને તેમણે ઉષાના માથે હાથ મૂકતા કહ્યું કે આ તો મારી પુત્રી પાઠશાલા છે! નૈયર પાપાજીની ચરણરજ માથે ચડાવીને ઉષાએ પણ તેમના આશીર્વાદ લીધા.

સપ્ટેમ્બર 28, 2017

સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર


સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર. આજે એમના જન્મદિવસે, એમના વિશે વાત કરતા ખૂબ જ ભાવુક થઈ જવાય છે. કારણ, આજે જેમની વાત કરવી છે એ ગાયિકા લતા મંગેશકરની વાત નથી. એ છે એક દીકરી લતા મંગેશકરની વાત.

લતા એટલે પિતા દીનાનાથ મંગેશકરનું ઈશ્વરીય વરદાન સમું સંતાન. દીનાનાથજીનો પણ શું જમાનો હતો! ૧૯૩૦ની આસપાસ, મરાઠી રંગભૂમિના બેતાજ બાદશાહ ગણાતા દીનાનાથજીની માસિક આવક હતી રૂ. ૧૬, ૦૦૦. તે સિવાય બીજા રોકડ પુરસ્કાર, ભેટ-સોગાદ, ઈનામ-અકરામ તો જુદા. તેઓ કહેતા કે 'આ જ રીતે ઉપરવાળાની મહેરબાની રહી તો એક દિવસ આખું ગોવા ખરીદી લઈશ!'

પણ ભાવિના ગર્ભમાં શું છૂપાયું છે એ કોને ખબર છે? ગાયક દીનાનાથ મંગેશકર અને એમની નાટક મંડળી આખાયે મહારાષ્ટ્રમાં ધૂમ મચાવી રહી હતી. એક પછી એક સફળતા એમના કદમ ચૂમી રહી હતી, ત્યારે દીનાનાથજીને નાટક મંડળી છોડીને ફિલ્મ બનાવવાનું મન થયું. અને એમાં એમને ઉપરાછાપરી નિષ્ફળતાઓ સાંપડી... આ આઘાત તેઓ સહન ન કરી શક્યાં અને માત્ર ૪૨ વર્ષની અલ્પ આયુમાં તેમનું નિધન થઈ ગયું.

આ સમયે, માત્ર ૧૩ વર્ષની ઉમરે લતાજીને રેડિયો પર કામ મળવાનું શરૂ થઈ ગયેલું. મૃત્યુશૈયા પર પડેલા દીનાનાથજીએ રેડિયો પર દીકરી લતાનો અવાજ સાંભળીને કહેલું, ''અબ મેં ચૈન સે અંતિમ સાંસ લે સકતા હૂં...'' લતાજીના માથા પર હાથ ફેરવતા ફેરવતા તેમણે કહેલું, ''મૈને અપને જીવનમેં બહુત ધન કમાયા ઔર ગંવાયા ભી, લેકિન મેં તુમ લોગોં કે લિયે કુછ ભી છોડ કર નહીં જા રહા, સિવાય મેરી ધુનોં, એક તાનપૂરે ઔર ઢેરોં આશીર્વાદ કે અલાવા.... તુમ એક દિન બહુત નામ કમાઓગી....''   

માત્ર તેર વર્ષની નાની ઉમરે મા, બે બહેનો અને ભાઈ સહિતના પરિવારની જવાબદારી લતાજી પર આવી પડી. જો કે એમણે હિંમત હાર્યા વિના પોતાનામાં રહેલી ઈશ્વરદત્ત પ્રતિભાના જોરે અને સ્વર્ગસ્થ પિતાના આશીર્વાદના સથવારે જીવનસંઘર્ષ શરૂ કર્યો અને આજીવન અપરિણિત રહીને ન કેવળ પરિવારની જવાબદારી પણ નિભાવી, બલ્કિ પોતાની પોતાની જિંદગીમાં પણ એવાં એવાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં, જે ન કેવળ એક ગાયિકા માટે પરંતુ સમગ્ર સ્ત્રી જાતિ માટે ગૌરવ સમાન ગણાય.

એક સમારંભ દરમિયાન લતાજી પોતાના સંઘર્ષકાળને યાદ કરતા કહે છે કે,  "બાબા ગયા, એને ૭૦ વર્ષ વીત્યાં. તેમના અવસાનના પાંચમા મહિને મેં ચિત્રપટ સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. પ્રથમ ભૂમિકા મુખ્ય અભિનેત્રી (હિરોઈન)ની બહેનની મળી. તેમાં સાથે સાથે ગીતો પણ ગાવાનાં હતા. મેકઅપ કરવો, શૂટિંગ માટે ગરમીમાં તરસ્યા ઊભા રહેવું મને ગમતું નહોતું. પણ હું કામ કરતી હતી. કોઈ ઉપાય નહોતો. વર્ષ ૧૯૪૭ સુધી મેં અભિનય-ગાયન કર્યા, ત્યાર પછી ખરા અર્થમાં પાર્શ્વગાયન શરૂ કર્યું. પહેલું ગીત 'આયેગા આનેવાલા' ગાયું અને પછી ઘણાં ગીતો ગાવા મળ્યાં. આ સંઘર્ષના કાળમાં હંમેશાં પિતા નજીક હોય એવું લાગતું હતું. સ્વપ્નમાં પણ દેખાતા હતા. વર્ષ ૧૯૪૩માં મુંબઈમાં યોજાયેલા નાટ્ય મહોત્સવમાં સૌના આગ્રહથી મેં ગાવાનું નક્કી કર્યું. એ માટેના રિયાઝ દરમિયાન કાકાએ 'તું મારા ભાઈનું નાક કાપવાની છે.' એવું મહેણું માર્યું. એ મહેણું મને હાડોહાડ લાગ્યું. હું ખૂબ રડી. એ રાતે સ્વપ્નમાં મેં બાબાને 'સંગીત માનાપમાન'નું ગીત ગાતા જોયા. એ સ્વપ્ન શુકનિયાળ નીવડ્યું. એ નાટ્ય સંગીતના કાર્યક્રમમાં મારા ગાયનથી  સૌ ખુશ થયા. લલિતા પવાર એટલાં ખુશ થયાં કે સોનાની કાનની બુટ્ટીઓ અને એવા સાહેબ પેંડસેએ ૨૫ રૂપિયાની બક્ષિસ આપી હતી. મને હંમેશા એવું લાગે છે કે બાબા ક્ષણે ક્ષણે મારી જોડે હોય છે."

એક આનુવંશિક તથ્ય છે કે દીકરીઓ પિતાને અધિક વહાલી હોય છે, જ્યારે દીકરાઓ મા ને... લતાજી-દીનાનાથજીના આ દિવ્ય પ્રેમને અનુભવવો હોય તો ફિલ્મ 'આશીર્વાદ'નું આ ગીત એક વાર ધ્યાનથી સાંભળો. ગુલઝારસાહેબની તમામ અમૂલ્ય રચનાઓ પૈકી સૌથી અનોખી કહી શકાય એવી આ રચનાને સંગીતકાર વસંત દેસાઈએ રાગ ગુજરી તોડી પર આધારિત બંદિશમાં  સ્વરબદ્ધ કરી છે. ગુલઝારસાહેબના લખેલા ખૂબ જ સરળ શબ્દોમાં લતાજી જાણે કે પોતાની સ્મૃતિમાં વસેલા પિતાને યાદ કરીને આ ગીત ગાઈ રહ્યાં હોય! સંયોગ પણ જુઓ! ફિલ્મમાં અભિનેત્રી સુનિતા સાન્યાલને આ ગીત, ગાયિકાના રૂપમાં રેડિયો પર ગાતાં દર્શાવાયા છે. ત્રીજા અંતરામાં લતાજી ગાય છે, "મેરે હોઠોં પર ઉનકી આવાઝ ભી હૈ...." ત્યારે ગુલઝારના શબ્દોમાં છલકાતી એક પુત્રીના હ્રદયની આરત, પિતા પ્રત્યેનો અનન્ય ભકિતભાવ, સાંભળનારના અંતરના ઉંડાણ સુધી પહોંચે છે. એક પિતાનો પુત્રીને અપાયેલો આશીર્વાદ, ન જાણે કેટલાયે હ્રદયના કોમળ ભાવોને વ્યક્ત થવામાં નિમિત બનવાનો હશે!

http://www.youtube.com/watch?v=-Kt60ZFdxOM

જૂન 06, 2017

એક અનોખા ગીતકાર... રાજેન્દ્ર કૃષ્ણ


દેશ આઝાદ થયો એ પહેલાના ઘણા સમય અગાઉની આ વાત. હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતના જિલ્લા ગુજરાતના એક નાનકડા ગામ જલાલપુર જાટાની ધૂળિયા નિશાળમાં પાંચમી-છઠ્ઠીમાં ભણતો એક બાળક, સાંજના સમયે ફાનસના ઝાંખા અજવાળે ચોપડામાં માથું ઘાલીને બેઠો છે. મોટા ભાઈ અને માતાપિતા સમજે છે કે કુંવર અભ્યાસમાં રત છે. પણ પાઠ્યપુસ્તકની વચમાં છુપાવીને એ બાળક ગઝલ અને શેરોશાયરીથી ભરેલી કોઈ ચોપડી વાંચી રહ્યો છે! માતા પાર્વતી અને પિતા જગન્નાથ દુગ્ગલના આ પનોતા પુત્રને ભણવામાં કોઈ ખાસ રુચિ ન હતી. પણ કવિતા, ગઝલ, શેરોશાયરી પ્રત્યેનો લગાવ અપ્રતિમ હતો. ભલા કોઈને કલ્પના ય હશે કે આ જ બાળક મોટો થઈને ફિલ્મ સંગીતના સુવર્ણ ઇતિહાસનો એક આખો ય અધ્યાય પોતાના નામે લખશે! સદીઓ સુધી એના લખેલા સુમધુર ગીતોથી આ સંસાર ગૂંજતો રહેશે! એ ઠોઠ નિશાળિયાની કલમેથી અવતરેલું એક ભક્તિગીત- 'તુમ્હી હો માતા પિતા તુમ્હી હો.... વર્ષો પછી પણ દેશની ઘણીખરી શાળાઓમાં પ્રાર્થના ગીત.... તરીકે ગવાતું રહેશે! હિન્દી ફિલ્મ જગતના સૌથી વિલક્ષણ અને અનોખા ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણને આજે તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરીએ અને તેમના લખેલા કેટલાક અવિસ્મરણીય ગીતોને યાદ કરીએ....

6 જૂન, 1919ના રોજ ત્રણ ભાઈઓ અને એક બહેન સહિતના સામાન્ય મઘ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રાજેન્દ્ર કૃષ્ણનું બાળપણ જલાલપુરમાં વીત્યું. સૌથી મોટા ભાઈ માધોલાલ પરિવારની આર્થિક જવાબદારીઓના વહન માટે સિમલા આવીને વસ્યા. થોડા સમયમાં જ નાનાભાઈ રાજેન્દ્રને આગળ અભ્યાસ થઈ શકે અને ત્યારબાદ સરકારી નોકરી મળી જાય તે હેતુથી તેમણે સિમલા બોલાવી લીધો. ભાઈની લગાતાર કોશિશ અને સમજાવટના પરિણામે રાજેન્દ્રએ સરકારી નોકરી મળી શકે એટલો અભ્યાસ તો કર્યો. નોકરી કરતા કરતા સુમિત્રા નામની સ્ત્રી સાથે લગ્ન કરીને સંસાર વસાવી લઈને એક સંતાનના પિતા પણ બન્યાં. પણ કવિતા અને શેરોશયરીનું વળગણ ન છૂટ્યું. સિમલામાં એ સમયે માલ રોડ પર આવેલા કોફી હાઉસમાં રોજ સાંજ પડયે અપ ટુ ડેટ તૈયાર થઈને સાહિત્યરસિક મિત્રોની સંગતમાં સમય પસાર કરતા રાજેન્દ્ર કૃષ્ણ, લગ્ન પછી પણ સિમલામાં યોજાયા કરતા મુશાયરાઓ અને કવિ સમેલનોમાં ભાગ લેવાનું ચૂકતા નહીં. એમની ઉપસ્થિતિમાં મહેફિલની રોનક બદલાઈ જતી.

તેમ છતાં, રાજેન્દ્ર કૃષ્ણને લાગ્યા કરતું કે એમના સ્વપ્નોની દુનિયા ક્યાંક બીજે જ છે. એમણે ભરવા ધારેલી ઉડાન માટેનું આકાશ, સિમલાની ધરતી પર રહ્યે આંબી શકાય એમ ન હતું. પણ ઘર, પરિવાર અને નોકરી વચ્ચે અટવાઈને મૂરઝાયા કરતા એમના મનની વ્યથા આખરે મોટાભાઈ માધોલાલને સમજાઈ ગઈ. ખુદ પોતે પણ લખવાના શોખીન એવા મોટાભાઈએ એકવાર રાજેન્દ્રએ લખેલી એક હ્રદયસ્પર્શી વાર્તા વાંચી તો તેમને પોતાના ભાઈના લખાણની સાહિત્યિક ઊંચાઈનો ખ્યાલ આવ્યો. એ પછી એમણે રાજેન્દ્રને પોતાના સ્વપ્નો સાકાર કરવા માટે મુંબઇ જવાનો માર્ગ મોકળો કરી આપ્યો. માસિક ચાલીસ રૂપિયાના પગારમાં ગુજરાન ચલાવતા માધોલાલે, બહોળા સંયુક્ત પરિવારની જવાબદારીમાંથી રાજેન્દ્રને મુક્ત કર્યા, એટલું જ નહીં, કાયમી નોકરી છોડીને, પત્ની-પુત્રીને ભાઈના હવાલે છોડીને પોતાની સ્વપ્નનગરી મુંબઇ જઇ રહેલા નાનાભાઇના હાથમાં રોકડા રૂપિયા સો મૂકીને વિદાય આપી.

1942ના સમયગાળામાં મોહમયી મુંબઈની ધરતી પર પગ મૂક્યા પછી બહુ જલ્દીથી રાજેન્દ્રને વાસ્તવિકતાનો પરિચય થઈ ગયો. ફિલ્મી ગીતલેખન ક્ષેત્રે મેળવવા ધારેલી સફળતા તો દૂરની વાત રહી, આજીવિકા પૂરતું રળવા માટે એમણે શહેરના રસ્તાઓ પર ફરીને રૂમાલ અને મોજાં પણ વેચ્યા. જો કે એ સમયે એમને એવા સહૃદયી મિત્રોનો પરિચય થયો, જેમણે રાજેન્દ્રને આ વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવાનું બળ પૂરું પાડયું. (જો કે, સફળતા મેળવ્યા પછી રાજેન્દ્ર આ મિત્રોને ભૂલ્યા ન હતા. નાના ભાઈની સફળતાને નજરે નિહાળવા માટે પહેલવહેલી વાર મુંબઇ આવેલા મોટાભાઈ માધોલાલની હાજરીમાં જ્યારે કોઈ સામાન્ય દેખાતા માણસે રાજેન્દ્ર સમક્ષ થોડી મદદની વાત મૂકી તો એ જ ક્ષણે વિના કોઈ ખચકાટ, વિના કોઈ પૂછપરછ, એ માણસના હાથમાં રાજેન્દ્રે એ જમાનામાં માતબર કહેવાય એવી દસ હજાર રૂપિયાની રકમ મૂકી દીધી! પાછળથી એમણે ભાઈ સમક્ષ એ વાતનો ખુલાસો કરતા જણાવ્યું કે સંઘર્ષના દિવસોમાં જ્યારે એમની પાસે ખાવાના ય પૈસા ન હોય ત્યારે આ મિત્રને ત્યાં ગમે ત્યારે વિના સંકોચે જઈ ચડતા રાજેન્દ્રને ભરપેટ ખાવાનું મળી શકતું!)

પાંચેક વર્ષના સંઘર્ષ બાદ 1947માં 'જનતા' નામની એક ફિલ્મની પટકથા લખવાનો રાજેન્દ્રને મોકો મળ્યો. એ જ વર્ષે 'જંજીર' નામની એક ફિલ્મમાં ગીત લખવાની પણ તક મળી. જો કે આનાથી એમને આગળ કોઈ બીજી તક ન મળી. એમની ઝળહળતી કારકિર્દીનો સૂરજ ઉગવાને બહુ ઝાઝી વાર ન હતી. 1948ની શરૂઆતમાં જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અકલ્પ્ય વિદાયથી આખો દેશ જ્યારે શોકગ્રસ્ત હતો ત્યારે રાજેન્દ્રએ બાપુને અંજલિ આપવા એક ગીત લખ્યું... 'સૂનો સૂનો એ દુનિયાવાલો... બાપુ કી યે અમર કહાની.....' સંગીતકાર જોડી હુસ્નલાલ-ભગતરામના નિર્દેશનમાં મોહમ્મદ રફીએ ગાયેલું આ બિનફિલ્મી ગીત રાતોરાત ઘરેઘરમાં ગૂંજતું થઈ ગયું! આ સફળતાને પગલે પગલે એ જ વર્ષે મોતીલાલ અને સુરૈયાની 'સ્ટાર' જોડીને ચમકાવતી ફિલ્મ 'આજ કી રાત' માટે રાજેન્દ્રએ લખેલા ગીતોએ તેમને માટે સફળતાનાં દ્વાર ખોલી નાખ્યાં! મીના કપૂર, જી. એમ. દુર્રાની અને સુરૈયાએ ગાયેલા આ ફિલ્મના ગીતો ખાસ્સા લોકપ્રિય થયા. પણ એ જ વર્ષે આવેલી ફિલ્મ 'પ્યાર કી જીત'નું સુરૈયાએ ગાયેલું મસ્તી ભર્યું ગીત 'તેરે નૈનો ને ચોરી કિયા, મેરા છોટા સા જિયા, પરદેસિયા હાયે...' આજે પણ હૃદયને સ્પર્શ્યા વિના રહેતું નથી.

સફળતા અને રાજેન્દ્ર કૃષ્ણ એ બંને હવે એકબીજાના પર્યાય બની ચૂક્યાં હતા. 1949માં આવેલી 'લાહૌર' અને 'બડી બહન' જેવી ફિલ્મો આ વાતનું પ્રમાણ આપે છે. 'બડી બહન'નું લતાજી અને પ્રેમલતા નામની ગાયિકાએ ગાયેલું યુગલ ગીત 'ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ...' એટલી હદે લોકપ્રિય થયેલું કે ઢોલક અને મંજીરા લઈને ભજન ગાતી મંડળીની બહેનો આ ગીતની ધૂન પર ભજનો ગાતી તો બીજી તરફ નાચગાન કરીને ગુજારો કરતી તવાયફો પણ આ ગીતની ફરમાઈશ પર નાચીને ધૂમ કમાણી કરતી! અલબત્ત, હુસ્નલાલ-ભગતરામના સંગીતની કમાલ તો હતી જ, પણ સામાન્ય બોલચાલની ભાષામાં લખાયેલા આ ગીતના શબ્દોમાં જે સાદગીપૂર્ણ મીઠાશ હતી તેનો ગીતની સફળતામાં બહુ મોટો હાથ હતો. 'બડી બહન'ના ગીતોએ જે ધૂમ મચાવી એનાથી ખુશ થઈને ફિલ્મના નિર્માતાએ રાજેન્દ્ર કૃષ્ણને ઓસ્ટિન જેવી વૈભવી મોટર ગાડી ભેટ આપી. એટલું જ નહીં, હજાર રૂપિયાના માસિક પગારે એમને પોતાની કંપનીની ફિલ્મો માટે ગીત લખવા માટે કરારબદ્ધ કરી લીધા!

હુસ્નલાલ-ભગતરામ સાથે સફળતાની પા પા પગલી ભર્યા બાદ, સી. રામચંદ્રની સંગતમાં રાજેન્દ્ર કૃષ્ણની કારકિર્દીની ગાડી પૂરપાટ વેગે દોડવા માંડી. એમાંયે લતાજી-સી. રામચંદ્ર-રાજેન્દ્ર કૃષ્ણની ત્રિવેણીએ આપેલા અવિસ્મરણીય ગીતો તો ફિલ્મ સંગીતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલા છે. ફક્ત એક જ ફિલ્મ 'અનારકલી'ની વાત કરીએ તો, આ ફિલ્મમાં હસરત જયપુરી અને જાંનિસાર અખ્તરના એક એક અને શૈલેન્દ્રના બે ગીત ઉપરાંત બાકીના નવેનવ ગીત રાજેન્દ્ર કૃષ્ણે લખ્યાં હતા. લતાજીએ ગાયેલાં 'યે ઝીંદગી ઉસી કી હૈ જો કિસી કા હો ગયા....' અને 'મહોબ્બત ઐસી ધડકન હૈ જો સમજાયી નહીં જાતી....' જેવા આ ફિલ્મના ગીતો લતાજી-સી. રામચંદ્ર-રાજેન્દ્ર કૃષ્ણના ત્રિવેણીસંગમનું ઉચ્ચસ્તરીય એવું આચમન છે. તો હેમંતકુમાર ના અવાજમાં 'ઝીંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ....' ગીત ભલા કોઈ કેવી રીતે ભૂલી શકે?!
ગીતલેખન ઉપરાંત પટકથા અને સંવાદ લેખક તરીકે પણ તેમણે કેટલીક હિન્દી અને તમિલ ફિલ્મો માટે કામ કર્યું. 1968માં આવેલી મશહૂર ફિલ્મ પડોશન માટે તેમણે પટકથા, સંવાદ અને ગીત એ ત્રણેય મોરચા સંભાળ્યા. આજ સુધી પ્રણય, સામાજિક ચેતના અને ધાર્મિક ભાવનાને વ્યક્ત કરતી એમની કલમે હળવી હાસ્યપ્રધાન ફિલ્મમાં પણ કમાલની ધમાલ મચાવી દીધી!

પોતાના જીવનકાળ દરમિયાન 300 જેટલી ફિલ્મોમાં 1500થી વધુ ગીતો લખનાર રાજેન્દ્ર કૃષ્ણે ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું. કોઈ પણ પ્રકારના વાદવિવાદથી દૂર રહીને સરળ હૃદયના આ શબ્દ શિલ્પીએ ગણ્યા ગણાય નહીં એટલા સુપ્રસિદ્ધ ગીતો આપ્યાં છે. ન જાણે કેમ પણ ફિલ્મફેર એવોર્ડને માત્ર એક જ વાર રાજેન્દ્ર કૃષ્ણના નામ સાથે જોડાવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું! 1968ની ફિલ્મ 'ખાનદાન'ના ગીત 'તુમ્હી મેરી મંઝિલ... તુમ્હી મેરી પૂજા...' માટે ગીત સાથે સંકળાયેલા ત્રણેય કસબીઓ- લતાજી, સંગીતકાર રવિ અને ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણને ફિલ્મફેર એવૉર્ડ મળ્યા.

ઘોડાદોડના શોખીન એવા રાજેન્દ્ર કૃષ્ણને એકવાર વિક્રમસર્જક એવો 49 લાખ રૂપિયાની અધધધ કહી શકાય એવી રકમનો જેકપોટ લાગેલો! સંપૂર્ણપણે કરમુક્ત એવી આ રકમનું તેમણે વ્યવસ્થિત રીતે કરેલું રોકાણ એમને જીવનપર્યંત વળતર આપતું રહ્યું. જે તેમને સુવ્યવસ્થિત જીવન જીવવા માટે પર્યાપ્ત હતું. તેમ છતાં, જીવનના અંત સુધી તેમણે વ્યવસાયિક વ્યસ્તતા જાળવી રાખી. 23 સપ્ટેમ્બર, 1988ના રોજ મુંબઇ ખાતે તેમનું અવસાન થયું તે સમયે તેઓ ફિલ્મ 'આગ કા દરિયા' માટે ગીતો લખી રહ્યા હતા. જે ફિલ્મ તેમના અવસાનના બે વર્ષ બાદ રજૂ થઈ.


જૂન 04, 2017

યે ધક ધક ક્યા હૈ..



વિવિધ રાગ-રાગિણીમાં પરોવાઈને સરગમના સાત સૂરો એવી મીઠી મીઠી તરજોનું રૂપ લે છે કે એ મીઠાશની ચાસણીમાં ઝબકોળાયેલા ગીતો આપણને વારે વારે સાંભળવા ગમે છે. સામાન્ય માનવીને કદાચ શાસ્ત્રીય સંગીતની સૂઝ ન હોય તો પણ શબ્દો અને ધૂન થકી કોઈ ગીત એના હૃદયને ઊંડે સુધી સ્પર્શી જતું હોય છે. લોકપ્રિય ફિલ્મી ગીતો એ આ વાતનો જીવંત પુરાવો છે. જો કે, રોજેરોજ રચાતા સેંકડો ગીતોની ભરમારમાં, એક સંગીતકાર માટે કોઈ અનન્ય, નવીનતમ બંદિશ રચવી એ થોડું અશક્ય કામ છે. આપણા ફિલ્મ સંગીતકારોએ સાત સૂરોને શક્ય એટલા અલગ અલગ રીતે સંયોજીને કર્ણપ્રિય સંગીત રચ્યું છે અને હજુ પણ રચતા રહે છે. તેમ છતાં, ક્યાંક ને ક્યાંક તો કોઈ બે ગીતની ધૂનમાં સરખાપણું જાણે અજાણે પણ, આવી જ જતું હોય છે! સંગીતની દુનિયામાં આવી ‘સાહિત્યિક ચોરી’ના નમૂનાને ‘પ્રેરણા’ કહેવામાં આવે છે! પણ આપણે એવું યે વિચારી શકીએ કે કોઈ ગીતની ધૂન બનાવતી વેળાએ, સંગીતકારે ઈચ્છ્યું ન હોય કે કોઈ પ્રસિદ્ધ ગીતની ધૂનની ઉઠાંતરી કરીને એ ગીત રચી નાખવું. પણ ગીતના શબ્દો જ કંઈક એવા છંદમાં લખાયા હોય કે એને અનુરૂપ બીજી કોઈ યોગ્ય ધૂન બનાવવી શક્ય જ ન હોય! અલગ અલગ ધૂન અજમાવી જોઇને કદાચ છેલ્લે પેલી પ્રસિદ્ધ ધૂનને મળતી આવતી તરજમાં જ ગીતને ઢાળવું પડે!

એવું નથી કે ઓછા પ્રતિભાવાન સંગીતકારોએ જ જાણીતા સંગીતકારની ધૂન પરથી ગીત રચ્યા છે. સંગીતકાર મદન મોહન અને સજ્જાદ હુસેનનો જ દાખલો લો. બંને નામી સંગીતકાર કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી પણ અહીં એક વાત કહ્યા વિના રહી 
શકાતું નથી. સંગીત નિર્દેશકોના પ્રપિતામહ કહેવાય એવા શ્રી અનિલ વિશ્વાસજી કહેતા કે, “ફિલ્મ ઉદ્યોગમાં સજ્જાદ જ એવા બેજોડ સંગીતકાર છે, જેની તોલે આવી શકે એવું કોઈ નથી. અમે બધા ક્યાંકથી ને ક્યાંકથી અથવા તો કોઈ ને કોઈ વાતમાંથી પ્રેરણા લઈને તર્જ બનાવીએ છીએ, પણ સજ્જાદનુ સંગીત ક્યાંયથી પ્રેરિત નથી. એ એમનું ખુદનું મૌલિક સર્જન છે.”

આવા સજ્જાદ હુસેનની ફિલ્મ ‘સંગદિલ’નાં એક અત્યંત પ્રસિદ્ધ ગીત ‘યે હવા યે રાત યે ચાંદની' પરથી પ્રેરણા લઈને મદન મોહનજીએ ફિલ્મ 'આખરી દાવ'ના ગીત 'તુજે ક્યા સુનાઉં મેં દિલરુબા...' ની રચના કરેલી. દુર્વાસાનાં અવતાર સમા સજ્જાદ હુસેન આ વાતથી ખૂબ જ નારાજ થઇ ગયેલા. કોઈ સંગીત સમારોહમાં મદન મોહન જ્યારે એમની સામેથી પસાર થયા તો એમણે કહેલું કે, "ક્યા બાત હૈ! આજકલ તો પરછાઈયા ભી ઘૂમને ફિરને લગી હૈ!" જો કે, નખશીખ સજ્જન એવા મદન મોહનજીએ જે રીતે વળતો જવાબ આપ્યો એનાથી સજ્જાદ હુસેનને પણ અભિમાનથી છાતી ફૂલ્યા વિના નહીં જ રહી હોય! મદન મોહનજીએ કહ્યુંકે, "સજ્જાદ સાહેબ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમેં આપ કે સિવા કોઈ ઓર સંગીતકાર ભી હૈ, જીસકી મેં નકલ ભી કરું?" ખેર, બંને ગીતો યુ ટ્યુબ પર પ્રાપ્ય છે. સમય મળ્યે સાંભળશો તો ખ્યાલ આવશે કે સમાન તર્જ હોવા છતાં બંને ગીત આપના દિલોદિમાગ પર પોતાની આગવી છાપ છોડી જાય છે.

આવા તો અનેક ગીતના જોડકા હશે, કે જેમાં કોઈ એક ગીત, બીજા પરથી પ્રેરાઈને રચાયું હોય. સુધા મલ્હોત્રાએ ગાયેલું આ ગીત યુ ટ્યુબ પર સાંભળજો... "યે ધક ધક ક્યા હૈ, ક્યા દિલ કો હુઆ હૈ... કોઈ તો સમજાયે, યે કૈસા નશા હૈ..." ગીતકાર અન્જાને અત્યંત રમતિયાળ શબ્દોમાં પ્રેમમાં પડેલી એક નવયૌવનાના મનોભાવોનું મધુર આલેખન કર્યુઁ છે. મઝાની વાત તો એ છે કે ૧૯૫૬મા રજૂ થયેલી ફિલ્મ "હલાકૂ"ના ગીત "યે ચાંદ યે સિતારે, યે સાથ તેરા મેરા.... ની ધૂન પરથી "જંગલ બોય" નામની ફિલ્મના આ ગીતની ધૂન બનાવનારા સંગીતકાર હતા સુરેશ તલવાર, જેમણે 'જંગલ બોય' ઉપરાંત હોટેલ, સૈર-એ- પરિસ્તાન, તીર્થયાત્રા, ફેશનેબલ વાઈફ, સાહિલ, લેડી ઓફ ધ લેક, એલીફન્ટ ક્વીન, તીલસ્મી દુનિયા, ટારઝન ઔર જાદૂગર, રાષ્ટ્રવીર શિવાજી, ચાર ચક્રમ - આવા આવા શીર્ષકો ધરાવતી ફિલ્મોમાં સગીત આપ્યું છે. બંને ગીત સાંભળીએ તો ખ્યાલ આવ્યા વિના ન રહે કે શંકર જયકિશનના સંગીત નિર્દેશનમાં લતાજીએ ગાયેલા "હલાકૂ"ના ગીત કરતા સુરેશ તલવારના સંગીતમાં સુધા મલ્હોત્રાએ ગાયેલું "જંગલ બોય"નું ગીત વધારે ચડિયાતું છે! સુધાજીના અવાજમાં એક તાજગીભરી મધુરતાનો અનુભવ થાય છે.


સુધાજીના અવાજમાં ફિલ્મ 'જંગલ બોય'નું ગીત અહીં માણો...

મે 24, 2017

रहें ना रहें हम.....



કે. એલ. સાયગલ, દેવ આનંદ, શમ્મી કપૂર, રાજેશ ખન્ના, રિશી કપૂર, આમિર ખાન... આ બધા નામો વચ્ચે એક સામ્યતા શોધવાનું કોઈ કહે તો શું જવાબ મળે? બેશક બધા જ હિન્દી ફિલ્મ જગતના ખ્યાતનામ સિતારા છે. તેમજ સૌ જે તે સમયે ખાસ્સા સફળ અને લોકપ્રિય રહ્યાં છે. ને જરા ઝીણવટથી જોઈએ તો, આ બધા ની સફળતમ ફિલ્મોના ગીતો એક જ વ્યક્તિએ લખ્યાં છે. ને એ ગીતો ય કેવા?યુવા દિલોની ધડકન તેજ કરી દે તેવા,  હિલ્લોળા લેતા જોબનના ઉમંગ ઉત્સાહને ખુલ્લી આંખે કો' અનન્ય સ્વપ્નસૃષ્ટિની સફરે લઈ જાય તેવા. પણ મોટેભાગે બધા જ ગીતોમાં કાવ્ય તત્વ પોતાની અલૌકિક ઊંચાઈ પર હોય.

ફિલ્મી ગીતોમાં કાવ્ય તત્વની વાત થાય કે  શૈલેન્દ્ર, સાહિર લુધિયાનવી કે ગુલઝારનું નામ જ સૌપ્રથમ હૈયે આવી રહે. પણ આજે એ ગીતકારની વાત કરવી છે કે જેમણે પોતાની અર્ધી સદી જેટલી લાંબી કારકિર્દીમાં એકએકથી ચડિયાતા એવાં એવાં અઢળક ગીતો આપ્યા કે જેની યાદી કરવા બેસીએ તો એકએક ગીત ગણગણ્યા વિના ન રહી શકાય. સરળ, સહજ શબ્દોમાં હૃદય સોંસરવી ઉતરી જાય એવી યાદગાર રચનાઓ. ભલે કહેવાય ફિલ્મી ગીત, પરંતુ ભારોભાર કાવ્યાત્મક અભિવ્યક્તિના ઉત્કૃષ્ટ નમૂના જેવા આ ગીતો આપનાર શાયર એટલે જનાબ અસરાર-ઉલ-હસન ખાન ઉર્ફે મજરૂહ સુલ્તાનપુરી.


1 ઓકટોબર, 1919ના રોજ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના એક નાનકડા ગામમાં, સામાન્ય સબ ઇન્સ્પેક્ટર ને ઘેર જન્મેલા મજરૂહે અરબી, ઉર્દૂ અને ફારસી ભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ લખનૌની કોલેજમાંથી યુનાની ચિકિત્સા પદ્ધતિનું જ્ઞાન મેળવીને હકીમ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. પણ ઉર્દૂ શાયરીનો શોખ તેમને મુશાયરા ભણી ખેંચી ગયો. સુલ્તાનપુર મુકામે યોજાયેલા એક મુશાયરામાં તેમણે રજૂ કરેલી ગઝલ, શ્રોતાઓના દિલ ડોલાવી ગઈ! એ સમયે મળેલી વાહવાહીથી મજરૂહના મનમાં રમતા શાયરી પ્રત્યેના અદમ્ય ખેંચાણને પૂરજોશથી દિશા મળી ગઈ. હકીમ તરીકેની કારકિર્દીને કોરાણે મૂકીને મજરૂહ સંપૂર્ણપણે શાયરીને સમર્પિત થઈ ગયા. લોકોના દુઃખ દર્દ મટાડનાર હકીમે તખલ્લૂસ રાખ્યું - 'મજરૂહ'. જેનો અર્થ થાય છે 'જખમ'! બળતા હૃદય ને શાતા આપે એવા મધુર ગીતો આપનારા મજરૂહે પોતાના તખલ્લૂસ સાથે જોડી દઈને વતન સુલ્તાનપુરનું નામ પણ અમર કરી દીધું.

સુલ્તાનપુરથી શરૂ થયેલી પરંપરા આગળ પણ ચાલતી રહી. મજરૂહ જયાં પણ જતા, મુશાયરાની જાન બની જતા. આવા જ એક મુશાયરામાં તેમને શાયર જિગર મુરાદાબાદીનો પરિચય થયો. જે આગળ જતાં ગાઢ મિત્રતામાં ફેરવાયો. 1945માં મુંબઇ ખાતે યોજાયેલા એક મુશાયરામાં ફિલ્મ નિર્માતા એ. આર. કારદાર ની પારખુ નજરે તેમની શાયરીનું હીર માપી લીધું. તેમણે મજરૂહને ફિલ્મ માટે ગીતો લખવાની ઓફર આપી. પણ શાયરીને વરેલા મજરૂહે ફિલ્મી ગીત લેખનનો રાહ અપનાવવાની સ્પષ્ટ નારાજગી દર્શાવી. જો કે મિત્ર જિગર મુરાદાબાદીની વ્યવહારુ સલાહને માન આપીને સંગીતકાર નૌશાદને મળવા ગયેલા મજરૂહની કસોટી કરવા નૌશાદે એક તરજ તેમની સામે રમતી મૂકીને તેના પર કોઈ શબ્દો લખવા જણાવ્યું. જેના સમગ્ર અસ્તિત્વમાં શાયરી છલકાતી હતી એવા મજરૂહે પલકવારમાં શબ્દોની એક માળા ગૂંથી આપી.. 'જબ ઉસને ગેસૂં બિખરાયે, બાદલ આયે ઝૂમ કે...' અભિભૂત થઈ ગયેલા નૌશાદે એ જ ઘડીએ ફિલ્મ 'શાહજહાં'ના ગીતો લખવા માટે મજરૂહ પર પસંદગીની મહોર મારી દીધી! 'કર લિજીયે ચલ કે મેરી મહોબ્બત કે નઝારે...' અને 'જબ દિલ હી ટૂટ ગયા....' જેવા 'શાહજહાં'ના ગીતો અત્યંત સફળ થયા અને આબાલવૃદ્ધ સૌની જીભે રમતા થઈ ગયા. કે. એલ. સાયગલને પોતે ગાયેલું 'જબ દિલ હી તૂટ ગયા...' ગીત એટલું તો ગમ્યું કે પોતાની અંતિમયાત્રા વખતે એ ગીત વગાડવાની તેમણે જાહેરાત કરી દીધી!

'શાહજહાં' બાદ 'મહેંદી', 'અંદાઝ', 'આરઝૂ' જેવી ફિલ્મોમાં એક પછી એક સફળતાનાં શિખરો સર કરી રહેલા મજરૂહને તેમની ડાબેરી વિચારધારાના પગલે તત્કાલીન સરકારની ભારે ખફગી વહોરવી પડી. પોતાની એક ક્રાંતિકારી રચનામાં સરકારની હાંસી ઉડાવતા શબ્દો પ્રયોજવા બાદલ તેમને બે વર્ષની જેલની સજા થઈ! માફી માંગીને સજામાંથી છૂટવાને બદલે તેમણે પોતાની વિચારધારામાં અડગ રહીને સજાનો સ્વીકાર કર્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ 'ફૂટપાથ' અને 'આરપાર' જેવી ફિલ્મો દ્વારા મજરૂહે ધમાકેદાર પુન:પ્રવેશ કર્યો. એક પછી એક સફળ ફિલ્મોની શૃંખલા રચાતી ગઈ. એ બધીમાં શિરમોર રહી 1964ની ફિલ્મ 'દોસ્તી', જેના ગીત 'ચાહુંગા મૈં તુજે સાંજ સવેરે.... માટે તે વર્ષનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો પહેલવહેલો અને એકમાત્ર  ફિલ્મફેર પુરસ્કાર મળ્યો.

કોઈપણ છંદમાં, કોઈ પણ 'મીટર'ને અનુરૂપ શીઘ્ર રચના લખી આપવામાં મજરૂહ બેજોડ હતા. 50 વર્ષની લાંબી કારકિર્દીમાં લોકપ્રિય અને કર્ણપ્રિય એવા અનેક ગીતોની રચના કરનારા મજરૂહે જ્યાં એક તરફ સંવેદનની ચાસણીમાં ઝબકોળાયેલાં મધુર પ્રણય ગીતો લખ્યાં તો બીજી તરફ સામાન્ય માનવીની મનોવ્યથા અને સામાજિક સમસ્યાઓના ઉકેલ સૂચવતી ગંભીર રચનાઓ પણ એમની કલમે અવતરી. ઉત્તરપ્રદેશના લોકગીતોને પોતાની રચનાઓમાં પ્રતિબિંબિત કરવાનું શ્રેય પણ મજરૂહના ભાગે જાય છે.

હાડોહાડ શાયર મજરૂહ ફિલ્મી ગીત લેખનને આજીવિકા રળવાનું એક સાધન માત્ર માનતા. બાકી તેમની રુચિ ગંભીર પ્રકારની શાયરીના સર્જન પરત્વે જ આસક્ત રહી. તેમ છતાં, તેમની મોટાભાગની  ફિલ્મી  રચનાઓ ઉત્તમ પ્રકારની રહી. હા, ફિલ્મની કહાણીની માંગ અનુસાર તેમણે કેટલીક રમતિયાળ અંદાઝ ધરાવતી રચનાઓ પણ લખી, જે ખાસ્સી લોકપ્રિય રહી. 1980માં 'ગાલિબ' એવોર્ડ અને 1992માં 'ઇકબાલ' એવોર્ડ જેવા ઉર્દૂ સાહિત્યના ઉચ્ચતમ પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ ગીતકાર તરીકે 1994માં ફિલ્મજગતનું સર્વોચ્ચ સન્માન 'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર એકમાત્ર શાયર મજરૂહ સુલ્તાનપુરી, જીવનના અંત સુધી ફિલ્મોમાં  શબ્દોની છાબ સજાવતા રહ્યાં. 24 મે, 2000ના રોજ તેમનો દેહવિલય થયો. તેમણે ફિલ્મ જગતને આપેલા નાયાબ ગીતરત્નો પૈકી કેટલાક મારી પસંદના ગીતો આ મુજબ છે....

રહે ના રહે હમ, મહેકા કરેંગે...(મમતા)
કભી તો મિલેગી, કહીં તો મિલેગી...(આરતી)
જલતે હૈ જીસકે લિયે તેરી આંખો કે દીયે.. (સુજાતા)
છૂપને વાલે સામને આ...(તુમ સા નહીં દેખા)
તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા કયા હૈ... (સુજાતા)
ચુરા લિયા હૈ તુમને જો દિલ કો.. (યાદો કી બારાત)

ઑગસ્ટ 06, 2016

ખુમારી










"બોલો હું જોય છે?"
તદ્દન ભાવવિહીન ચહેરે, કૈંક ચીડભર્યા અવાજે થડા પર બેઠેલા દુકાનદારે પૂછયુ.
"દહનું તેલને દહનો મસાલો...." મેલાઘેલા સાડલાના છેડાથી કાંખમાં તેડેલા છઆઠ મહિનાના બાળકનું ગળતું નાક લૂછીને બાઈ બોલી.
"એય, છેટો 'રે ન્યાંથી...."

જુલાઈ 27, 2016

મોરા ગોરા અંગ લઇ લે....



રામ અને કૃષ્ણ જેવા શ્યામવર્ણ દેવતાઓ જયાં પૂજાય છે તે દેશમાં ગૌર વર્ણ એ સુંદરતાની નિશાની ગણાય છે. લગ્નવિષયક જાહેરખબરોમાં ગોરો વાન એ ઉમેદવાર કન્યા પ્રથમ લાયકાત ગણાય છે. અખબાર
કે સામયિકનું પાનું ખોલો કે પછી ટીવી પર આવતી ઢગલાબંધ ચેનલો પૈકી કોઈ એક ચેનલ શરૂ કરો. બોલીવુડ કે ક્રિકેટ જગતના જાણીતા ચહેરાઓને ચમકાવતી  કોઈને કોઈ ફેરનેસ ક્રીમની જાહેરખબર જોવા ન મળે તો જ નવાઈ! 'ફલાણું ફેરનેસ ક્રીમ લગાવો અને ગોરા બનો' - આવી જાહેરાતો જોઈ જોઈને અનેક યુવતીઓ જ નહીં, યુવાનો પણ આવા કહેવાતા ફેરનેસ ક્રીમ, લોશન, પાઉડર ખરીદતા થયા છે. માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો માટેના ફેરનેસ પ્રસાધનોની પણ વિશાળ શ્રુંખલા બજારમાં હવે ઉપલબ્ધ છે. હિંદુસ્તાન લિવર કંપનીએ 1978માં પહેલવહેલી ફેરનેસ ક્રીમ 'ફેર એન્ડ લવલી' બજારમાં ઉતારી ત્યારથી આજ સુધીમાં કયારેય પણ ફેરનેસ ક્રીમના વેપારમાં મંદી આવી નથી.

જૂન 21, 2016

અખંડ હેવાતણ



વાતાવરણમાં સખત બફારો હતો.

''ભીમી ઈગ્યારૈશ તો હાવ કોરી ગૈ ને આજ તો પૂયનમેય થૈ ગૈ."

અધરાતે પતરાની ઓરડીની બહાર નીકળીને ખુલ્લી હવામાં મોકળાશથી શ્વાસ ભરતા રમલી બે ઘડી ચાંદનીમાં ઝાકમઝોળ કોરાધાકોર આકાશ સામું જોઈ રહી. આજે સવારથી નકોરડો ઉપવાસ હતો.

જુલાઈ 11, 2015

એક વરસાદી સાંજ.....




પ્રિયમ,

આજ સવારથી જ અષાઢી માહોલ છવાયો છે. ઠંડી ઠંડી હવાની લહેર વહી રહી છે ને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મનના કોઈ ખુણે કોઈ ધૂન વાગી રહી છે.

તને યાદ છે, એ દિવસે પણ સવારથી જ આમ જ ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. હું ઇચ્છતી હતી કે તું આ માહોલમાં મારી સાથે જ હોય. સવારથી તને કેટ-કેટલા ફોન કર્યા, મેસેજ કર્યા પણ એકપણ જવાબ નહીં. ન જાણે તું ક્યાં ગુમ હતો?

ને અચાનક જ, બંધ દરવાજાની પેલે પાર, તારા આગમન ની તીવ્ર અનુભૂતિ થઈ આવી.

જૂન 21, 2015

ઝાંઝવામાં ડૂબી નાવ....





એ દિવસે વાતાવરણમાં સખત ગરમી હતી. ઑફિસ થી નીકળતા જ છ ને દસ થઈ ગયેલી. સાડા છ ની બસ ચૂકી જાઉં તો એક કલાક મોડો ઘેર પહોંચું. ઑફિસથી બસસ્ટોપનું સહેજે દસ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ કાપતાં મને આજે પંદર મિનિટ થઈ ગઈ. બસ હજુ આવી નહોતી. લાઈન ખાસ્સી લાંબી હતી. બસ આવીને સ્ટોપથી જરા આગળ ઊભી રહી. ધક્કામુક્કી કરતા ટોળા સાથે હું પણ બસમાં ધકેલાયો. ભરચક ભરેલી બસ માં ઊભા રહેવાની ય જગ્યા માંડ માંડ મળી.

માર્ચ 22, 2015

વાત એક સાંજ ની....

આજે રોજર ખૂબ ખુશ હતો. સવારે સમય કરતાં કંઈક વહેલો જ ઊઠી ગયો. આમ તો આખી રાત ઊંઘ જ ક્યાં આવી હતી? મોડી રાત સુધી મેરીના વિચારમાં ને વિચારમાં જ પડખા ઘસ્યે રાખ્યા. મોડેથી જરા ઝોકું આવ્યું ન આવ્યું ને સફાળી ઊંઘ ઊડી ગઈ. સપનામાં એ મેરી સાથે દરિયા કિનારે હતો. આછા વાદળી રંગનું ફ્રોક પહેરેલી મેરી એની સાથે ઊભી ઊભી નાળિયેરપાણી પી રહી હતી. એ નાળિયેરપાણી પીતી હતી અને પોતે નજરથી એને પી રહ્યો હતો.

માર્ચ 15, 2015

હીના


સાંજ ક્યારની યે ઢળી ગઈ હતી. એણે કમરામાં આવતાવેંત મોબાઈલને ચાર્જ કરવા મૂક્યો અને ફટાફટ બાથરૂમમાં ઘૂસી ગઈ. ક્યાંય સુધી ઠંડા પાણીથી નાહીને એ બહાર આવી. 'આખો દિવસ ફોર્મલ કપડા પહેર્યા બાદ હવે કેપ્રી અને ઢીલા ટી શર્ટના પોષાકમાં કેટલું રીલેકસ્ડ ફીલ થાય છે!' -મનોમન જ બબડતા એણે એક ખૂણામાં રાખેલા નાનકડા લાકડાના ટેબલ પર ગોઠવેલ હોટ પ્લેટ પર ચા ઉકાળવા મૂકી અને માથા પર બાંધેલો ટુવાલ છોડીને ભીના વાળને થપથપાવીને લૂછી કાઢ્યા. ચાનો કપ ભરીને એ બારી પાસે આવીને ઊભી રહી.

માર્ચ 02, 2015

મળતાં રહીએ.....






'લગ્ન બાબતે તારો શું વિચાર છે?'

લેકની પાળી પર બેઠા બેઠા બંને પગને હિલ્લોળતા, લેકમાં તરતી બે બોટ તરફ જોતા જોતા, આખીયે દુનિયાનું સુખ જાણે આઈસ્ક્રીમ ખાવામાં સમાયેલું હોય એમ એક હાથમાં પકડેલા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ભરેલા કોનને ગોળગોળ ફેરવીને એ મજેથી ખાતી રહી.

જાન્યુઆરી 08, 2015

Amitabh Bachchan: The Living Legend





“આદર! આદાબ! અભિનંદન! આભાર! સ્વાગત ! સ્વાગત ! સ્વાગત ! આપ સબ લોગો કા…… મૈં અમિતાભ બચ્ચન ઉસ મંચ સે જો આપકી હંસી સે ખિલ ઉઠતા હૈ.......”

ડિસેમ્બર 22, 2014

વક્ત રુકતા નહિ કિસીકે લિયે....


મોટેભાગે એવું જ બનતું હોય છે કે કેટલીયે એવી અમર રચનાઓ કે જે આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, ગણગણતા પણ હોઈએ છીએ, એના રચયિતા વિષે આપણને કશી પણ જાણકારી હોતી નથી. અરે એમનું નામ સુદ્ધાં જાણવાની તસ્દી આપણે ક્યારેય લેતા નથી. આપણે બસ, એ કવિતા, ગીત, ગઝલ સાંભળીએ છીએ ને મહદઅંશે તો ગાયકનાં નામથી જ એને યાદ રાખીએ છીએ.

નવેમ્બર 19, 2014

ધુમ્રસેર


રસ્તાની ધારે ઉગેલા બાવળ ના ઝૂંડ વચ્ચે થી પસાર થતી કેડી પરથી સાચવી ને નીચે ઉતાર્યો. આમ તો અહીંની ઈંચે-ઇંચ જમીનથી પરિચિત હતો. પણ આમ કેડી મારગ પર ઢોળાવ વાળા રસ્તે થઈને નીચે ઉતરવું હવે જરા દુષ્કર લાગતું હતું. ઉંમરનો તકાજો વળી, બીજું શું? અધવચ્ચે થોડી સમથલ જગ્યા જોઇને ઊભો રહી ગયો.